- Gujarati News
- Local
- Gujarat
- Valsad
- A Gas cylinder Exploded In A House In Valsad, One After Another People Came Out In Burning Condition, Running Here And There To Save Their Lives.
વલસાડ6 મિનિટ પહેલા
- કૉપી લિંક

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના મસાટમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. પરપ્રાતિય ત્રણ લોકો જ્યારે જમવાનું બનાવી રહ્યા હતા ત્યારે અચાનક ધડાકા સાથે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણેય લોકો ગંભીર રીતે દાઝ્યા હોવા છતાં જીવ બચાવવા ભાગ્યા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમરામાં કેદ થઇ હતી. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે ઘટના કેટલી ગંભીર હતી.
દાઝેલા ત્રણેય વ્યક્તિઓને મુંબઈ રીફર કરાયા
દાદરા નગર હવેલીના મસાટ વિસ્તામાં આવેલી રામનાથભાઈની ચાલીમાં રહેતા ભાડૂતી કમલ નારાયણ, પીન્દુ અને શ્રીરામ નામના ત્રણ લોકો સવારે રસોઈ બનાવી રહ્યા હતા. ગેસ સિલિન્ડરની પાઈપ ફાટેલી હોવાનું ધ્યાનમાં ન રહેતા, ગેસ લીક થયો હતો અને અચાનક જ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્રણેય વ્યક્તિ ગંભીર દાઝી ગયા હતા. ઘટનાની જાણ મસાટ પોલીસ આઉટ પોસ્ટ ઇન્ચાર્જ આર.ડી.રોહિતને થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્રણેય વ્યક્તિને સારવાર માટે સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે મુંબઈ રીફર કરવામાં આવ્યા હતા.
વડોદરામાં પણ કંઇક આવી જ ઘટના ઘટી હતી
એક મહિના પહેલા વડોદરામાં પણ કંઇક આવી જ ઘટના ઘટી હતી. શહેરની જીએસએફસી ટાઉનશીપના મકાનમાં ઘરેલુ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં જીએસએફસીના 24 વર્ષીય કર્મચારી અને તેના 21 વર્ષીય બહેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ધડાકાને પગલે બાજુના બે મકાનમાં પણ નુકસાન પહોંચ્યું હતું. બનાવની જાણ થતા જીએસએફસીના સેફટી અને ફાયર વિભાગ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
દસક્રોઈમાં એક જ પરિવારનાં આઠ લોકોનાં મોત થયાં હતાં
એક વર્ષ અગાઉ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના બારેજા- મહિજડા રોડ પર પતરાંના મકાનમાં ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક જ પરિવારનાં આઠ લોકોનાં મોત થયાં હતાં. જે લોકોના મોત થયા તે તમામ મધ્યપ્રદેશના રહેવાસી હતા.
ગેસ સિલિન્ડરમાં આગ લાગે તો શું કરવું?
તમે રસોડામાં કામ કરતા હોય ત્યારે તમને કેટલીક બેઝિક વસ્તુઓનું ભાન હોવું જોઈએ. રસોડામાં આગ લાગે ત્યારે ગેસના સળગતા બર્નરના સંપર્કમાં કોઈ વસ્તુ આવે છે અને તે આગ પકડે છે અથવા ગેસ સ્ટોવ પાઇપમાં આગ લાગે છે અને પછી તે સિલિન્ડર સુધી જવા લાગે છે. જેના કારણે સિલિન્ડરમાં વિસ્ફોટ થઈ શકે છે અને ગેસ ફેલાઈ જવાથી આગ ફેલાવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં નીચે મુજબના પગલાં લઈ શકાય છે.
- સિલિન્ડર લીક થઈ રહ્યો હોય તો તેને તરત જ બંધ કરી દો અને તેને બહાર કાઢીને બદલી નાંખો
- ગેસ સ્ટવ કે પાઇપમાં આગ લાગે તો ગેસનો નોબ બંધ કરી દો. આનાથી આગ તરત જ બુઝાઈ જશે અને સિલિન્ડરમાં નહીં જાય
- પાઇપમાં આગ લાગી હોય અને આગળ વધતી હોય તો ગેસનો નોબ કે સિલિન્ડરના કોઇ પણ એક રેગ્યુલેટરને બંધ કરશો તો આગ આગળ વધી શકશે નહીં.
- ગેસ લીક થવાને કારણે જો સિલિન્ડરમાં આગ લાગી હોય તો ગભરાશો નહીં, સિલિન્ડર તરત જ ફાટશે નહીં, તે પહેલા કોઇ પણ કોટનની ચાદર, બ્લેન્કેટ કે મોટો ટોવેલ પાણીમાં પલાળીને તરત જ સિલિન્ડર પર લપેટી દો. આનાથી આગ બુઝાઈ જશે. તમારા ઘરમાં કોઈ ફાયર એક્સ્ટિંગ્યૂશર હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો.
- ગેસના નોબમાં જ આગ લાગે તો તેના પર તરત જ ભીનું કપડું લગાવી દો, જેથી આગ તરત જ બુઝાઈ જશે
- સિલિન્ડર પર ચાદર લપેટતી વખતે રેગ્યુલેટરને તરત જ બંધ કરી દો. આનાથી આગ બુઝાઈ જશે.
- ઘરમાં હંમેશા થોડું પાણી સંગ્રહિત રાખો. રસોડામાં ક્યારેય ગેસને સળગતો રાખીને ન જાઓ