વડોદરા3 કલાક પહેલા
- કૉપી લિંક

વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા અને પાસપોર્ટ-વિઝાનું કામ કરતા યુવાનનું અપહરણ કરી જઇ ઢોર માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ બનાવમાં માતા દ્વારા મકરપુરા પોલીસ ફરિયાદ લેતી ન હોવાની અને મકરપુરા પોલીસ મથકના પી.આઇ.એ પતિને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે તો બીજી બાજુ એ.સી.પી.એ જણાવ્યું છે કે, પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી છે અને આ બનાવ અંગે તપાસ ચાલી રહી છે.
પરિવાર પોલીસ ભવન પહોંચ્યું
આ બનાવની વિગત એવી છે કે, શહેરના મચ્છીપીઠ વિસ્તારના આવેલ સરવન ટેકરા ખાતે પરિવાર સાથે રહેતા અમાન શેખ પાસપોર્ટ-વિઝાનું કામ કરે છે. અમાન શેખ પાસેથી નાણાંની વસુલાત માટે કિંજલ શાહ નામનો યુવાન તા. 14 મેં ના રોજ તેના ઘરેથી કારમાં મુંબઇ લઇ ગયો હતો અને મુંબઇમાં તેને ગોંધી રાખી કિંજલ શાહ અને તેના સાગરીતો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પરિવાર દ્વારા મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે ગયું હતું પરંતુ, પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતા પરિવાર પોલીસ ભવન પહોંચ્યું હતું અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

પરિવાર દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી
આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરો
અમાન શેખની માતા રઝીયા સલીમભાઇ શેખે કિંજલ નરેશભાઇ શાહ, હિરેન નરેશભાઇ શાહ, રાહુલ (રહે. મુંબઇ), બીટ્ટુ (રહે. મુંબઇ), ડૉ. બીનલ (રહે. નડીયાદ), પશુપતિનાથ હોટલના મેનેજર યોગેશકુમાર મહેન્દ્રભાઇ અને પશુપતિ હોટલના માલિક ભીમ રબારી સામે પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં તેઓએ આ તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.
હોટલના સ્ટાફે ભેગા મળી માર્યો
હુમલાખોરોનો ભોગ બનેલા અમાન શેખની માતા રઝીયા શેખે પોલીસ કમિશનરને આપેલી અરજીમાં જણાવ્યું છે કે, તા.14 મેના રોજ મારા પુત્ર અમાન શેખને કિંજલ શાહ મુંબઇ અપહરણ કરીને લઇ ગયો હતો અને ત્યાં તેને માર મારવામાં આવ્યો હતો. કિંજલના માણસો અમાનને વડોદરા લાવ્યા છે અને તરસાલી પાસે આવેલ એક હોટલમાં ગોધી રાખ્યો હોવાની જાણ થતાં તે હોટલ પર પહોંચ્યા હતા. જયાં પરિવાર પર હોટલના મેનેજર અને સ્ટાફે ભેગા મળી હુમલો કર્યો હતો.

હુમલાખોરનો ભોગ બની રહેલો અમાન શેખ
પોલીસ દ્વારા ધમકી
જો કે, હોટલ પર મકરપુરા પોલીસ પહોંચી જતા અમાનને છોડાવી અમને સોંપ્યો હતો અને આરોપીઓની અટકાયત કરી મારા મોટા પુત્ર અને પતિને પોલીસ મથકે લઇ ગયા હતા અને તેમની ખોટી રીતે અટકાયત કરી હતી. અટકાયત બાબતે મકરપુરા પોલીસ મથકના પોલીસ અધિકારીને પૂછતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને 3.50 લાખ ફરિયાદીને આપીને સમાધાન કરી લો નહિં તો તમારા પર અલગ-અલગ કેસ કરી સમાજમાં બદનામ કરી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારજનો દ્વારા પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવી ન્યાયની માગ તથા યોગ્ય તપાસની માગ સાથે પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે.

