Thursday, December 22, 2022

ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કવચ 5 લાખથી વધારીને 10 લાખ કરવાની જાહેરાત, જાણો તમામ માહિતી

ગાંધીનગરઃ ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આગામી પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કેવા પ્રકારના કામ કરવામાં આવશે, તેની જાહેરાતો કરવામાં આવી હતી. ત્યારે ભુપેન્દ્ર પટેલ સરકારની પહેલી જ કેબિનેટ બેઠકમાં સંકલ્પ પત્રમાં આપવામાં આવેલા વચનો પૂર્ણ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, વિધાનસભા ચૂંટણી-સંકલ્પ પત્રમાં ભાજપાએ કરેલા સંકલ્પને 100-100 દિવસના લક્ષ્યાંક નિર્ધારીત કરીને પાંચ વર્ષમાં પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં લાભ વધશે

રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ઉપલબ્ધ પાંચ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને 10 લાખ કરવા માટેની જરૂરી વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ અગત્યની જાહેરાત કરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમઃ મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ અંતર્ગત આર્થિક સંકડામણ અનુભવતા રાજ્યના પ્રત્યેક નાગરિકોને આ સ્કીમ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થા અને સરકાર માન્ય લેબોરેટરીમાં નિ:શુલ્ક નિદાન સેવાઓ આપવામાં આવે તે માટેની યોજનાનો સત્વરે પ્રારંભ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા કોરિડોરઃ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે દેવભૂમિ દ્વારા કોરિડોર સંદર્ભે અગત્યની જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે, ‘દેવભૂમિ દ્વારકા પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તો માટે રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવવાનો સંકલ્પ કર્યો છે.’ તે અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા, 3D ઇમર્સિવ અર્થાત (કાલ્પનિક-દુનિયાનો વાસ્તવિક અનુભવ) શ્રીમદ્ ભગવદગીતા એક્સપિરિયન્સ ઝોન તથા વિલુપ્ત દ્વારકા નગરીની વ્યૂઇંગ ગેલરીના નિર્માણની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરીને 7મી સપ્ટેમ્બર 2023ની જનમાષ્ટમી પહેલા ફેઝ-1 કાર્યનું ભૂમિપૂજન કરવાના લક્ષ્ય સાથે આયોજન અને ડિઝાઇનનું કામ શરૂ કરવામાં આવશે. તે માટેનું સુનિયોજીત વ્યવસ્થાપન તૈયાર કરવા મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સિનિયર સચિવની એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવશે.

ફેમીલી કાર્ડ યોજનાઃ મંત્રીએ ફેમિલી કાર્ડ યોજના સંદર્ભે જણાવ્યુ હતુ કે, રાજ્યના નાગરિકોને મળતા સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભ ફેમિલી કાર્ડ યોજનાના નવતર અભિગમ દ્વારા મળે તે માટેનું સુદૃઢ આયોજન રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવશે.

લોક સંપર્ક પહેલ દ્વારા ફરિયાદ નિવારણ મિકેનિઝમનું નિર્માણ

મંત્રીશ્રીએ લોકસંપર્ક પહેલ દ્વારા ફરિયાદ નિવારણ મિકેનિઝમના નિર્માણ સંદર્ભે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2003માં રાજ્યના નાગરિકોની ફરિયાદો, રજૂઆતોના ટેકલોનોલોજીના માધ્યમથી સંવાદ તથા માર્ગદર્શન દ્વારા નિવારણને આ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન પબ્લિક ગ્રિવન્સિસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી (SWAGAT)  કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. જેના માધ્યમથી રાજ્યના છેવાડાના માણસોની નાની-નાની સમસ્યાઓનું, વ્યક્તિલક્ષી-સામુહિકલક્ષી રજૂઆતોનું સ્થળ ઉપર નિવારણ કરવાના હેતુથી ‘સેવા સેતુ’ અને ‘પ્રગતિ સેતુ’ કાર્યક્રમને અમલમાં મૂકવામાં આવ્યો છે.

આ સંદર્ભે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ અને પોલીસ અધિક્ષક પખવાડિયાના ધોરણે ફરિયાદોના નિવારણ માટે સ્થાનિક કક્ષાએ લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરે અને ફરિયાદોનું ઝડપથી નિવારણ અને સચોટ ઉકેલ લાવે તેની નિયમિત સમીક્ષા કરે તે માટેનું સમગ્ર કાર્યક્રમ ફરીથી શરૂ કરવામાં આવશે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Tags: Government scheme, Pmjay, PMJAY-MA

Related Posts: