અમદાવાદ28 મિનિટ પહેલા
- કૉપી લિંક
3 દિવસ વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે એક મહિલા સહિત 3ના મૃત્યુ થયા હતા. જેમાં રિવરફ્રન્ટમાં બાઈક લઈને જઈ રહેલા એક પુરુષને ગળામાં વાયર આવી જવાથી બાઈક સાથે સ્લિપ થઇ જતા ચાલકનું મૃત્યુ થયું હતું. જ્યારે વાડજમાં ઝાડ નીચે દબાઈ જવાથી એક પુરુષનું મૃત્યુ થયું હતું. તેમજ સુભાષબ્રિજ જેલ ભજિયા હાઉસ પાસે જમીનમાંથી પસાર થયેલો કરંટ લાગવાથી મહિલાનું મૃત્યું થયું હતું.
વાડજમાં ઝાડ પડતા, આરટીઓ સર્કલ પાસે કરંટ લાગતાં મોત
જુહાપુરા ફેતેવાડી મસ્તાને મસ્જિદ પાસે રહેતા નૂરઆલમ જમાલુદ્દીન હવાલી(40) તા.28 મે ને રવિવારે સાંજના 7.45 વાગ્યે રિવર ફ્રન્ટ ફલાવર શો નજીકથી બાઈક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે વાવાઝોડાના કારણે તેમના ગળામાં વાયર આવી જતા નૂરઆલમ બાઈક સાથે રોડ ઉપર સ્લિપ થઈ ગયા હતા. માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થવાથી નૂરઆલમને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતુ. આ અંગે રિવરફ્રન્ટ પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
વાવાઝોડાના કારણે ઝાડ તૂટી ઉપર પડયું
આ ઉપરાંત જૂના વાડજ એમપીની ચાલીમાં રહેતા મનોજભાઈ ધનજીભાઈ મકવાણા(45) તા.28 મે ના રાતના 9 વાગ્યે ઘર નજીકથી ચાલતા જઈ રહ્યા હતા. ત્યારે વાવાઝોડાના કારણે ઝાડ તૂટીને મનોજભાઈ ઉપર પડયુ હતુ. જેથી માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેમને સાકલાક માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં રાતે 11.20 વાગ્યે મનોજભાઈનું મૃત્યુ થયુ હતુ. આ અંગે વાડજ પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
કરંટ લાગવાથી મોત થયું
જ્યારે ગાંધીનગર જિલ્લાના માણસામાં આવેલા ખોડલ એપાર્ટમેન્ટમાં રહેતા બિનાબહેન લાલજીભાઈ પંચાલ(48) તા.28 મેના રવિવારે સાંજે 6 વાગ્યે સુભાષબ્રિજ આરટીઓ કચેરીના ગેટ નજીક આવેલા જેલ ભજિયા હાઉસ પાસે ઉભા હતા. ત્યારે વરસાદના કારણે ત્યાં પાણી ભરાઈ ગયા હતા. દરમિયાનમાં જમીનમાંથી વીજ કટંર પસાર થતા બિનાબહેનને કરંટ લાગવાથી આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે રાણીપ પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જ્યારે વરસાદ અને વાવાઝોડાના કારણે શહેરભરમાં સંખ્યાબંધ ઝાડ પડવાના બનાવ બન્યા હતા. તેમજ વાહન ચલાવતી વખતે ઘણા બધા લોકો સ્લિપ થઈ ગયા હતા.