અમદાવાદ16 મિનિટ પહેલા
- કૉપી લિંક
જાહેર માહિતી અધિકાર એક્ટ હેઠળ અધૂરી, અપૂરતી વિગતો આપવામાં આવતી હોવાની તો અનેક વખત રાવ ઉઠી છે પરંતુ, હાલ ફરિયાદીને જ તેની ફરિયાદ પર કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપવામાં આવતી નહીં હોવાની ફરિયાદ ઉઠી છે. ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિએ કરેલી ફરિયાદ પર થયેલી કાર્યવાહીની વિગતો આપવાનો કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની કચેરીના તાબા હેઠળના તોલમાપ ખાતાના જવાબદાર અધિકારીઓ દ્રારા ઇન્કાર કરી દીધો હતો. ત્રાહિત પક્ષકારને લગતી માહિતી હોવાથી ત્રાહિત પક્ષને જાણ કરી સામેથી મંજૂરી મળે તો માહિતી આપવામાં આવશે તેમ જણાવ્યું.
તોલમાપ વિભાગ પાસેથી ફરિયાદીએ ફરિયાદની વિગત માગી
કોઇપણ સંસ્થા કે કંપની સામે કોઇપણ ગ્રાહક કે નાગરિક દ્રારા જે-તે સરકારી કચેરીઓમાં ફરિયાદ કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે સરકારી વિભાગમાં ફરીયાદ પર કોઇપણ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવે તો તેની જાણ ફરિયાદીને કરવામાં આવતી હોય છે પરંતુ, ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિ તરફથી પણ ગ્રાહકલક્ષી ફરિયાદો તોલમાપ ખાતામાં કરવામાં આવતી હોય છે પરંતુ, આ વિભાગ તરફથી સંસ્થાને કરવામાં આવેલી કાર્યવાહીની જાણ કરવામાં આવતી નહીં હોવાથી ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિ તરફથી જાહેર માહિતી અધિકાર એક્ટ હેઠળ અરજી કરીને તોલમાપ વિભાગ પાસેથી પોતે કરેલી ફરિયાદમાં શું કાર્યવાહી કરવામાં આવી તેની વિગતો માંગી હતી.
RTIની કલમોનો સહારો લઈ માહિતી આપવાની ના પાડી
આ અંગે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલે જણાવ્યું છે કે, અમદાવાદના કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરીને કોઇપણ વ્યક્તિ કે ફરીયાદી પક્ષ પોતે RTI કરી જાહેર હિતમાં માહિતી માગે તો ફરિયાદીને પોતાની ફરીયાદ અંગે થયેલી કાર્યવાહી તથા લેવાયેલા પગલાં અંગે જાણવાનો પૂરેપૂરો હક્ક છે પરંતુ, તોલમાપ ખાતાના અધિકારીઓ RTI એક્ટની કલમ-11 તથા તેની પેટા કલમોના બહાને ગુનેગારોને છાવરવા તથા ભૂલો પર ઢાંકપિછોડો કરવા તથા પોતાની નબળી કામગીરી વિશાળ હિતમાં જાહેર ના થાય તે હેતુથી મૂળ ફરિયાદીને પણ માહિતી આપતાં નથી.
જાહેર હિતને ધ્યાનમાં રાખી માહિતી આપી શકાય – દિલ્હી હાઇકોર્ટ
તેમણે ગ્રાહક કોર્ટોના જુદા જુદા ચુકાદાઓને ટાંકીને જણાવ્યું છે કે, RTIની કલમ-11 મુજબ માંગેલ માહિતી ત્રાહિત વ્યક્તિઓ સંબંધિત હોવા છતાં પણ વિશાળ હિતમાં આપી શકાય તેવું ચુકાદામાં નક્કી થયું છે. માહિતી જાહેર કરવાથી તેનો દુરપયોગ થશે તેવી દહેશત માત્રથી માહિતી જાહેર ન કરવાનું વાજબી માની શકાય નહીં તેવો પણ દિલ્હી હાઇકોર્ટનો ચુકાદો છે અને માંગેલ માહિતી ત્રાહિત પક્ષકારને લગતી ખાનગી પ્રકારની હોય તો પણ ત્રાહિત પક્ષકારને રૂબરુ સાંભળીને માહિતી આપવા અંગે વિશાળ જાહેર હિતને ધ્યાનમાં રાખી નિર્ણય કરી શકાય પરંતુ, તોલમાપ ખાતાના જવાબદાર અધિકારીઓ દ્રારા ઇન્કાર કરી દીધો હત ફક્ત એટલું જ નહીં પરંતુ, ત્રાહિત પક્ષકારને લગતી માહિતી હોવાથી ત્રાહિત પક્ષને જાણ કરી સામેથી મંજુરી મળે તો માહિતી આપવામાં આવશે તેમ જણાવ્યું છે.
