અમદાવાદ4 કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદના વિશાલા સર્કલથી નારોલ તરફ જતા શાસ્ત્રી બ્રીજ પરથી એક યુવકે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. રોડ પરથી પસાર થતાં અન્ય રીક્ષાચાલકે આ ઘટનાને જોતા જ ત્યાં આગળ ઉભેલા ટીઆરબી જવાનને જઇને જાણ કરી હતી. ટીઆરબી જવાન હજુ ત્યાં પહોંચી તે યુવકને બચાવવા પ્રયાસ કરે તે પહેલા તેનું મોત નિપજ્યુ હતું. જેથી આ અંગે ફાયરબ્રીગેડ અને પોલીસને જાણ કરાઇ હતી. જોકે, અનેક કલાકો સુધી વેજલપુર, વાસણા, રિવરફ્રન્ટ અને નારોલ પોલીસે એકબીજાને હદ બાબતે ખો આપી એક યુવકના મોતનો મલાજો પણ જાળવ્યો નહોતો.
યુવકનું પાણીમાં ડૂબી જતા મોત
મંગળવારે બપોરના સુમારે વિશાલાથી નારોલ તરફ જતા શાસ્ત્રી બ્રિજ પરથી એક રીક્ષાચાલકે આપઘાત કર્યો હતો. બ્રીજ પરથી ઝંપલાવી સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરવાની ઘટના અન્ય એક રીક્ષાચાલકના ધ્યાને આવી હતી. જેથી ત્યાં આગળના પોઇન્ટ પર ફરજ બજાવતા ટીઆરબી જવાન ચિરાગભાઇ ઇન્દ્રવદનને જાણ કરતા તેઓ તાત્કાલિક આ યુવકને બચાવવા ગયા હતા. પણ તે પહેલા યુવકનું પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યુ હતું.
પોલીસે એકબીજાને ખો આપી
જેથી ફાયરબ્રીગેડ અને પોલીસ કંટ્રોલરૂમને જાણ કરાતા પોલીસ ત્યાં આવી હતી. પણ વાસણા, વેજલપુર, નારોલ અને રિવરફ્રન્ટ પોલીસે એકબીજાને ખો આપી હતી. ત્યાં સ્થળ પર મૃતકના પરિવારજનો આવી પહોંચતા મરણ જનાર કપિલભાઈ (રહે. ઇસનપુર) કેમ આપઘાત કર્યો તે બાબતે તેઓ અજાણ હોવાનું જણાવી રહ્યા હતા. ત્યારે હવે પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકના આપઘાત પાછળનું કારણ જાણવા તજવિજ હાથ ધરી છે.