રાજકોટ15 મિનિટ પહેલા
- કૉપી લિંક
- કોલેજના સંચાલકોએ તપાસ કમિટી બનાવી, એક સપ્તાહમાં રિપોર્ટ આવ્યા બાદ પ્રોફેસર સામે થશે કાર્યવાહી
- ગુરુ-શિષ્યાના સંબંધ લજવ્યા – ત્રણ મહિના પહેલાની ઘટનામાં મોડે મોડે તપાસ શરૂ કરાઈ
કાલાવડ રોડ પર આવેલી માતૃશ્રી વીરબાઈમા મહિલા કોલેજના સાયન્સના પ્રોફેસર બે વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગ કરતા સમગ્ર મામલો એન્ટિ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી પાસે પહોંચ્યો હતો. 3 મહિના પહેલાની આ ઘટનામાં મોડે મોડે તપાસ શરૂ કરવામાં આવી છે. એક તપાસ કમિટી રચવામાં આવી છે અને એક સપ્તાહમાં રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ કોલેજના પ્રિન્સિપાલ ગણાત્રાએ જણાવ્યું હતું. જોકે આઘાતજનક બાબત એ છે કે, બે વિદ્યાર્થિનીએ 3 મહિના પહેલા અરજી કરી હતી અને પ્રિન્સિપાલે દોઢ માસ સુધી તેમાં કોઇ કાર્યવાહી જ કરી ન હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓ સાથે છેડતી અને અભદ્ર માંગ કરવાની કેટલીક ઘટનાઓ અગાઉ બહાર આવી હતી. પ્રોફેસર સામે પગલાં લઈને ઘરભેગા પણ કરી દેવાયા હતા. ત્યારબાદ છેલ્લા એકાદ વર્ષથી આવી કોઇ ઘટના પ્રકાશમાં આવી ન હતી પરંતુ માતૃશ્રી વીરબાઈમા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીએ સપ્ટેમ્બર મહિનામાં એન્ટિ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલને અરજી કરીને કોલેજમાં સાયન્સના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સંજય તેરૈયા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
અરજી થયા બાદ લગભગ દોઢ મહિના સુધી કોઇ જ કાર્યવાહી થઈ ન હતી. આથી બંને વિદ્યાર્થિનીએ કોલેજના સંચાલકોને ફરી એકવખત પોતાની સાથે થયેલી ઘટના અંગે જવાબદાર પ્રોફેસર તેરૈયા સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. આ બાબતે દિવ્ય ભાસ્કરને માહિતી મળતા પ્રિન્સિપાલ કલ્પેશ ગણાત્રાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં બે અલગ અલગ વિદ્યાર્થિનીએ અરજી કરી છે. બંનેએ સાયન્સના પ્રોફેસર સંજય તેરૈયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને તેની તપાસ ચાલુ છે. વિદ્યાર્થિનીઓ સાથે શું બન્યું? તે અંગે પ્રિન્સિપાલે કહ્યું કે, હાલના તબક્કે જણાવવું યોગ્ય નથી. પરંતુ તપાસ કમિટી રિપોર્ટ આપશે ત્યારબાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.
માર્કસ વધુ આપવાની લાલચ આપી તાબે થવા કહ્યું હોવાની ચર્ચા
વીરબાઈમા મહિલા કોલેજના પ્રિન્સિપાલે અરજીમાં વિદ્યાર્થિનીઓએ કેવા આક્ષેપો કર્યા છે તે અંગે મગનું નામ મરી પાડ્યું ન હતું. પરંતુ સાયન્સની બંને વિદ્યાર્થિનીઓને એક્સટર્નલ માર્કસ પૂરે પૂરા આપવાની લાલચ આપીને તાબે થવાની માંગ પ્રોફેસરે કરી હોય તેવી ચર્ચા છે. જોકે સત્ય વિગતો તપાસ કમિટીના રિપોર્ટ બાદ જ બહાર આવશે.
ત્રણ મહિના પૂર્વેની ઘટના છતાં તપાસમાં ઢીલ શા માટે?
બે વિદ્યાર્થિનીની સાથે અઘટિત ઘટના બની હોવા અંગેની અરજી ઓગસ્ટમાં થઈ કે સપ્ટેમ્બરમાં તેની પણ પ્રિન્સીપાલ કલ્પેશ ગણાત્રાને જાણ ન હતી. તેઓએ અંદાજે ત્રણેક મહિનાનો સમય થયો હોવાનું કહ્યું હતું. તપાસ કમિટી છેક અરજી થયાના દોઢ મહિના બાદ રચાઈ હતી.
આ કમિટીએ છેલ્લા 45 દિવસ શું કર્યું? તે અંગે પણ ગણાત્રાને કોઈ જાણકારી નથી અને રિપોર્ટ આવતા હજુ એક સપ્તાહનો સમય લાગશે તેમ કહીને સમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કરવાની કોશિષ કરી હતી. વિદ્યાર્થિનીની સાથે કોલેજ કેમ્પસની અંદર કોઈ અઘટિત ઘટના બને ત્યારે તે વિદ્યાર્થિનીને પોતાની પુત્રી સમાન ગણીને જવાબદાર સામે પગલાં લેવાને બદલે ત્રણ મહિનાથી તપાસના નામનું નાટક ચાલી રહ્યું છે.