દાહોદ13 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગુજરાતની વાનગીનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. તેમાં પણ દાહોદ જિલ્લામાં બનાવવામાં આવતું દાળ પાનિયાનો સ્વાદ કઈક હટકે જ હોય છે. જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલા મેનપુર ગામે રહેતા રાઠોડ દિનેશભાઇ શનાભાઈ દાલ પાનિયા પરંપરાગત રીતથી બનાવે છે. તેઓના આ દાળ પાનિયા ખુબ વખણાય છે. દાહોદના અન્ય સ્થળોએ ફરવા અર્થે આવતાં અનેક પ્રવાસીઓ અહીં દાળ પાનીયા ખાવા આવે છે.

આ રીતે બને છે દાળ અને પાનિયા
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલા મેનપુર ગામે રહેતા રાઠોડ દિનેશભાઇ શનાભાઈ દાલ પાનિયા પરંપરાગત રીતથી બનાવે છે. એમણે કહ્યું કે, મકાઈના કરકરા લોટમાં દૂધ, ઘી, નમક અને જીરું નાખીને તેને બરાબર ચીકણો લોટ થાય ત્યાં સુધી મસળવામાં આવે છે, ત્યાર પછી તેને નાના ગોળ આકારમાં લુવા બનાવીને આંકડાના પાનમાં મૂકી જંગલમાંથી વીણેલા સ્પેશ્યલ ‘અડિયા છાણાં’ પર બન્ને બાજુથી બરાબર શેકવામાં આવે છે. ત્યારબાદ ફોતરાં સાથેની અડદની દાળને ચૂલા પર બાફીને એ દાળમાં અલગથી બનાવેલો આખા ગરમ મસાલા સાથે દેશી ટામેટા, આખું લસણ, ધાણા અને પથ્થરના ખલમાં વાટેલાં લસણ, આદું અને લાલ મરચાંને વઘારવામાં આવે છે. વઘારીને એ બાફેલી દાળમાં અલગથી મિક્સ કરવામાં આવે છે એના પછી લાલ ચટણી જેને આપણે ડ્રાય ચટણી કહીએ એવી જ પણ દાલ પાનિયાની ચટણી થોડી કરકરી અને પથ્થરના ખલમાં જ દેશી લાલ સુ્કાં મરચાં, લસણ, જીરું, આદું અને આખા ધાણાને મિક્સ કરીને વાટીને તૈયાર કરવામાં આવે છે.

રીત રસમ, સંસ્કૃતિ જ્ળવાયેલી છે
દાળમાં દેશી શુદ્ધ અને ચોખ્ખું ઘી નાખવામાં આવે છે, ને પછી એની જે સોડમ હોય છે તે આજુબાજુનાયને લલચાવે એવી હોય છે. આમ જોઈએ તો દાલ પાનિયા મેહનત માંગી લે તેવું ખાણું છે પરંતુ એને બનાવતી વખતે જે ભૂખ લાગે અને આરોગ્યા પછી જે પેટમાં ઠંડક વળે એ શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે.

દિનેશભાઇના કહેવા મુજબ મેનપુર ગામમાં તેઓ જ ફકત છે જે પાનિયાની મૂળ રીત જાણે છે અને બનાવે છે અને એમાં નખાતી મોટાભાગની બધી જ વસ્તુઓ દેશી અને ઘરની જ હોવાથી એનો મૂળ સ્વાદ સચવાઈ રહે છે. પાનિયા ખાખરાના પાનમાં પણ બનાવી શકાય છે, પરંતુ મૂળ રીત મુજબ પાનિયા આંકડાના પાન થકી જ બનાવાય છે. પરંતુ આજના સમયમાં બહારની ખાણી પીણી પાછળ ઘેલા થયેલા લોકો હવે મૂળ ખોરાકને ભૂલતા જાય છે. રીત રસમ અને સંસ્કૃતિ જેવું જુના અને અમુક લોકોએ જ સાચવી રાખ્યું છે.
રતનમહાલ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે
નલધા ધોધ, રતનમહાલ, ઉધાલ મહુડા અને દાહોદના અન્ય સ્થળોએ ફરવા અર્થે આવતાં અનેક પ્રવાસીઓ અહીં દાલ પાનીયા ખાવા આવે છે. ઘણાય લોકો ખાસ પાનિયા ખાવા માટે ગ્રુપમાં અહીં આવતાં હોય છે. અહીંના કુદરતી માહોલમાં અવનવી રમતો અને અંતાક્ષરી રમીને અથવા તો ગામની વાડીઓમાં ભ્રમણ માટે પગદંડીઓ પર આખો દિવસ અહીં પસાર કરીને દાલ પાનિયા આરોગીને પછી જ અહીંથી જાય છે.
ગુજરાતની પૂર્વ સરહદ પર આવેલા આદિવાસી જિલ્લા તરીકે નામના પામેલો જિલ્લો એટલે દાહોદ. આમ તો આ જિલ્લાનું મૂળ નામ ‘ દોહદ ‘ છે, કારણ કે તે મધ્ય પ્રદેશ અને ગુજરાત રાજ્યને જોડતો જિલ્લો છે. એ બન્ને રાજ્યની સીમાની હદ પર આવેલો હોવાથી તેને ‘ દોહદ ‘ કહેવામાં આવતું હતું. પરંતુ ત્યાંના મૂળ આદિવાસીઓની મૂળ સ્થાનિક આદિવાસી ભાષા મોટાભાગે હિન્દી – ગુજરાતી મિક્સ હોવાથી સમય જતા ‘ દોહદ ‘ માંથી ‘ દાહોદ ‘ નામ થઇ ગયું એમ કહેવામાં આવે છે.
દરેક ધર્મ જ્ઞાતિના લોકો વસે છે.
દાહોદ જિલ્લામાં મોટાભાગે આદિવાસીઓની વસ્તી રહેલી છે. જેઓનો વનવગડા સાથે અનન્ય નાતો હોય છે. દાહોદમાં દરેક ધર્મ-જાતિના લોકો રહે છે, જેમ કે ભીલ, પટેલીયા, કોળી, પટેલ, રાજપૂત, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, સિંધી, વાલ્મીકી વણકર, કુંભાર અને બ્રાહ્મણ જેવી અનેક સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે સરહદી જિલ્લો દાહોદ.
આદિવાસી પ્રજા પ્રેમથી આવકારે છે
મહત્તમ પ્રજા આદિવાસી હોવાને નાતે ત્યાં આવનાર દરેકને પ્રેમથી આવકાર આપે પછી ભલેને સામેવાળી વ્યક્તિ અજાણી કેમ ના હોય…! દાહોદની વાત હોય અને ત્યાંની સંસ્કૃતિની વાત કરીએ ત્યારે એમ જરૂર થાય કે હજીય કંઈક ખૂટે છે. દાહોદની સંસ્કૃતિને શબ્દોમાં વર્ણવી અર્થાત્ત તેને અમુક શબ્દોમાં બાંધવી, જે બિલકુલ અશક્ય છે કારણ કે, દાહોદની સંસ્કૃતિને સમજવા માટે ફકત સમય જ નહીં પરંતુ ભાવ પણ જરૂરી છે. કારણ કે, ત્યાંના લોકો ભોળા અને સ્વભાવે મળતાવડા હોય છે. તેઓનો આવકાર પણ એટલો જ મીઠડો હોય છે.