11 મિનિટ પેહલા
- કૉપી લિંક

ફટાકડાના સ્ટોલમાં આગ લાગતા લાખ્ખોના ફટાકડા ફૂટી ગયા
સરસ્વતીના સરીયદમાં આજે ભયંકર આગ લાગવાની ઘટના બની હતી. ગામમાં આવેલા ફટાકડાના સ્ટોલમાં આગ લાગી હતી, જેના કારણે અફરાતફરી મચી હતી. ફટાકડાના સ્ટોલોમાં આગ લાગતાં લાખોના ફટાકડા ફૂટી ગયા હતા તેમજ બે બાઈક પણ આગની ચપેટમાં આવી ગઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.સરસ્વતીના સરીયદમાં આજે બે ફટાકડાના સ્ટોલમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેથી અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. ભયંકર આગ લાગતાં સ્ટોલની બાજુમાં રહેલી બે બાઈક પણ આગની ચપેટમાં આવી ગઈ હતી તેમજ બે સ્ટોલમાં રહેલો તમામ મુદ્દામાલ આગમાં શ્વાહા થઈ ગયો હતો, જેથી લાખોનું નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ છે. આકસ્મિક કારણસર ફટાકડાના સ્ટોલમાં આગ ભભૂકી ઊઠી હતી, જેથી એક બાદ એક ફટાકડા ધાણીની જેમ ફૂટવા લાગ્યા હતા. દિવાળીના તહેવારમાં ફટાકડાનું વેચાંણ થાય એ પહેલા જ ફટાકડા ફૂટી ગયા હતા..આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેથી નજીકમાં રહેલી એક CNG રિક્ષા અને ગાડી પણ આગની ચપેટમાં આવતાં બચી ગઈ હતી. સ્થાનિકોએ પાણીનો છટકાવ શરૂ કર્યો હતો, જેને પગલે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આ ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નથી, જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે ફટાકડાના સ્ટોલધારકોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
શોપિંગ સાથે આકર્ષક ઇનામો જીતવાની તક
મુસાફર કેન્દ્રિત સુવિધાઓ પ્રદાન કરવામાં અગ્રેસર સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ‘વન નેશન બિલિયન સેલિબ્રેશન’ અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસના આનંદમાં અભિવૃદ્ધિ કરશે. 90 દિવસ સુધી ચાલનારા આ અભિયાનમાં પ્રાદેશિક ઉત્સવોની ઉજવણી, વર્લ્ડકપ સ્ક્રીનીંગ, થીમેટિક ડેકોર, પેસેન્જર એન્ગેજમેન્ટ એક્ટીવેશન્સ અને આકર્ષક ‘શોપ એન્ડ વિન’ જેવી વિવિધ પ્રવૃત્તિઓ થશે.SVPI એરપોર્ટ પરથી મુસાફરી કરતા લોકોને દિવાળી, નાતાલ અને નૂતનવર્ષના તહેવારોની વાઈબ્રન્ટ ઉજવણી દ્વારા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાણવા અને માણવાની તક મળશે. એટલુ જ નહીં, ખેલ રસીકોને ICC ક્રિકેટ ટુર્નામેન્ટ, વર્લ્ડ કપ-2023ના સ્ક્રીનિંગનો આનંદ પણ માણી શકશે. ડોમેસ્ટિક એરપોર્ટ T-1ના આગમન પ્લાઝા પર વિશાળ 360 સ્ક્રીન પર જીવંત પ્રસારણ નિહાળી શકાશે.અંધકાર પર પ્રકાશનો વિજય દર્શાવતા તહેવારની ઉજવણીમાં ચારચાંદ લગાવવા એરપોર્ટ પર દિવાળીની મનમોહક થીમ આધારિત સજાવટ કરવામાં આવી છે. રસપ્રદ પેસેન્જર પ્રવૃત્તિઓ અને ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે દ્વારા મુસાફરોનું મનોરંજન પણ કરવામાં આવશે.’વન નેશન બિલિયન સેલિબ્રેશન’માં ‘શોપ એન વિન’ સ્પર્ધા પણ રાખવામાં આવી છે, જે મુસાફરોને વિવિધ આઉટલેટ્સ પર ખરીદી કરીને આંતરરાષ્ટ્રીય પ્રવાસો, રોયલ એનફિલ્ડ બાઇક અને સ્માર્ટફોન સહિતના આકર્ષક ઇનામો જીતવાની તક આપશે. આ ઈવેન્ટમાં વૈશ્વિક પ્રેક્ષકોને વૈવિધ્યસભર અનુભવ પ્રદાન કરવા 50થી વધુ બ્રાન્ડ્સ ભાગ લેશે. ‘વન નેશન બિલિયન સેલિબ્રેશન્સ’માં ભાગ લેતા મુસાફરો 50+ બ્રાન્ડ્સ પર 100+ પ્રમોશન ઑફર્સ મેળવી પ્રવાસનનો ઉન્નત અનુભવ મેળવી શકશે.
