જુનાગઢએક કલાક પહેલા
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં 150થી વધુ લોકોએ હિંદુ ધર્મ છોડીને વિધિવત રીતે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. કેશોદ ખાતે આયોજિત કાર્યક્રમમાં 150 કરતાં વધુ પરિવારના સદસ્યોએ એકી સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. આ પ્રંસગે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને ડૉ. બાબા સાહેબ આંબેડકર તેમજ બૌદ્ધ સાહિત્યને સાક્ષી રાખીને હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. જે પરિવારોએ હિન્દુ ધર્મ છોડ્યો હતો. તે પરિવારોએ અગાઉ વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી લીધી હતી. તે અંતર્ગત જ બૌદ્ધ ધર્મ અંગીકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં કેશોદ સહિત આસપાસના વિસ્તારોના લોકોએ બૌદ્ધ દીક્ષા સમારોહમાં હાજરી આપી હતી.

બૌદ્ધ ધર્મ અંગેની દીક્ષા અપાવી
તથાગત ભગવાન બુદ્ધ ક્ષમતા બંધુત્વ, ભાઈચારા, દયા અને જ્ઞાનના પ્રચાર પ્રસાર માટે પોતાનું સમગ્ર જીવન સમાજને અર્પણ કરી દીધું, ત્યારે આજે 150 કરતાં વધુ લોકોએ વહિવટી તંત્રની પૂર્વ મંજૂરી લીધા બાદ હવે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. આજે કેશોદમાં 150 કરતાં વધુ લોકોએ વિધિવત રીતે હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે. જેમાં અશોક બુદ્ધ વિહાર પોરબંદરના સાધુ અને અનુયાયીઓએ કેશોદના ધર્મ અંગીકાર સ્થળ પર હાજર રહીને 150 જેટલા લોકોએ બૌદ્ધ ધર્મ અંગેની દીક્ષા અપાવી હતી.

આમ ગણો તો મૂળ ઘરવાપસી થઈ છેઃ બૌદ્ધ સમિતિ કેશોદના પ્રમુખ
તથાગત બૌદ્ધ સમિતિ કેશોદના પ્રમુખ કે.એસ.મુછડિયાએ જણાવ્યું હતું કે, સમિતિ દ્વારા છેલ્લા એક વર્ષથી આ ધર્મ અંગીકાર કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં જૂનાગઢ કલેક્ટર પોરબંદર તેમજ અલગ-અલગ વહીવટી તંત્રને પત્ર વ્યવહાર દ્વારા ધર્મ અંગીકાર બાબતની માંગણી કરી હતી. જે અનુસંધાને આજે બૌદ્ધ દીક્ષા કાર્યક્રમ અંતર્ગત બૌદ્ધ ધર્મ અંગીકાર કરાયો છે. આમ ગણો તો મૂળ ઘરવાપસી થઈ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ જે માર્ગ બતાવ્યો છે. એ માર્ગે ચાલ્યા છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશ્વના જ્ઞાની પુરુષ છે અને જેનો અભ્યાસ કર્યા પછી પરિવાર સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે.

