મુંબઈ26 મિનિટ પહેલા
- કૉપી લિંક
- માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની રાજ્ય સરકારની હાકલ
કોરોનાનો ફેલાવો વિદેશમાં વધી રહ્યો છે ત્યારે ગિરદીના ઠેકાણે માસ્ક પહેરવા અને સુરક્ષિત અંતર રાખવાની હાકલ રાજ્ય સરકારે કરી છે. તેમ જ અત્યારે કોઈ પણ જાતના કોરોના પ્રતિબંધ લાગુ કરવામાં નહીં આવે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ પૂર્ણ નિયંત્રણમાં છે છતાં ચીન, જાપાન, અમેરિકા, બ્રાઝીલ દેશમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ચીનમાં કોરોના વાઈરસનો બીએફ7 વેરિયેન્ટ ઝડપથી ફેલાતો જોવા મળી રહ્યો છે. આ પાર્શ્વભૂમિ પર મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક લઈને કોરોનાની પરિસ્થિતિનો કયાસ કાઢ્યો હતો. રાજ્યના જેનેટિક સિક્વન્સિંગ વ્યવસ્થાની માહિતી અને કયાસ આ સમયે લેવામાં આવ્યો. ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મેડિકલ શિક્ષણમંત્રી ગિરીશ મહાજન, આરોગ્યમંત્રી ડો. તાનાજી સાવંત વગેરે ઉપસ્થિત હતા.
વિશ્વમાં કોરોનાના ફેલાવાની પાર્શ્વભૂમિ પર રાજ્યમાં પણ તકેદારી લેવામાં આવી રહી છે. નાગરિકોએ ગભરાવું નહીં એવી હાકલ કરતા તમામ પાલકમંત્રીઓએ પોતપોતાના જિલ્લામાં આરોગ્ય સુવિધા સજ્જ હોય એનું ધ્યાન રાખવું, એ જ પ્રમામે મુખ્ય સચિવે તરત તમામ જિલ્લાધિકારીઓ સાથે વાત કરીને કોરોનાને અનુરૂપ પંચસૂત્રી ધોરણનું ચુસ્તતાથી પાલન થાય એ જોવાનો આદેશ મુખ્યમંત્રીએ આપ્યો હતો. આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડો. સંજય ખંદારેએ કોરોનાની પરિસ્થિતિ બાબતે રજૂઆત કરી હતી.
રાજ્યમાં અત્યારે 2 હજાર 216 કોરોના હોસ્પિટલ છે જેમાં 1 લાખ 34 હજાર ક્વોરન્ટાઈન બેડ છે. ટેસ્ટ, ટ્રેકિંગ, સારવાર, રસીકરણ અને કોરોના અનુરૂપ વર્તન એમ પંચસૂત્રી ધોરણ અમલમાં મૂકવાનો આદેશ કેન્દ્ર સરકારે આપ્યો છે. એ અનુસાર તમામ જિલ્લાઓમાં પંચસૂત્રની અમલબજાવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નવા વેરિયેન્ટની તીવ્રતા ઓમિક્રોન કરતા વધુ હોવાનું જણાવવામાં આવે છે. મંત્રીમંડળની બેઠકમાં પણ આ વિષય પર ચર્ચા થઈ. તેમ જ કોરોનાના નવા વેરિયેન્ટની પાર્શ્વભૂમિ પર ટેસ્ટ, ફોલોઅપ, સારવાર અને રસીકરણ પર ભાર મૂકવામાં આવશે. આરોગ્ય યંત્રણાઓને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.