મોરબી6 મિનિટ પહેલા
મોરબી શહેરના રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિધાલયમાં અભ્યાસ કરતા ધોરણ 12ના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. દાઉદી વ્હોરા સમાજના વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં પરિવારના સભ્યો દ્વારા શાળા પર આક્ષેપો કરવામાં આવ્યા હતા.
શિક્ષકે માર માર્યાનો પરિવારનો આક્ષેપ
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રવાપર રોડ પર નીલકંઠ વિધાલયમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા ઈબ્રાહીમ હુશેનભાઈ નામના વિદ્યાર્થીને શનિવારે શિક્ષકે માર માર્યો હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે વિદ્યાર્થી શાળાએ છુટ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જે બનાવ મામલે વિદ્યાર્થીના માતા મુનીરાબેને જણાવ્યું હતું કે, શાળાના ગૌતમ સરે તેને માર માર્યો હતો. બેંચ બદલવા જેવી બાબતે તે સરની સામે બોલ્યો હોય જેથી શિક્ષકે માર માર્યો હતો. સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ આપવું હોય તો વાલીઓને જાણ કરવી જોઈએ, વિદ્યાર્થીને માર ન મારવો જોઈએ. ભૂલ હોય તો વાલીને બોલાવવા જોઈએ તેમ જણાવ્યું હતું.
વિદ્યાર્થી તોફાન કરતો હતો: શાળાના ટ્રસ્ટી
જે મામલે શાળાના ટ્રસ્ટી જીતુભાઈ વડસોલાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી ક્લાસમાં તોફાન કરતો હતો અને ટીચર સામું બોલતો હતો. જેથી શિક્ષકે પીઠ પર ત્રણ ધબ્બા માર્યા હતા. તેમજ ઓફિસમાં બોલાવી કાઈ તકલીફ નથી ને તેવું પણ ટ્રસ્ટીઓએ પૂછ્યું હતું. અગાઉ વિદ્યાર્થીને તોફાન કરતો હોવાથી બે વખત એલસી આપવાનું પણ શાળાએ કહ્યું હતું. વિદ્યાર્થી ધોરણ 12માં હોવાથી અભ્યાસ ન બગડે તે માટે પરિવારે વિનંતી કરતા બાળકનો અભ્યાસ ચાલુ રખાવ્યો હતો.