અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા
રાજકીય અગ્રણી હોય કે સામાજિક કાર્યકર અબાલ વૃદ્ધ સૌ કોઈ પોતાનું મિશન સફળ કરવા માટે સફળતાનું નિમિત્ત કોઈને કોઈ દેવી દેવતાને માધ્યમ બનાવતા હોય છે. ત્યારે માલપુર – બાયડના અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આજે માલપુર થી અણિયોર સુધી સમર્થકો સાથે ચાલતા અણિયોર ગામમાં આવેલા હીરાબાની ટાઇગર મેલડી મઢ ખાતે ઉમેશ ભુવાજીની માનતા પૂર્ણ કરી હતી.

ટીકીટ ના મળતા ભાજપ સામે અપક્ષ ઉમેદવારી કરી
બાયડ – માલપુર વિધાનસભા બેઠકનો જંગ રસાકસી ભર્યો હતો. આ બેઠક પર 2019 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા ધવલસિંહ ઝાલા થોડા મતથી હાર્યા હતા. ત્યારબાદ ફરી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા ટીકીટ ના મળતા ભાજપ સામે અપક્ષ ઉમેદવારી કરી હતી. ખૂબ જ રસાકસી ભર્યા જંગમાં વિજયી બને તે માટે સમર્થકોએ માલપુરના અણિયોર ખાતે આવેલા હીરાબાની ટાઇગર મેલડી સ્થાનકે માનતા લીધી હતી કે જો ધવલસિંહ ઝાલાનો અપક્ષ તરીકે વિજય થશે તો ધવલસિંહ અને તેમના સમર્થકો સાથે માલપુરથી અણિયોર સુધી પદયાત્રા કરી માનતા પુરી કરશે.

DJના તાલે અણિયોર સિકોતર માતાના સ્થાનકે પહોંચ્યા
આ માનતા મુજબ ધારાસભ્ય તરીકે જીત મળતા માલપુરના સમર્થકો સહિત DJના તાલે અણિયોર સિકોતર માતાના સ્થાનકે આવીને ઘડો માતાજી આગળ મૂકીને ભુવાજીને ફુલહાર અને શાલ ઓઢાડી માનતા પૂર્ણ કરી હતી. ત્યારે હવે રાજકારણી પણ દેવી દેવતાની માનતાથી ચૂંટણી જીતી શકાતી હોવાનું માનીને માનતા પુરી કરતા હોય છે.
