અમદાવાદ4 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શનિવારે રાત્રે થયેલા ફેફસાના અંગદાને ઈસ્ટ આફ્રિકાના સેશલ્સની મહિલાને નવજીવન આપ્યું છે. સુરેન્દ્રનગરના રાકેશભાઈ વાઘેલા સારવાર દરમિયાન બ્રેનડેડ જાહેર થતાં તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. જેમાં બે કિડની, લીવર અને જૂજ કિસ્સામાં સફળતા મળે છે તેવા ફેફસાનું દાન કર્યું હતું. આ ફેફસાના દાનના પગલે ઈસ્ટ આફ્રિકાના સેશલ્સના 35 વર્ષીય મહિલા દર્દીના જીવનમાં પુન: પ્રાણવાયુનો સંચાર થયો છે.રવિવારે વહેલી સવારે સિવિલ હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફતે બ્રેઈનડેડ દર્દીના ફેફસાને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દીમાં પ્રત્યારોપણ માટે લઈ જવામાં આવ્યા. છ થી આઠ કલાક ચાલેલી પ્રત્યારોપણ સર્જરીના અંતે મહિલાને સાચા અર્થમાં નવજીવન મળ્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 96મું અંગદાન હતું.
વિગતવાર વાત કરીએ તો સુરેન્દ્રનગરના 25 વર્ષીય રાકેશભાઇ વાઘેલાને માથાના ભાગમાં તકલીફ ઉભી થતા સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર કરાયા.સિવિલ હોસ્પિટલના તબીબોના કાઉન્સિલિંગના કારણે તેમના પરિવારજનોને અંગદાન માટે પ્રેરણા મળી હતી.સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં સીમાચિહ્નરૂપ કહી શકાય તેવો કિસ્સો ગઇ કાલે રાત્રે જોવા મળ્યો છે. ગુજરાતના બ્રેઈનડેડ દર્દીના ફેફસાનું ઈસ્ટ આફ્રિકાના સેશલ્સની મહિલામાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ થયું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલે વર્ષ 2020ના ડિસેમ્બર મહિનામાં શરૂ કરેલા અંગદાનના સેવાયજ્ઞને 2 વર્ષ પૂર્ણ થયા છે. આ બે વર્ષમાં સિવિલ હોસ્પિટલના તબીબોના અથાગ મહેનત તેમજ અંગદાતાના પરિવારજનોના સહકાર અને સેવાભાવના પરિણામે આજ દિન સુધી કુલ ૯૬અંગદાન થયા છે. આ 96 અંગદાનમાં મળેલા 33 અંગોને 280 જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલની સિદ્ધિને બિરદાવતા ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ કહે છે કે, મેડીસિટીને વિશ્વ સ્તરીય બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.મેડિસિટીમાં ઉપ્લબ્ધ સુવિધાઓને કારણે અમદાવાદ હવે મેડિકલ ટુરીઝમના હબ તરીકે ઉભરી આવ્યું છે.