કલમોનું ખોટુ અર્થઘટન કરીને જાણકારી ન આપવાનો પ્રયાસ
ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સૂચિત્રા પાલે જણાવ્યું છે કે, નેશનલ હેન્ડલૂમ કોર્પોરેશન- શાહીબાગ, અમદાવાદમાંથી વેચાતી પ્રોડક્ટ કીંગ્સ ગેટ લંડનના વેચાણમાં લિગત મેટ્રોલોજી પેકેજડ કોમોડીટીઝ રૂલ્સ 2011ના નિયમોનો ભંગ થતો હોવાથી અમોએ ખુદે ફરિયાદ આપી હતી. તે જ રીતે સંતોષ ગેસ એજન્સી- ચાંદલોડિયામાંથી ડીલિવરી માટે લઇ જવાતા ગેસના સિલિન્ડરના વજન ઘટ અંગે પણ તેમણે ફરિયાદ આપી હતી પરંતુ, અમો ફરિયાદીને કોઇપણ બાબતની જાણ કરી ન હતી. જેથી અમોએ આ બાબતે થયેલ કાર્યવાહી જાણવા માહિતી માંગતા કોઇપણ માહિતી પુરી પાડી ન હતી. અવારનવાર ઘણી બધી ફરિયાદો પર કામગીરી કરવામાં આવતી હોવા છતાં પણ ગુનેગારો સામે કરેલી કાર્યવાહી જાહેર કરવામાં તોલમાપ ખાતાના અધિકારીઓને શરમ નડતી હોય તેવું લાગે છે. વારંવાર ફરિયાદીઓ તથા આરટીઆઇ એકટીવીસ્ટને માંગેલી માહિતી પુરી પાડવી ના પડા તેટલા માટે માહિતી અધિકારીના કાયદાની કલમોનું ખોટું અર્થઘટન કરી કરેલી કાર્યવાહીની જાણકારી લોકો સુધી ના પહોંચે તેવા ભરપુર પ્રયત્નો કરવામાં આવે છે.
શું કોઈ ગુનેગાર ગુનાની વિગતો જાહેર કરવા સંમતિ આપે ખરા?
ગ્રાહકોની ફરિયાદ અન્વયે તથા પોતાની નિયત થયેલી જવાબદારીના ભાગરૂપે સ્થળ ચકાસણી કરી કાર્યવાહી કરતાં હોવાનું RTIના જવાબમાં જણાવે છે પરંતુ, કરેલી કાર્યવાહી અંગેની સ્પષ્ટ વિગતો જેવા કે નામ, સરનામા, ગુના સહિત થયેલ સજા કે વસૂલવામાં આવેલા દંડ અંગેની માહિતી માંગવા છતાં પણ આપવામાં આવતી નથી. આમ ફરીયાદી ગ્રાહકને કરેલી ફરિયાદ અંગે થયેલ કાર્યવાહી અંગે જાણવાનો પુરેપુરો હક્ક હોવા છતાં માહિતી પુરી પાડવામાં આવતી નથી. એક તરફ સરકાર તરફથી ગ્રાહક જાગૃતિ દિને ‘જાગો ગ્રાહક જાગો’ના સૂત્ર આપે છે. બીજી તરફ એ જ સરકારી વિભાગ જાગેલાં ગ્રાહકને જવાબ આપવાની તસ્દી સુધ્ધાં લેતાં નથી. એટલું જ નહીં પરંતુ ફરીયાદી જવાબ માંગે ત્યારે તેમને ત્રાહિત પક્ષકારને લગતી માહિતી હોવાથી ત્રાહિત પક્ષને જાણ કરી સામેથી મંજુરી મળ્યેથી જ માહિતી આપવામાં આવશે તેમ જણાવે છે. તો શું કોઇ ગુનેગાર પોતાની વિરુધ્ધની વિગતો જાહેર કરવા માટે સંમંતિ આપે ખરા ? આ રીતે પરોક્ષ રીતે માહીતી આપતાં નથી.