વડોદરાએક કલાક પહેલા
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ખાતે ખાનગી માલિકના ગૌશાળાના ફાર્મમાં ગાયોની સાર-સંભાળ રાખનારા બે પરપ્રાંતીય ગીર ગાયની વાછરડીની હત્યા કરી ફરાર થઇ જતાં સનસનાટી મચી ગઇ હતી. આ બનાવ અંગે શિનોર પોલીસે સી.સી. ટી.વી. ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે આજે દફનાવેલી વાછરડીનો મૃતદેહ બહાર કાઢી તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. અને આ બનાવમાં સંડોવાયેલા પરપ્રાંતિય બે યુવાનોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
બિહારી બે યુવાનો હત્યા કરી ફરાર
મળેલી માહિતી પ્રમાણે શિનોર તાલુકાના માલસર ગામે તપોવન જવાના માર્ગ ઉપર દર્શનભાઈ બળવંતભાઈ પટેલ (રહે. 302, શ્યામ દર્શન એપાર્ટમેન્ટ, અકોટા, વડોદરા) નું શ્રી કમલામણી નામનું ફાર્મ હાઉસ આવેલું છે. જેમાં ગૌશાળા હતી. આ ફાર્મ હાઉસની દેખભાળ માટે ધર્મેન્દ્રભાઇ અંબાલાલ પટેલ (રહે. માલસર, શિનોર)ને રાખવામાં આવ્યા હતા. જ્યારે આ ફાર્મ પર ગાયોની સાર-સંભાળ રાખવા માટે પરપ્રાંતીય બે શખ્સો અનીલ (રહે. ચાંદ તા.જિ. કૈમુર, બિહાર) અને મોહન રામઅવધ પાસવાન (રહે. ભોઇ શહર, તા. ભભુઆ (બિહાર) ને રાખવામાં આવ્યા હતા. જે પૈકી અનીલ નામના યુવાને તા.21-12-022ના રોજ સવારે ગીર ગાયની વાછરડીની તૂટેલા પાવડાથી હત્યા કરી નાંખી હતી. અને તેના સાથીદાર મોહન પાસવાને તેમાં મદદ કરી હતી. દરમિયાન બંને ફાર્મ હાઉસમાંથી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના ફાર્મ હાઉસ સ્થિત સી.સી. ટી.વી. માં કેદ થઇ હતી.

ફાર્મ હાઉસમાંથી ફરાર થઇ રહેલા યુવાનો સીસીટીવીમાં કેદ
વાછરડીની હત્યા કરી દાટી દીધી
દરમિયાન આ બનાવ અંગે ફાર્મ હાઉસના માલિક દર્શનભાઇ પટેલે શિનોર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફાર્મ હાઉસની દેખભાળ રાખતા ધર્મેન્દ્રભાઇ પટેલનો ફોન આવ્યો હતો કે, એક વાછરડીનું મરણ થયું છે. વાછરડીના મરણ અંગે દેખભાળ કરનાર અનિલ અને મોહનને પૂછતા તેઓએ વાછરડીનું મોત કોઇ જાનવર કરડવાથી અથવા કંઇક ખાવાના કારણે થયું છે. તેમ જણાવ્યું હતું. અને વાછરડીને દાટી દેવામાં આવી છે.

ફાર્મ હાઉસમાં રાખવામાં આવેલી ગીર ગાયો
CCTV એ ભાંડો ફોડ્યો
દરમિયાન તા. 23 મીના રોજ સાંજના સમયે ફાર્મ હાઉસ ઉપર પરિવાર સાથે ગયો હતો. તે સમયે અનિલને ઉપાડ પેટે રૂપિયા 5000 અને મોહનને રૂપિયા 2000 આપ્યા હતા. વહેલી સવારે ખબર પડી કે, ફાર્મ હાઉસમાં કોઇ નથી. ત્યારે સી..સી. ટી.વી. ફૂટેજ ચેક કરતા અનિલ અને મોહન થેલાઓ લઇને ફેન્સીંગ કૂદીને ભાગતા જણાઇ આવ્યા હતા. આથી તેઓ ઉપર શંકા જતા તા.21મીના રોજ સી.સી. ટી.વી. ફૂટેજ ચેક કરતા અનિલ વાછરડીને માર મારતો જણાઇ આવ્યો હતો. થોડીવારમાં મોહન પણ અનિલ પાસે આવતો હોવાનું જણાઇ આવ્યું હતું.

આ પાવડાથી વાછરડીની હત્યા કરવામાં આવી
આરોપીઓની ધરપકડના ચક્રો
દરમિયાન દર્શનભાઇ પટેલે શિનોર પોલીસ મથકમાં વાછરડીના બનાવ અંગે અરજી આપી હતી. જે અરજીના આધારે શિનોર પોલીસે આ બનાવને ગંભીરતાથી લઇ સી.સી. ટી.વી. ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં વાછરડીની હત્યા બે પરપ્રાંતિયો દ્વારા કરવામાં આવી હોવાનું બહાર આવતા શિનોર પોલીસે બે પરપ્રાંતિયો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં પરપ્રાંતિયોએ વાછરડીની તૂટેલા પાવડા જેવા હથીયારથી હત્યા કરી હોવાનું જણાઇ આવ્યું હતું. અને વાછરડીને ફાર્મ હાઉસમાંજ દાટી દીધી હતી. અને બંને પરપ્રાંતિયો ફાર્મ હાઉસમાંથી ફરાર થઇ રહ્યા હોવાનું જણાઇ આવતા આખરે પોલીસે બંને પરપ્રાંતીયો સામે ગુનો દાખલ કરી તેઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.