ગાંધીનગર24 મિનિટ પહેલાલેખક: નિર્મલ દવે
15મી વિધાનસભાના એક દિવસીય સત્રમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટે વિધેયક 2022 રજૂ કરવામાં આવશે. આ વિધેયક આજે મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રજૂ કરવામાં આવશે. 30 સપ્ટેમ્બર, 2022 પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામને આ વિધેયક લાગુ પડશે. આ વિધેયક 17 ઓક્ટોબર, 2022ના દિવસથી રાજ્યભરમાં અમલી બનાવાયુ છે.
આ વિધેયક અંતર્ગત મહાનગરપાલિકા, નગરપાલિકા અને વિકાસ વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામ નિયમિત કરવામાં આવશે. જે બાંધકામોની બી.યુ. પરમિશન નથી અથવા જે બાંધકામને તોડી પાડવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી છે તેવા બાંધકામ આ વિધેયક હેઠળ નિયમિત થઈ શકશે.
અધિનિયમ હેઠળ કબ્જેદારની વ્યાખ્યા
અધિનિયમ કલમ 5 હેઠળ અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટે માલિક અથવા કબજો ધરાવનાર વ્યક્તિ અરજી કરી શકશે. બીજી તરફ અરજી માન્ય રાખવાની સત્તા મ્યુનિસિપલ કમિશનર અથવા વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર અથવા રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા કોઈ સત્તાધિકારી અરજી માન્ય રાખી શકશે.કબજો ધરાવનાર એટલે જે જમીન અથવા મકાન ના સંબંધમાં ભાડું ચૂકવતા હોય અથવા ચૂકવવાપાત્ર હોય તેવી જમીન અથવા મકાન માલિક તેવા વ્યક્તિ અરજી કરી શકશે. પોતાની જમીન અથવા મકાનમાં રહેતા હોય અથવા ઉપયોગ કરતા હોય અથવા કોઈ પણ જમીન અથવા મકાન નો કબજો ધરાવતો પરવાનેદારનો સમાવેશ થાય છે. જે વ્યક્તિ જમીન અથવા મકાન નો ઉપયોગ અથવા ભોગવટા માટે માલિકને વળતર ચૂકવ્યું હોય તેવા વ્યક્તિ પણ કબજેદાર તરીકે ગણાશે. ધાર્મિક અથવા સખાવતી સંસ્થા (એનજીઓ) માટે એજન્ટ, ટ્રસ્ટી, વાલી કે મેનેજરે રીસીવર તરીકે મિલકત નું ભાડું અથવા નફો મેળવતા હોય તેવા હકદાર વ્યક્તિઓ પણ કબ્જેદાર ગણાશે.

4 મહિના સુધી અરજી કરી શકાશે
અરજદારે કલમ 5 હેઠળ કરેલી અરજીના 6 મહિનાની મુદતની અંદર સત્તાધિકારીઓ અરજીની ચકાસણી કરશે. સત્તાધિકારી જ્યારે અનધિકૃત બાંધકામ નિયમિત કરવાની પરવાનગી આપશે ત્યારબાદ જ અરજદારે ઈમ્પેક્ટ ફી ભરીને કાર્યવાહી કરવાની રહેશે. સત્તાધીશોના નિયમિત બાંધકામના હુકમથી બે મહિનાની મુદતની અંદર અરજદારે ફી ચૂકવવાની રહેશે. આમ, ઓક્ટોબર માસથી લાગુ કરવામાં આવેલા અધિનિયમ હેઠળ ફેબ્રુઆરી, 2023 સુધી અનધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે અરજી કરી શકાશે.
અરજી ચકાસણી કરવાની સત્તા
- મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર
- નગરપાલિકા ચીફ ઓફિસર
- સરકાર દ્વારા નિમાયેલા ખાસ અધિકારી
નિયમિત ન થઈ શકે તેવી મિલકત
- સરકારી સ્થાનિક સત્તા મંડળ અથવા વૈધાનિક મંડળની માલિકીની જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામ
- કોઈપણ ચોક્કસ હેતુ માટે સરકાર સ્થાનિક સત્તા મંડળ અથવા વૈધાનિક મંડળે સંપાદિત કરેલી કે ફાળવેલી જમીન પર થયેલા બાંધકામ
- વિકાસ યોજના અથવા નગર રચના યોજનામાં દર્શાવેલા પ્રસ્તાવોની જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામ
- વિકાસ યોજના અથવા નગર યોજના હેઠળ અનામત રાખેલી (કપાત) જમીન પર થયેલ ગેરકાયદે બાંધકામ
- જળાશયો, જળમાર્ગ, તળાવના પટ્ટ, નદીના પટ્ટ અને કુદરતી વહેણ હોય તેવા સ્થળો પર થયેલ ગેરકાયદે બાંધકામ
- જોખમી ઔદ્યોગિક વિકાસ માટે ફાળવવામાં આવેલ જમીન પર થયેલ ગેરકાયદે
- શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા રમત-ગમતના મેદાન પર થયેલા બાંધકામ નિયમિત થશે નહીં
રાજ્યમાં અધિનિયમ કેમ જરૂરી?
ગુજરાતમાં શહેરી વિસ્તારમાં સ્થળાંતર વધવાને કારણે મિલકતોની માંગમાં પણ વધારો થયો છે. રાજ્યમાં ઝડપી શહેરીકરણને કારણે રહેણાંક વિસ્તારમાં મકાનની માંગના આધારે ગેરકાયદે બાંધકામનું પ્રમાણ પણ વધ્યું છે. ગેરકાયદે બનેલી સોસાયટી, ફ્લેટ સહિતની મિલકતોમાં સામાન્ય જનતાએ પોતાની જિંદગીભરની મૂડી ખર્ચીને મકાન ખરીદ્યું છે, પરંતુ ગેરકાયદે બાંધકામને લીધે લોકો વર્ષોથી ચિંતામાં હતા. રાજ્ય સરકારે લોકોની આ જ ચિંતાને ધ્યાનમાં રાખી આ અધિનિયમ લાવવા નક્કી કર્યું. આ અગાઉ ગુજરાત સરકાર વર્ષ 2001 અને વર્ષ 2011માં અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટે વિધેયક લાવી હતી. પરંતુ મોટી સંખ્યામાં મકાન નિયમિત થઈ શક્યા નહોતા અને હજુ પણ લાખોની સંખ્યામાં મકાનો બી.યુ. પરમીશન વગરના છે. કેટલાક મકાન માલિક અગાઉના અધિનિયમ હેઠળ અરજી કરી શક્યા નહોતા.
રાજ્ય સરકારના સર્વેમાં અરજી ન કરી શકનારા લોકોની સંખ્યા મોટી હતી. આવા મોટા પ્રમાણમાં મકાન તોડવા પડે તેવી સ્થિતી હોવાના તેમજ કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા થતા હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હતો. મોટી સંખ્યામાં લોકો બેઘર બનશે અને આજીવિકાનું સાધન ગુમાવે તેવી ભીતિ હોવાના કારણે સમાજના આર્થિક અને સામાજિક માળખા ને નુકસાન ન પહોંચે તે માટે આ વિધેયક લાવવાનો સરકારે નિર્ણય કર્યો છે.