મુસાફરોની સુવિધા માટે વડોદરા રેલ્વે તંત્ર અલર્ટ
વડોદરા રેલવે વિભાગ દ્વારા રેલવે સ્ટેશન ખાતે હાલમાં દિવાળી પર્વને લઇ મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગત રોજ સુરતમાં મુસાફરોની ભીડભાળના કારણે બનેલી ઘટનાને પગલે વડોદરા રેલવે વિભાગ એલર્ટ બન્યું છે. પશ્ચિમ રેલવેના વડોદરા રેલવે સ્ટેશન પર ડીઆરએમ જીતેન્દ્રસિંહ નિરીક્ષણ માટે પહોચ્યા હતા. અને રેલવે સ્ટેશનની વ્યવસ્થાનું નિરીક્ષણ જાર્યું હતું.વડોદરા રેલવે સ્ટેશન ખાતે રેલવેના અધિકારીઓ અને પોલીસના જવાનો અધિકારીઓ સાથે પોહચ્યા હતા. રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોને મુશ્કેલી ન પડે એના માટે રિઝર્વેશન બારી વધારવામાં આવી છે. સાથે ટ્રેનોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન પર ભીડભાડ ન થાય તેના માટે રેલવે પોલીસની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. હાલમાં વડોદરા રેલવે સ્ટેશન પર સામાન્ય પરિસ્થિતિ છે. આ અંગે પશ્ચિમ રેલવેના ડી આર એમ જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આજે અમે માત્ર વિઝીટ નથી કરી રહ્યા આ અમરી નોકરીનો એક ભાગ છે. રેલવે વિભાગ તહેવારોને લઇ તમામ તંત્ર અલર્ટ છે. કારણકે પેસેન્જર ખૂબ વધુ હોય છે. હાલમાં કાઉન્ટર વધારી દેવામાં આવ્યા છે. સાથે એનાઉન્સમેન્ટ સિસ્ટરમ વધારી દેવામાં આવી છે. સ્ટાફનો પણ ખૂબ વધારો કરવામાં આવ્યો છે. આરપીએફના સ્ટાફ પણ ડબલ કરી દેવામાં આવ્યો છે. ગઈ કાલે 7 જેટલી ગાડીઓ મુંબઈથી ચાલી છે આજે વડોદરાથી સ્પેશિયલ હરિદ્વાર માટે ચાલી રહી છે. તમામ તંત્ર અલર્ટ મૂળ પર છે.કોઈ પણ પ્રકારની અસુવિધા ન ઉદભવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ટિમ્બરના વેપારીપુત્રનું અપહરણ કરી સવા કરોડની ખંડણી માગી હત્યા
અંજારના મેઘપર બોરીચીની મંગલમ્ સોસાયટીમાં રહેતો 19 વર્ષીય યશ સોમવારે સવારે મોપેડ લઈને કોલેજ જવા નીકળ્યો ને બાદમાં રહસ્યમય રીતે અપહરણ થયું. સાંજે અજ્ઞાત શખસનો યશની માતાને ફોન કરી 11 તારીખે મુંબઈ આવી સવા કરોડ રૂપિયા આપી જવા જણાવ્યું. અંજારના આશાસ્પદ યુવક યશ તોમરના ભેદી સંજોગોમાં અપહરણ થયાના આજે પાંચમા દિવસે આદિપુરના પંચમુખી હનુમાન મંદિરની પાછળ બાવળની ઝાડીમાં દાટી દેવાયેલી ડીકમ્પોઝ થયેલી લાશ મળી. મૃતકનાં કપડાં અને પહેરેલી ઘડિયાળ પરથી હતભાગી યશના પિતાએ લાશની ઓળખ કરી.અંજારના મેઘપર બોરીચીમાં આવેલી મંગલમ્ રેસિડેન્સીમાં રહેતો 19 વર્ષનો યશ સંજીવકુમાર તોમર સવારે 10 વાગ્યે નિત્યક્રમ મુજબ એક્ટિવા લઈ ઘેરથી કોલેજ જવા નીકળ્યો હતો. સાંજે 5 વાગ્યા સુધી પરત ન આવતાં તેની માતાને અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતે યશનું અપહરણ કર્યું હોવાનું જણાવ્યું હતું. એ બાદ યશને છોડાવવા માટે ખંડણીખોરે 11 તારીખે મુંબઈ આવી સવા કરોડ રૂપિયા આપી જવા જણાવ્યું હતું. ખંડણી માગતાં પૂર્વ કચ્છ પોલીસબેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટના અંગે પૂર્વ કચ્છ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ સહિત વિવિધ 10 ટુકડીએ ગહન તપાસ હાથ ધરી હતી.યશે અપહરણ થયાના દોઢેક કલાક પહેલા સવારે 11:20 કલાકે સ્નેપચેટ નામની સોશિયલ નેટવર્કિંગ અને મેસેજિંગ એપ પર બાવળની ઝાડીની ચાર સેકન્ડનો વીડિયો ક્લિપ શૅર કરી ‘ફસ ગયા’ એવો મેસેજ પોસ્ટ કર્યો હતો. આ મેસેજનું લોકેશન ટ્રેસ કરી પોલીસે આદિપુરના પંચમુખી હનુમાન મંદિર પાછળની બાવળની ઝાડીના લાંબા પટ્ટામાં ગુરુવાર અને શુક્રવારે સઘન સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ દરમિયાન શુક્રવારે રાત્રે બાવળની ઝાડીમાંથી યશનું એક બૂટ મળી આવ્યું હતું. નજીકમાં તાજો ખાડો ખોદી કોઈકનો મૃતદેહ દાટી દેવાયો હોવાનું જણાતાં ચકચાર પ્રસરી ગઈ હતી.
