આહવા33 મિનિટ પહેલા
- કૉપી લિંક

- સાપુતારા, ચીખલી- નડગચોંડ સાંદીપની વિદ્યાસંકુલની મુલાકાત
ભારતીય સંવર્ધક ટ્રસ્ટ પોરબંદર સંચાલિત સાંદિપની વિદ્યાસંકુલ સાપુતારા, ચીખલી અને નડગચોંડ શાળાની ભાગવતાચાર્ય ભાઈ રમેશભાઈ ઓઝાએ મુલાકાત લીધી હતી. તેમણે પ્રથમ આહવા તાલુકાની સાંદિપની શાળા ચીખલીમાં પહોંચી ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા આદિવાસી બાળકો સાથે મુલાકાત કરી હતી. અહીં તેમણે દરેક વર્ગોમાં પહોંચી બાળકોને અમૃત વાણીમાં શિક્ષણનાં પાઠ પણ ભણાવતા નિર્દોષ બાળકોનાં ચહેરા પર સ્મિત રેડાયુ હતુ.
સાંદિપની વિદ્યાસંકુલ ચીખલીમાં ધોરણ-12નાં વર્ગમાં ઈશ્વર સર્વવ્યાપી છે તથા ધોરણ-11નાં સમાજશાસ્ત્રનાં વર્ગમાં ભારતની મૂળભૂત સામાજિક સંસ્થા તેમજ ધોરણ 9 અને 10નાં વર્ગોમાં ગણિત અને વિજ્ઞાનની શોધ તથા અંગ્રેજીનાં વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શિક્ષણની ઉજાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ડાંગ જિલ્લાનાં આદિવાસી બાળકોનાં શિક્ષણ, ભોજન તથા હોસ્ટેલની સુવિધાઓ અંગે ચિતાર મેળવ્યો હતો. તેઓ આદિવાસી બાળકો વચ્ચે પહોંચી વર્ગખંડોમાં એક આદર્શ શિક્ષકની ભૂમિકા પણ અદા કરતા બાળકોનાં મોઢા પર સ્મિત રેલાયું હતું.
અહીં તેમણે બાળકોને કાર્ય કરવું હોય તો કારણ નિમિત્ત બને છે એનાં ઉમદા પાઠ ભણાવ્યાં હતા. આ પ્રસંગે સાંદિપની વિદ્યાસંકુલનાં ચીફ કો. ઓર્ડિનેટર ડી.એચ.ગોયાણી, પ્રયોશા પ્રતિષ્ઠાનનાં પી.પી.સ્વામી, સાપુતારા હોટલ એસોસિએશનનાં સેક્રેટરી તુકારામભાઈ કર્ડીલે, ચીખલી ગામનાં સરપંચ રતિલાલભાઈ ગાવિત, આચાર્ય અરવિંદભાઈ ચૌધરી, કેમ્પસ ડાયરેકટર ધનેશભાઈ ગાયકવાડ સહિત બાળકો, શિક્ષકો અને આગેવાનોએ ઉપસ્થિત રહી ભાગવતાચાર્ય રમેશભાઈની અમૃત વાણીનો લાભ મેળવ્યો હતો.