મારા પુત્રને કિંજલ શાહે ઢોર માર માર્યો હોવાનો માતાનો આક્ષેપ
ઘરે આવીને લઇ ગયા
રઝીયા શેખે જણાવ્યું હતું કે, મારા પુત્ર અમાન શેખને કિંજલ શાહ ઘરે આવીને લઇ ગયા બાદ અમારી પાસે ફોન ઉપર રૂપિયા 5 લાખની માંગણી કરી હતી અને રૂપિયા 5 લાખ નહિં આપો તો તેના હાથ કે માથું કાપી નાંખવાની ધમકી આપી હતી. કિંજલે કહ્યું હતું કે, અમાનના કારણે ધંધામાં ખોટ ગઇ છે. આ બાબતે કારેલીબાગ પોલીસ મથકમાં અરજી પણ આપવામાં આવી હતી. મકરપુરા પોલીસે મારા પુત્રને કિંજલ શાહ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ લીધી નહોતી.
મારા પુત્રને ડ્રગ્સના ઇન્જેક્શન આપ્યા
રઝીયા શેખે એવો પણ આક્ષેપ મુક્યો હતો કે, કિંજલ શાહ અને તેના સાગરિતોએ પુત્ર અમાન શેખને ડ્રગ્સના ઇન્જેક્શન આપીને બેભાન અવસ્થામાં જ રાખ્યો છે. પુત્રને મારેલા ડ્રગ્સના ઇન્જેક્શનનો મેડિકલ રિપોર્ટ પણ આવ્યો છે. આ ઉપરાંત મારા પુત્રને ઢોર માર મારીને તેની પાસે કબુલાત કરાવવામાં આવી છે. જે અંગેના તમામ પુરાવા અમારી પાસે છે.

ન્યાય માટે માતાની માંગ
પરિવારને ન્યાય આપો
આ ઉપરાંત અમાનના પરિવારના અન્ય સભ્ય ઝાકીર સોદાગરે જણાવ્યું હતું કે, મકરપુરા પોલીસ મથકના પી.આઇ. મારા સબંધી સલિમભાઇ શેખને ઢોર માર માર્યો છે. સલિમભાઇ એટલા ગભરાઇ ગયા છે કે, અમારા વકીલને પણ પોલીસ અધિકારી મળવા તૈયાર નથી. ખોટી રીતે સલિમભાઇનું નામ ફરિયાદમાં દાખલ કરી દીધું છે. અમોને ન્યાય મળે તેવી અમારી માગ છે.
મકરપુરા પી.આઇ.ને સસ્પેન્ડ કરવા માગ
સામાજિક કાર્યકર રીયાઝભાઇએ જણાવ્યું હતુ કે, જે પીડિત અમાન શેખની ફરિયાદ લેવાના બદલે કિંજલ શાહની મકરપુરા પોલીસે ફરિયાદ લઇ અમાન શેખ અને તેના પરિવારજનો સામે કાર્યવાહી કરી રહી છે. અમે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને અમે મકરપુરા પોલીસ મથકના પી.આઇ.ને તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ છે.
ધમકી આપી કબૂલાત
શહેરના મચ્છીપીઠ સરવન ટેકરાના રહેવાસી અમાન શેખને નાણાંકીય લેવડ-દેવડમાં કિંજલ શાહ પટ્ટાથી માર મારતો હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. તદુપરાંત એક વીડીયોમાં લોહી લૂહાણ થયેલા અમાન શેખને પોતે ગુનેગાર છે. પૈસા આપી દેવાની વાત કરવામાં આવી રહી છે. જેલમાં કેટલાં મહિના રહ્યો હોવાની કબુલાત કરાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોએ ભારે ચકચાર જગાવી મૂક્યો છે. હુમલાખોરોનો ભોગ બનેલા અમાન શેખના પરિવારજનો દ્વારા પોલીસને પણ વીડિયો આપવામાં આવ્યા છે અને આ બનાવ અંગે તપાસ કરવા માંગણી કરી છે.
પોલીસની તટસ્થ તપાસ જરૂરી
આ સમગ્ર ઘટના અંગે એવી પણ માહિતી મળી છે કે, હુમલાખોરોનો ભોગ બનેલ અમાન શેખ અને હુમલાખોર કિંજલ શાહ બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ત્યારે આ ઘટના અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તો પાસપોર્ટ-વિઝાનું ચોંકાવનારું કૌંભાડ બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. જોકે, હુમલાખોરો દ્વારા નાણાંકીય લેવડ-દેવડમાં જે કાયદો હાથમાં લઇને અમાન શેખને માર મારવામાં આવ્યો છે. તે રૂવાંટા ઉભા કરી દે તેવો છે.