સુરત11 મિનિટ પહેલા
- કૉપી લિંક

- અમદાવાદ વર્કશોપમાં બની રહેલી બસોનું ગૃહમંત્રી સંઘવીએ નિરીક્ષણ કર્યુ
નરેશ પરમાર
સુરતી લોકોને હવે ખખડધજ બસમાં મુસાફરીમાંથી થોડી રાહત મળશે. અમદાવાદના નરોડા પાટીયા પાસે સમગ્ર ગુજરાત માટે તૈયાર થતી 300 બસ પૈકી અદ્યતન સુવિધા સાથેની 20 નવી બસોને સુરત એસટી ડેપોમાં ફાળવાશે. અને આ તમામ બસો આગામી બે મહિનાના સમયગાળામાં આપી દેવાશે. આ ઉપરાંત સુરતમાં નવી સ્લીપર બસ પણ દોડાવવામાં આવશે.

પ્રાઇવેટ લકઝરી બસના ઊંચા ભાડાથી લોકોને બચાવવા માટે એસટી વિભાગ દ્વારા ઉનાળાનું વેકેશન, વિવિધ તહેવારો, દિવાળી અને નવા વર્ષના તહેવાર અને વેકેશનમાં વિવિધ બસો દોડાવીને લોકોને સારી સુવિધા આપવાના પ્રયાસો કરે છે. ઘણા વર્ષોથી સુરત અને ગુજરાતના રસ્તાઓ ઉપર દોડતી સૂર્યનગરી તેમત બીજી એક્સપ્રેસ બસોમાં પણ સુધારો વધારો કરીને હવે નવી બસો દોડાવવાનું આયોજન કરાયું છે. અમદાવાદના નરોડા પાસે ગુજરાત એસટી વિભાગનું નવું વર્કશોપ કાર્યરત કરાયું છે,
જેમાં આગામી 3 મહિનામાં જ સમગ્ર ગુજરાતના વિવિધ એસટી સ્ટેશનો માટે 2-2ની નવી એમ 300 લકઝરી બસ તૈયાર કરવાનું આયોજન કરાયું છે. આ તમામ બસો પૈકી સુરત એસટી વિભાગને 20 બસો મળશે. સુરતમાંથી નાની-મોટી મુસાફરી તેમજ આજુબાજુના તાલુકા અને ગામડાઓમાં એસટી બસ મારફતે અપડાઉન કરનારા અનેક મુસાફરોને મોટી રાહત મળશે. તૈયાર થઇ રહેલી નવી બસો માટે રાજ્યના નવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્થળ મુલાકાત લીધી હતી. અને લોકોને વધુને વધુ સુવિધા મળે તે માટે એન્જિનિયરોની સાથે જરૂરી ચર્ચા કરીને સૂચનો પણ આપ્યા હતા.