આણંદ8 મિનિટ પહેલા
- કૉપી લિંક

પેટલાદના બાંધણી ગામે લખાપુરામાં ત્રાટકેલા તસ્કરોએ શ્રમિક પરિવારના ઘરમાં ઘુસી સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત રૂ.43 હજારની મત્તા ચોરી ગયાં હતાં. આ અંગે મહેળાવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પરિવાર નવા મકાનમાં સુવા ગયો હતો
બાંધણીના લખાપુરામાં રહેતા જયંતીભાઈ ઇશ્વરભાઈ તળપદા ખેતી કામ કરી જીવન ગુજારે છે. તેઓ 15મી ડિસેમ્બરના રોજ રાત્રિના જમી પરવારી તેમના નવા મકાન ખાતે સુવા ગયાં હતાં. આ સમયે તેમનું જુનું મકાન બંધ હતું. દરમિયાનમાં વ્હેલી સવારે જાગીને જોયું તો જુના ઘરના દરવાજા ખુલ્લા હતા અને તાળા તુટેલાં હતાં. જેથી બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. જુના ઘરની ઓસરીના દરવાજા ઉપર લગાવેલું તાળું નીચે પડેલું હતું. અંદરની રૂમમાં જઇ જોતા કબાટના કપડા વેર વિખેર પડ્યાં હતાં. છેલ્લી રૂમમાં તિજોરી તુટેલી હતી. જેનો સરસામાન વેરવિખેર આખી રૂમમાં પડ્યો હતો. આ ઉપરાંત સોના – ચાંદીના દાગીના, રોકડા રૂ.10 હજાર ચોરી કરી ગયાં હતાં. જ્યાંથી બહાર નિકળી એક જ દિવાલે આવેલા બીજા ઘરમાં જોતા દરવાજાની સાંકળ તુટેલી હતી અને અંદરની રૂમમાં પ્રવેશ કરી જોતા સરસામાન વેર વિખેર હતો. જ્યાં સ્ટીલના ડબ્બામાં મુકેલા રોકડા રૂ.15 હજાર ચોરાયાં હતાં. આમ દાગીના અને રોકડ સહિત કુલ રૂ.43 હજારની મત્તા કોઇ શખસ ચોરી ગયો હતો. આ અંગે મહેળાવ પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ખાસ કોઇ પગેરું મળ્યું નહતું. આખરે આ અંગે અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો હતો.