મોરબીએક કલાક પહેલા
- કૉપી લિંક
- લૂંટને અંજામ આપતા પહેલા આરોપીઓએ કારખાનાથી લઇ ઘટનાસ્થળ સુધી રેકી કરી હતી, પોલીસે સાતેય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
મોરબીમાં થયેલી 29 લાખની લૂંટનો ભેદ ઉકેલાઇ ગયો છે. પોલીસે સાત આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા કેવી રીતે લૂંટને અંજામ અપાયો તે સહિતની વિગતો પરથી પડદો ઊંચકાઇ ગયો છે. મળતી વિગતો મુજબ, મોરબી પીપળી બેલા રોડ પર આવેલ કેલેફેંકશન પ્રા.લી. નામની ફેક્ટરીમાં કેશિયર તરીકે કામ કરતા ચંદ્રેશભાઇ રવજીભાઇ શિરવી ગત 15 ડિસેમ્બરના સાંજે કારખાનેથી તેના ઘરે નવી પીપળી ગામ ખાતે જતા હતા.
તે દરમિયાન જૂની અને નવી પીપળી ગામ વચ્ચે આવેલ કાચા રસ્તે અજાણ્યા કાર ચાલકે તેમની બાઈક સાથે અકસ્માત સર્જી પછાડી દીધા હતા અને કારમાં આવેલા ત્રણ શખ્સોએ ચંદ્રેશ ભાઈને માર માર્યો હતો. તેમજ તેમની પાસે રહેલા રોકડા રૂ. 29 લાખ ભરેલો થેલો ઝૂંટવી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ચંદ્રેશભાઈ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
પોલીસે આ અંગે તપાસ કરતા લૂંટના ગુનાના આરોપીઓ કે કાર અંગે ફરિયાદી પાસે કોઈ પ્રકારની માહિતી ન હોવાથી પોલીસ તપાસ મુશ્કેલ બની હતી. જો કે એસ.પી. રાહુલ ત્રિપાઠીની સૂચનાથી હાથ ધરાયેલી પોલીસ તપાસમાં બનાવ સ્થળની મુલાકાત કરી પ્રથમ આરોપી કારખાનામાં કામ કરતા હતા તે કારખાનામાં કામ કરતા અન્ય સહકર્મચારી તેમજ જરૂરી શકમંદોની પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં આ ફેકટરીમાં સાથે કામ કરતા અર્જુનગીરી નારદગીરી ગોસાઈએ લૂંટ માટે મયુરભાઈ ઉર્ફે મયુરસિંહ દીલીપસીહ ડોડીયાને ટીપ આપી હતી.
અર્જુનગીરી જાણતો હતો કે ચંદ્રેશભાઇ દરરોજ ક્યાંથી પસાર થાય છે અને બાદમાં આરોપીઓએ સાથે મળી લૂંટની ઘટનાને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓએ અગાઉ લૂંટ કરવા કારખાનેથી તેના ઘર સુધી રેકી પણ કરી હતી અને લૂંટ માટે જગ્યા પીપળી રોડનો કાચો રસ્તો પસંદ કર્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું કે આ કામના ફરીયાદી જે કારખાનામાં કામ કરે છે. તેઓની સાથે કામ કરતા કર્મચારીએ આ બાબતે ટીપ આપેલી હોય અને ગુનાને અંજામ આપનાર આરોપીઓ બે કારનો ઉપયોગ કર્યો હોય અને લૂંટના ગુનાને અંજામ આપતા પહેલા આરોપીઓએ કારખાનાથી લઇ ઘટના સ્થળ સુધીની અગાઉથી રેકી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે ગુનાને અંજામ આપનાર ૭ આરોપી અર્જુનગીરી નારદગીરી ગોસાઈ ગોસાઇ, રહે. સૌન્દ્રા તા.ચુડા જિ. સુરેન્દ્રનગર, ભગવાન ઉર્ફે ભગો સ/ઓ કરશનમાંઇ આલ રહે. હરીપર જિ. સુરેન્દ્રનગર, દશરથ ઉર્ફે લાદેન જાલુભાઇ પરમાર રહે. હરીપર તા, પા, જિ સુરેન્દ્રનગર, મહિપાલસિંહ ઉર્ફે મહીપતસિંહ અભેસંગ ગોહીલ રહે.સુખપર તા હળવદ જિ. મોરબી, મયુરભાઈ ઉર્ફે મયુરસિંહ દીલીપસીહ ડોડીયા રહે હાલ ચોટીલા, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજાભા દિલીપસિંહ લીંબોલા રહે ગૌરી ઘનશ્યામપુર ના હળવદ જિ. મોરબી , શકિતસિહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલ રહે હળવદ સરારોડ, તા. હળવદ જિ. મોરબીને ઝડપી લીધા હતા. તેમજ એક આરોપી મનીષ સોલંકી જાતે દેવીપુજક, ચોટીલા થાન રોડ ફરાર થઇ ગયો હતો. આ ગુનામાં ચોરાયેલા મુદામાલ પૈકી રોકડા રૂપીયા 15 લાખ, બલેનો કાર નં.જીજે 13 સીએ 0008 નંબર, હોન્ડા સીટી કાર નં.જીજે-4-એપી-1109, અન્ય એક કાર નંબર પ્લેટ વગરની, મોબાઇલ ફોન નંગ – 6 સહિત કુલ રૂ. 28,30,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપીઓએ આ રીતે આપ્યો લૂંટની ઘટનાને અંજામ
આરોપી એક અર્જુનગીરી ફેક્ટરીમાં કામકાજ કરતો હતો અને કેશિયર દરરોજ રોકડા પોતાની પાસે રાખતો હોવાની જાણકારી હતી. જેથી પોતાના જાણીતા શખ્સ મયુરસિંહ દિલીપસિંહ ડોડીયાને પણ સાથે સંડોવવાનું નક્કી કર્યુ હતું. બાદમાં મયુર સિંહે બીજા 5 શખ્સને ભેગા કર્યા હતા અને લૂંટ માટે એક મહિનાથી પ્લાનિંગ કરાયું હતું. આ માટે એક શખ્સે કારખાનાથી તેના ઘર જવાના રસ્તે તેમજ લૂંટ કરી કેવી રીતે નીકળી શકાય તે અંગે પ્લાનીંગ કર્યું હતું. બાદમાં મયૂરે આરોપી અર્જુનને કહ્યું કે જે દિવસે મોટી રકમ કેશિયર પાસે હોય ત્યારે ફોનથી જાણ કરે. જેથી તમામ લોકો ત્યાં આવી પહોંચે. આમ તકની રાહ જોઈ રહેલી આ ગેંગને 15મીએ મોકો મળ્યો અને ઘટનાને અંજામ આપ્યો હતો.
અર્જુનગીરી સિવાય તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
લૂંટની ઘટનામાં પકડાયેલા 7 માંથી ટીપ આપનાર અર્જુનગીરી સિવાય બાકીના તમામ અગાઉ અનેક વખત મારામારી ધાકધમકી અને પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે નોંધાઇ ગયા છે. જોકે પોલીસની તપાસમાં લૂંટ ધાડ કે ચોરી જેવા ગુના સામે આવ્યા નથી.