32 મિનિટ પહેલા
- કૉપી લિંક
મૃતક જમીન દલાલ જતીન દરજીની ફાઇલ તસવીર
હાલોલ શહેરમાં મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા અને જમીનોના લે-વેચનો ધંધો કરતા 41 વર્ષીય જતીન દરજીની ત્રણ ટુકડામાં મળેલી લાશને અકસ્માતમાં ખપાવવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે. સાવલી પોલીસે શરૂ કરેલી તપાસમાં જતીન દરજીની હત્યા કરાઇ હોવાની સનસનાટી ભરી વિગતો પ્રકાશમાં આવી છે. પોલીસે જતીન દરજીની પત્નીની ફરિયાદનાઆધારે નાગજી ભરવાડ સહિત તેના મળતીયાઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કરતા હાલોલ અને સાવલી પંથકમાં ખળભળાટ મચી ગયો છે. જમીન દલાલની હત્યા પ્રેકરણ અને નાણાંની લેવડ-દેવડમાં હત્યા કરાઇ હોવાનું મનાઇ રહ્યું છે.
પત્નીએ ફરિયાદ નોંધાવી
મળેલી માહિતી પ્રમાણે હાલોલના જતીન દરજીના હાઈ પ્રોફાઈલ બની ગયેલા આ મર્ડર કેસમાં પોલીસ તંત્રની ટીમો દ્વારા પ્રેમ પ્રકરણ ધંધાકીય હરીફાઈ અદાવત સહિતના એંગલો પર તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં નાગજીભાઈ ભરવાડ અને તેના મળતીયાઓ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સાવલી પોલીસ મથકે જતીનની પત્ની બીરલબેન જતીનકુમાર દરજી (રહે ૪૩ મંગલમૂર્તિ ડુપ્લેક્સ હાલોલ)ની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હત્યા બીજી જગ્યાએ કરાઇ હોવાની ચર્ચા
સાવલી પોલીસના સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી નાગજી ભરવાડ મૃતક જતીન દરજીને કોઈ અગમ્ય કારણોસર મારી નાખીને તેમની લાશને રેલવે ટ્રેક પર નાખીને કપાવી દીધી હોવાનું બહાર આવ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે મૃતકની સ્વીફ્ટ કાર લાવીને જતિનનો મૃતદેહ રેલ્વે ટ્રેક પર ફેંકી દીધો હોવાનું બહાર આવ્યું છે.
સાવલી પોલીસ મથકે પર્દાફાશ કર્યો
હત્યાનું ચોક્કસ કારણ અકબંધ
સાવલી પી.એસ.આઇ. રાજેશભાઈ વાઘેલાના જણાવ્યા પ્રમાણે પોલીસની ટીમોએ આરોપી નાગજી ભરવાડના તમામ આશ્રય સ્થાન ઉપર દરોડા પાડ્યા છે પરંતુ, હજુ સુધી તેના કોઈ સગડ મળ્યા નથી. જો કે, પોલીસે શંકાસ્પદ તરીકે વિજય નાયક નામના ઇસમને અટક કરીને પૂછપરછ કરવા તેમજ કોરોનાનો રિપોર્ટ કરાવવા ચક્રો ગતિમાન કર્યા છે. આમ રેલ્વે ટ્રેક પરથી મળેલ લાશના પ્રકરણમાં પોલીસની તપાસમાં હત્યા હોવાનું બહાર આવ્યું છે. જો કે, હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
અકસ્માતનો ગુનો હત્યામાં ફેરવાયો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાવલી પોલીસ દ્વારા વિવિધ થીયરીઓ પર કામ કરીને ગુનો ઉકેલવામાં સફળતા મળી છે. જો કે, આરોપી હજુ પોલીસ પહોંચની બહાર છે. હાલોલથી સાવલી જવા માટે નાગજીભાઈને સાથે લઈને મંગળવારની મોડી સાંજે જતીન દરજી પોતાની કાર લઈને નીકળ્યો હતો. આ સંદર્ભમાં કોઈક પરિચિત સાથે કરેલ વાતચીતની ઓડિયો ક્લિપ સાવલી પોલીસ તંત્રના તપાસ કરતા સત્તાધીશો સમક્ષ રજૂ કરવામાં આવતા. આ જતીન દરજીના અકસ્માતે મોતનો ગુનો હત્યામાં ફેરવાઈ ગયો હતો.
ઘટના સ્થળ પાસેથી કાર મળી
અત્રે નોંધનીય છે કે, બુધવારની વહેલી સવારે જતીન દરજીનો મૃતદેહ ખાખરીયા ગામેથી પાસેથી પસાર થતા મુંબઈ-દિલ્હી રેલવે ટ્રેક ઉપરથી ત્રણ ટુકડામાં કપાઈ ગયેલ હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે જતીન દરજીની કાર ઘટનાસ્થળેથી અંદાજે 3 કિલોમીટર દૂર એ.સી. અને ટેપ સાથે ચાલુ હાલતમાં મળી આવતા ઘટનાસ્થળે દોડી આવેલ પોલીસ તંત્રના સત્તાધીશો પણ ચોકી ઉઠયા હતા.