વતન જવાની લાયમાં એકે જીવ ગુમાવ્યો
સુરત રેલવે સ્ટેશન પરથી બે દિવસથી ઊપડતી ટ્રેન પકડવા મોટી સંખ્યામાં મુસાફરો ઊમટી પડતાં અફરાતફરી મચી જવા પામી હતી. આજે પાંચ લોકો દબાઈ જવાના કારણે ઢળી પડ્યા હતા, જેથી ત્યાં હાજર રેલવે પોલીસ દ્વારા CPR આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જે પૈકી બેની હાલત ગંભીર થતાં 108 દ્વારા નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં એક યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.આ ઘટનાને પગલે રેલવેતંત્ર, પોલીસ વિભાગ હરકતમાં આવ્યાં હતાં. મોટી સંખ્યામાં પોલીસનો સ્ટાફ રેલવે સ્ટેશન પર દોડી ગયો હતો, જ્યાં લોકોની ભીડને કાબૂમાં લઈ બેભાન થયેલા લોકોને સારવારમાં ખસેડ્યા હતા. હાલ રેલવે સ્ટેશન પર પોલીસે સમગ્ર ભીડ પર કાબૂ મેળવી લીધો છે. રેલવે સ્ટેશન સામાન્ય ભીડ જોવા મળી રહી છે.આ સમગ્ર ઘટના બાદ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ સ્મિમેર હોસ્પિટલ પહોંચ્યાં હતાં, જ્યાં ધક્કામુક્કીમાં મૃત્યુ પામનારના ભાઈ અને ઇજાગ્રસ્ત મહિલાની મુલાકાત લીધી હતી. ઇજાગ્રસ્તો પાસેથી માહિતી મેળવી સમગ્ર ઘટના અંગેનો તાગ મેળવ્યો હતો. ઘટના બાદ મંત્રીઓ અને રેલવે પ્રશાસન દોડતું થયું છે. મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવાની દર્શના જરદોશે જાહેરાત કરી હતી. આ સાથે જ રેલવે પ્લેટફોર્મ પર સુવિધા આપવા મામલે કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રીએ ગોળ ગોળ વાત કરી હતી.આ મામલે રેલવે પોલીસના DySp ડી. એચ. ગૌરે જણાવ્યું હતું કે આ પ્રકારની સ્થિતિ સર્જાતાં અંદાજે 75થી વધુ પોલીસકર્મીને ફરજ પર રાખવામાં આવ્યા છે. મુસાફરોને લાઈનમાં લગાવી ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. એસી કોચમાં વધુ સંખ્યામાં લોકો ઘૂસી જવાથી આ અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી. દિવાળીનો સમય હોવાથી મોડી રાતથી સવાર સુધીમાં જ ત્રણથી ચાર હજાર માણસો, તો ક્યારેક પાંચ હજાર માણસો પણ રેલવે સ્ટેશન પર આવી જાય છે.
