અમદાવાદ30 મિનિટ પહેલા
- કૉપી લિંક
- એરપોર્ટથી લઇ અમદાવાદ જિલ્લામાં કોરોના કેસનું મોનિટરિંગ થશે
- કેસો બાબતે જિલ્લા આરોગ્ય વિભાગનું ધ્યાન દોરવામાં આવશે
કોરોનાની દહેશતના પગલે અમદાવાદ જિલ્લામાં રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરી છે. જે અંતર્ગત ડોક્ટરો અને નિષ્ણાતો મળીને 12 સભ્યોની ટીમ એરપોર્ટથી લઇ સમગ્ર જિલ્લામાં કોરોના કેસનું મોનિટરિંગ કરીને જિલ્લા આરોગ્ય વિભાગનું ધ્યાન દોરશે.
અમદાવાદ એરપોર્ટ પર આવતા પેસેન્જરોમાંથી રોજ 2 ટકા પેસેન્જરોનું રેન્ડમ ચેકિંગ થાય છે. તે સિવાય પેસેન્જરોને સ્વેચ્છાએ કોરોના ટેસ્ટિંગ કરાવવું હોય તો એરપોર્ટ બહાર જિલ્લાની ટીમ કાર્યરત રહે છે. આ ચેકિંગમાં કે અન્ય કોઇ પણ રીતે કોરોના કેસની જાણ થાય તો રેપિડ રિસ્પોન્સ ટીમ સ્થળ પર પહોંચી જશે.દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રીને આધારે તપાસ કરી, તેની સાથેના લોકોનું પણ કોરોના ટેસ્ટિંગ કરશે.
આ ટીમના સભ્યોને સતત ઓફિસમાં હાજર રહેવાનું નથી, પરંતુ બહાર રહીને મોનિટરિંગ કરવાનું રહેશે. આ સિવાય કોઇ વિસ્તાર ક્વોરેન્ટાઇન કર્યો હશે તો તે સ્થળે જઇને ટીમ મુલાકાત કરી રિપોર્ટ મેળવશે. હોસ્પિટલોમાં કોઇ સુધારા-વધારા જણાશે તો તેની સૂચના આપશે. સમગ્ર તપાસ સહિતની બાબતોનો ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરશે.
જિલ્લામાં હાલ કોઇ કેસ નથી. પરંતુ રાજ્ય સરકારની સૂચનાને ધ્યાને રાખીને કોરોના માટેની તૈયારીઓ કરી દીધી છે. આરોગ્યકર્મીઓને સૂચના અપાઇ છે કે, હાલ કોઇ રજા રદ કરાઇ નથી. પરંતુ જરુર પડશે તો રજા રદનો નિર્ણય પણ લેવાશે.