ગોધરા33 મિનિટ પહેલા
- કૉપી લિંક

- બંને ચેકડેમો તૂટી જતાં ભૂગર્ભ જળસ્તર ઘટતાં ખેડૂતોને હાલાકી
- તંત્ર દ્વારા બન્ને ચેકડેમને વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી ખેડૂતોની માગ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની જીવાદોરી સમાન કરાડ અને ગોમા નદી પર બનવવામાં આવેલા બે ચેકડેમો ક્ષતિગ્રસ્ત બનતા ખેડૂતોને હાલ પાણી વિના ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર આ બન્ને ચેકડેમને વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.
કાલોલ તાલુકાના બરોલા-મધવાસ ગામ પાસેથી પસાર થતી કરાડ નદી પર બનાવવામાં આવેલો મોટો ચેકડેમ ગત ચોમાસાની ઋતુમાં નદીમાં આવેલા પાણી ભારે પ્રવાહને લઈને તૂટી જવા પામ્યો હતો. જેને લઈને ચેકડેમમાં સંગ્રહાયેલું પાણી નદીમાં વહી ગયુ હતું અને પાણીના ધસમસતા પ્રવાહને લઈને જમીનનું પણ ભારે ધોવાણ થયું હતું. ચેકડેમ તૂટવાના 6 માસથી વધુ સમય વિતવા છતાં પણ સિંચાઈ વિભાગ દ્વારા હજુ સુધી સ્થળની તપાસ સુધ્ધા કરવામાં આવી નથી. તો બીજી તરફ કાલોલ તાલુકાના રામનાથ ગામ પાસેથી પસાર થતી ગોમા નદી પર બનાવવામાં આવેલા મોટા ચેકડેમનો પણ એક ભાગ ચોમાસાની સિઝનમાં તૂટી ગયો હતો.
જેને લઇને તમામ પાણી નદીમાં વહી જવા પામ્યું હતું. તેમજ આ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થાય તે માટે શરૂઆતમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા સ્વખર્ચે માટીનું પુરાણ કરવામાં આવ્યું હતું. જેથી બાકી રહેલા પાણીને વહેતું અટકાવી શકાય, જોકે બાદમાં સિંચાઈ વિભાગ દ્વારા કામચલાઉ ચેકડેમના તૂટેલા ભાગનું સમારકામ કરવામાં આવ્યું છે. પરંતુ બંને ચેકડેમમાં હાલ પાણીનો સંગ્રહ હાલમાં ન હોવાને લઈને ખેડૂતોને સિંચાઈનું પાણી હાલ મળી રહ્યું નથી. ચેકડેમ તૂટી જવાથી ભૂગર્ભ જળસ્તર પણ નીચે જવાને લઈને પશુપાલન કરતા ખેડૂતોને પણ હાલ પાણી વિના ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે તે વિભાગ દ્વારા તૂટી ગયેલ ચેકડેમ વહેલી તકે તૈયાર કરવામાં આવે તેવી ખેડૂતોની માગ છે.
ચેકડેમનું ટેમ્પરરી રેસ્ટોરેશન કરવામાં આવ્યું છે
કંડાચ રામનાથ વચ્ચેના ચેકડેમનું ચોમાસામાં નુકસાન થયેલ છે. સિંચાઇ વિભાગ દ્વારા ચેકડેમનું ટેમ્પરરી રેસ્ટોરેશન કરાયું છે. જેમા ગેબિયન વોલનું કન્સ્ટ્રક્શન કરાયું છે. આગામી સમયમાં પરમેનેન્ટ રેસ્ટોરેશન માટે ઉચ્ચ કક્ષાએથી મંજૂરી મેળવી કાર્યવાહી કરાશે. > અે અે શિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર, પાનમ ડેમ,ગોધરા.