પાટણ11 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ શહેરના શ્રમજીવી વસાહતમાં પાટણ જિલ્લાની કોર્ટની પાછળ ભૂગર્ભ ગટરો ઉભરાતાં રહીશોને એકવાર ફરીથી ગંદકીની ભરમારનો સામનો કરવાનો વારો આવ્યો છે. ચૂંટણી પૂર્વે ચાર માસ પહેલા નગરપાલિકાએ આ મામલે કાંઇ ન કરતાં લોકોએ ધારાસભ્યને જાણ કરતાં માર્ગ મકાન, નગરપાલિકાના અધિકારીઓ બોલાવી પ્રશ્ન ઉકેલ્યો હતો. જોકે, આજે ફરી ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે.
ભારે અરાજકતા અને ગંદકી ભર્યો માહોલ સર્જાયો
પાટણ શહેરના શ્રમજીવી વસાહતમાં પાટણ જિલ્લા કોર્ટની પાછળ અને ગરીબ લોકો માટે પાટણ નગરપાલિકાએ બનાવેલા આવાસો તથા ભવાની મસાલાની આગળના ભાગે વિધાનસભા ચૂંટણી પૂર્વે લગભગ ચારેક મહિના પહેલા ભૂગર્ભ ગટરો ઉભરાતાં તે રોડ ઉપર ફેલાઇ જતાં રોગચાળાનો પ્રશ્ન ઉભો થયો હતો. ત્યારે જે તે સમયે પાટણના ધારાસભ્યની દરમિયાનગીરીથી માર્ગ મકાન વિભાગ અને નગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખાના અધિકારીઓ સાથે રાખીને આ ભૂગર્ભ ગટરનું રિપેરિંગ કરીને બુચ મારી દેવામાં આવ્યું હતું. જે બાદ ચાર મહિના સુધી જળવાયેલી સ્થિતિ આજે એકાએક તૂટી ગઇ છે. ફરી એકવાર પાટણ માર્ગમકાન વિભાગ કે પોલીસ વિભાગ હસ્તકના પોલીસ આવાસના ગટરના પાણી ફરી પાછા ઉભરાયાં છે. સાથે-સાથે આ વિસ્તારના શ્રમજીવી વસાહતના રહીશોના ઘરોના પણ પાણી ઘૂંટણ સુધી ઉભરાતાં આજે અહીં ભારે અરાજકતા અને ગંદકી ભર્યો માહોલ સર્જાયો હતો. જેને કારણે રોગચાળો ફેલાવની સંભાવના સેવાઇ રહી છે.
રહીશો દુર્ગંધ અને મચ્છરોનો કરી રહ્યા છે સામનો
અહીંથી વેપારી વર્ગ કે, રહીશોને આ ગંદકીવાળા પાણીમાંથી પસાર થવાની ફરજ પડતી હતી. અત્રેના રહીશોએ જણાવ્યું કે, અમે અહીં આખી રાત અને દિવસ દુર્ગંધનો અને મચ્છરોનો સામનો કરી રહ્યા છીએ અને રોગચાળો પ્રસરે તેવી સ્થિતિ છે.
પાટણના ધારાસભ્ય પ્રશ્નનો ઉકેલા લાવ્યાં હતા
અત્રે નોંધનીય છે કે, ચારેક મહિના પૂર્વે ઉપરોક્ત સ્થળે પોલીસ લાઇન કે યુનિવર્સિટી ક્વાટર્સ કે અત્રેના રહીશોની વસાહતના ગંદા પાણી ઉભરાયા હતા, ત્યારે પાટણ નગરપાલિકાને કહેવા છતાં કોઇ જ ઉકેલ નહીં આવતાં રહીશોએ પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલને જે તે વખતે ચાર મહિના પૂર્વે જાણ કરતાં તેઓએ તાબડતોબ પાટણ નગરપાલિકાના અને માર્ગમકાન વિભાગના અધિકારી- કર્મચારીઓને બોલવીને આ પ્રશ્નનો ઉકેલ લાવ્યા હતા. સંભવતા પોલીસ ક્વાટર્સના ગટરની મોટી ચેમ્બર ટાંકાના ઢાંકણામાંથી ઉભરાઈને બહાર રેલાતા પાણીને બંધ કરાવી શક્યાં હતા. જે આજે ફરીથી આ બંધ થયેલું પાણી રોડ ઉપર અઢળક પ્રમાણમાં રેલાઇ જતાં વિકટ સ્થિતિ સર્જાઈ છે.
લોકો ન નાખવાની ચીજ-વસ્તુઓ નાખી રહ્યાં છેઃ ચેરમેન
ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે, ભૂગર્ભ ગટર લાઈનમાં લોકો ન નાખવાની ચીજ-વસ્તુઓ પણ નાખી રહ્યાં છે. જેના કારણે આવી ભૂગર્ભ ગટર લાઈન ચોક અપ બનતી હોય છે.