રાજકોટના નેતાઓ પણ સાયબર ઠગના નિશાને
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સાયબર ક્રાઇમના બનાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જો કે આ સાયબર માફિયાઓ નેતાઓને પણ છોડતા ન હોવાનું રાજકોટમાં સામે આવ્યું છે, જેમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સાયબર ગઠિયાની વાતોમાં આવી છેતરાઇ જતા 15000 રૂપિયાનું ફ્રોડ થયું છે. જ્યારે ધારાસભ્ય રમેશ ટીલાળા સાયબર ફ્રોડનો શિકાર થતાં સહેજમાં અટકી ગયા છે.વાત એમ છે કે રાજકોટ શહેર પોલીસના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધારાસભ્ય રમેશ ટીલાળા અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પોતાની સાથે થયેલી આપવીતી કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટની જનતાને જણાવી સાયબર ફ્રોડથી સાવધાન રહેવા અપીલ કરી હતી. ધારાસભ્ય રમેશ ટીલાળા એ જણાવ્યું હતું કે, તેઓ કોઈ સ્ટેજ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. આ સમયે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી બોલું છું. અમારે ત્યાં બે લોકોની ભરતી માટેની વેકેન્સી છે અને ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરેલા લાયકાત ધરાવતાને તત્કાલ નોકરી આપવાનું કહી વાત કરી હતી. જો કે આ સમયે તેઓ કાર્યક્રમમાં હોવાથી પુરી વાત કરી ન હતી.તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ જે કોલ આવ્યો એ પછી મારા પીએ સાથે વાત કરવાનું કહેતા આ જ બધી વાત સામેવાળી વ્યક્તિએ તેને કહી હતી. આ પછી એ વ્યક્તિએ મારા પીએ પાસે. આધારકાર્ડ અને પાનકાર્ડ માંગવામાં આવ્યા હતા. માટે મારા પીએ દ્વારા આ બાબતે મને પૂછવામાં આવતા મેં તેને આપતા પહેલા ખરાઈ કરી હતી અને જાણ્યું તો આ ફ્રોડ હોવાનું માલૂમ થતાં મેં કોઈ પૂરાવા એને આપ્યા ન હતા અને મારી સાથે ફ્રોડ થતા બચી ગયું હતું.જ્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, મને એક વ્યક્તિનો કોલ આવ્યો હતો અને તે કાર્યકર્તા હોવાનું કહી મારી સાથે વાત કરી હતી. 3 થી 4 વખત અલગ અલગ સમયે ફોન આવતા મને થયું કે હું તેની મદદ કરું. આ સમયે તેને મને કહ્યું કે, મારા પિતાની કેન્સર સારવાર માટે આવ્યો હતો, પરંતુ પિતાનું મૃત્યુ થયું છે, પરિસ્થિતિ ખરાબ છે રૂપિયાની જરૂર છે. મારે મૃતદેહ લઈને અહીંયાથી નીકળવું છે, પરંતુ શબવાહિનીને આપવાના રૂપિયા મારી પાસે નથી, માટે મને મદદ કરી આપશો.
હવે છાત્રો ડો. કલામ, સચિન, મિલ્ખા, નિરજના પાઠ ભણશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ હવે તેના મુખ્ય વિષયો ઉપરાંત ભારતીય વૈજ્ઞાનિકો અને રમતવીરોના પાઠ પણ ભણી શકશે. યુનિવર્સિટીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ઇન્ડિયન નોલેજ સિસ્ટમના વિષયોના બાસ્કેટમાં આ નવો કોર્સ સામેલ કર્યો છે. આ નવા વિષયોમાં ભારતીય વૈજ્ઞાનિક સંશોધકો જેમ કે આર્યભટ્ટ, સુશ્રુત, ચરક, ધન્વંતરિ, ભાસ્કરાચાર્ય, વરાહમિહિરના પાઠ વિદ્યાર્થીઓ ભણશે. આ ઉપરાંત ભારતીય વૈજ્ઞાનિકોમાં સુબ્રમણ્યમ, વિક્રમ સારાભાઇ, એ.પી.જે અબ્દુલ કલામ અને સચિન મિલખા સહિતના ખેલાડીઓના પાઠ ભણશે.ભારતીય વૈજ્ઞાનિકોનું ફેમિલી બેકગ્રાઉન્ડ, તેમનું શિક્ષણ, તેમની કારકિર્દી, પર્સનલ લાઈફ, સફળતાની સ્ટોરી, નવી શોધ, તેમની શોધ રાષ્ટ્ર અને સમાજના વિકાસ માટે કેવી રીતે ઉપયોગી બને છે, તેમની બાયોગ્રાફી, તેમને મળેલા એવોર્ડ અને તેમનું અવસાન.રમતવીરોનું ફેમિલી બેકગ્રાઉન્ડ, પ્રોફેશન- એજ્યુકેશન, પર્સનલ લાઈફ, સ્પોર્ટ્સ કરિયર, સક્સેસ સ્ટોરી, માઈલસ્ટોન એચિવમેન્ટ, એવોર્ડ, મેડલ રેકોર્ડ, સ્પોર્ટ્સ કરિયર સ્ટેટેસ્ટિક, તેમણે ભારતને કેવી રીતે ગૌરવ અપાવ્યું, વારસો, બાયોગ્રાફી અને અવસાન.