રાજકોટ35 મિનિટ પહેલા
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)2023 માટેના ઓક્શનની ગઈકાલથી કોચી ખાતે શરૂઆત થઈ ચુકી છે. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયેલા અને રેલવે પરિવારનાં સમર્થ વ્યાસને સૌપ્રથમ તક મળી છે. રૂપિયા 20 લાખમાં ખરીદાયેલા સમર્થ વ્યાસ IPL સિરીઝમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમશે. આ સાથે જ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા જયદેવ ઉનડકટનું પણ વધુ એકવાર IPLમાં સિલેક્શન થતા તે લખનઉ સુપર જાયન્ટની ટીમમાંથી રમશે. આ તકે સમર્થ વ્યાસે મીડિયા સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે, મારા જીવનનું મોટું સ્વપ્ન પૂર્ણ થયું છે. અત્યાર સુધી જે ખેલાડીઓને ટીવીમાં જોતો તેની સાથે રમવા મળશે તે ખૂબ મોટી વાત છે.
હું ખૂબ જ ડિપ્રેશનમાં હતો
સમર્થ વ્યાસનાં જણાવ્યા મુજબ, IPLમાં રમવું મારા માટે એક મોટું સ્વપ્ન હતું. જે આજે પૂર્ણ થયું છે. આ માટે ચાલતા ઓકશન સમયે હું રણજી ટ્રોફીના એક મેચમાં વ્યસ્ત હતો. મેચ પૂર્ણ થયા બાદ હું જ્યારે ડ્રેસિંગરૂમમાં હતો ત્યારે મારો ટર્ન આવ્યો, થોડીકવાર માટે હું ખૂબ જ ડિપ્રેશનમાં હતો. પરંતુ જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા મને પિક કરવામાં આવ્યો ત્યારે હું ખૂબ એક્સાઇટેડ થઈ ગયો હતો. મને વિશ્વાસ છે કે અત્યાર સુધી જે પ્રમાણેનું મારું પ્રદર્શન રહ્યું છે. એજ પ્રમાણેનું પ્રદર્શન આગામી દિવસોમાં પણ રહેશે. જે ખેલાડીઓને હું માત્ર ટીવીમાં જોતો હતો તેઓ સાથે રમવાનો મોકો મળશે તે સૌથી મોટી વાત છે. તેમજ IPL દ્વારા મારા માટે આંતરરાષ્ટ્રીય મેચ રમવાનાં દ્વાર ખુલશે.

IPL દ્વારા મારા માટે આંતરરાષ્ટ્રીય મેચ રમવાનાં દ્વાર ખુલશે: સમર્થ વ્યાસ
તારે ખૂબ જ મહેનત કરવી પડશે
સમર્થ વ્યાસના પિતાએ જણાવ્યું હતું કે, કોચીમાં જે ઓકશન ચાલી રહ્યું હતું. તેમણે સૌ કોઈ ઘરે ટીવી પર નિહાળી રહ્યા હતા. જ્યારે મારે દીકરાને સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યો તે મારા સૌ કોઈ માટે ગર્વની ક્ષણ હતી. અમે પહેલેથી અમારા દીકરાને કહ્યું હતું કે IPLમાં રમવા માટે તારે ખૂબ જ મહેનત કરવી પડશે. તે પહેલેથી જ મહેનત કરી રહ્યો હતો. તેમજ તેનું જે પરફોર્મન્સ છે તે ખાસ કરીને મુસ્તાક અલી ટી 20 લીગમાં ખૂબ સારું રહ્યું છે. ફ્રેન્ચાઇઝીઓ પણ આ લીગમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને પોતાના ધ્યાનમાં રાખતી હોવાથી સમર્થને આ તક મળી છે.

અમે પહેલેથી અમારા દીકરાને કહ્યું હતું કે IPLમાં રમવા માટે તારે ખૂબ જ મહેનત કરવી પડશે
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમશે સમર્થ
સમર્થ વ્યાસનો જન્મ 28 નવેમ્બર 1995ના રોજ રાજકોટમાં થયો હતો. સમર્થ વ્યાસ સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. તાજેતરમાં સમાપ્ત થયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સમર્થ વ્યાસે સૌથી વધુ 22 સિક્સ ફટકારી હતી. તો વિજય હઝારે ટ્રોફીમાં સમર્થ વ્યાસે બેવડી સદી ફટકારી હતી. ટી20 ક્રિકેટમાં સમર્થ વ્યાસ આક્રમક બેટિંગ માટે જાણીતો છે. તેની સ્ટ્રાઇક રેટ 150ની છે. વનડે ક્રિકેટમાં પણ તે 90થી વધુની સ્ટ્રાઇક રેટથી રન બનાવી ચુક્યો છે.

સમર્થ વ્યાસ સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે
સૈયદ મુશ્તાલ અલી ટ્રોફીમાં મચાવી હતી ધમાલ
સમર્થ વ્યાસે થોડા સમય પહેલા સમાપ્ત થયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ધમાલ મચાવી હતી. અને તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટરોમાં પાંચમાં સ્થાને હતો. સમર્થે ટૂર્નામેન્ટમાં 7 મેચમાં 177.40ની શાનદાર સ્ટ્રાઇક રેટની સાથે 314 રન ફટકાર્યા હતા. સમર્થ વ્યાસ ટોપ ઓર્ડર બેટર છે.

2010માં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જયદેવ ઉનડકટે ડેબ્યૂ કર્યું હતું
જયદેવ ઉનડકટને પણ IPL રમવાની તક મળી
નોંધનીય છે કે સમર્થ વ્યાસ ઉપરાંત જયદેવ ઉનડકટને પણ વધુ એકવાર IPL રમવાની તક મળી છે. જયદેવ ઉનડકટને ફ્રેન્ચાઇસી દ્વારા તેના બેઝ પ્રાઇઝમાં એટલે કે રૂ. 50 લાખમા લખનઉ સુપર જાયન્ટમાં સમાવવામાં આવ્યો છે. વર્ષ 2010માં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જયદેવ ઉનડકટે ડેબ્યૂ કર્યું હતું. દિલ્હી કેપિટલ તરફથી રમતા તેણે IPL ની દુનિયામાં પોતાનું પ્રથમ પગલું ભર્યું હતું. ત્યારથી લઈને આજ દિવસ સુધી તે જુદી જુદી પાંચ ટીમના સભ્ય બની ચૂક્યા છે. લખનઉ સિવાય જયદેવ કોલકત્તા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, રાઈઝીંગ પુણે ટીમના પણ સભ્ય રહી ચૂક્યા છે.