દાહોદ25 મિનિટ પહેલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના છરછોડા ગામે રાત્રીના સમયે આદમ ખોર દિપડાએ એક 70 વર્ષીય વૃધ્ધા પર અચાનક હુમલો કર્યો હતો. ગળાના ભાગે બચકા ભરી ગંભીર કરતાં વૃધ્ધાનુ સ્થળ પરજ મોત નીપજ્યું હતું. ઘટનાને ગામમાં દિપડાને આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ઘટનાની જાણ સ્થાનીક વન વિભાગના અધિકારીઓને થતાં વન વિભાગની ટીમ દ્વારા આદમ ખોર દિપડાને પાંજરે પુરવાની કવાયતો હાથ ધરી છે.
પખવાડિયામાં દિપડાના હુમલાનો ત્રીજો બનાવ બનતા ફફડાટ
દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આદમખોર દિપડાઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. જંગલ વિસ્તાર તરફના ગામોમાં દિપડાઓના પ્રયાણને પગલે માનવ જાત પર દિપડાના હુમલાઓ વધવા માંડ્યાં છે. ઉનાળાની ઋતુમાં જંગલ વિસ્તારોમાં પાણી, ખોરાકની અછતના કારણે દિપડાઓ ગામના રહેણાંક વિસ્તાર તરફ આવતાં હોવાનું તજજ્ઞોનું માનવું છે. ત્યારે પંદર દિવસની અંદર દાહોદ જિલ્લામાં દિપડાના હુમલાના ત્રણ બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાં છે.
હાલમા જ બે સ્થળોએ દિપડાએ હુમલા કર્યા હતા
અગાઉ લીમખેડા તાલુકાના ફુલપરી ગામે ઘરની ઓસરીમાં ઉંઘી રહેલ બે બાળાઓને દિપડાએ ઘરની બહાર ખેંચી જઈ બંન્ને બાળાઓને શરીરે બચકા ભર્યા હતાં ત્યારે બુમાબુમ થઈ જતાં પરિવારજનો અને ગ્રામજનો દોડી આવતાં બંન્ને બાળાઓનો જીવ બચી ગયો હતો. તેના બે દિવસ બાદ લીમખેડાના પાડા ગામે એક મહિલા સહિત બે વ્યક્તિઓ ઉપર દિપડાએ હુમલો કરતાં બંન્ને વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા હતાં. જેમાં 45 વર્ષીય વ્યક્તિને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલ ખાતે લઈ જવાતાં ત્યાં તેઓનું રસ્તામાં મોત નીપજ્યું હતું .