Tuesday, December 20, 2022

કેજરીવાલ બોલ્યા,' અમે ગુજરાતમાંથી બળદનું દૂધ કાઢી લાવ્યા', આજે વિધાનસભાનું એક દિવસીય સત્ર, જુઓ સાત મોટા સમાચાર | Kejriwal said, 'We brought the milk of bulls from Gujarat', one-day assembly session today, see seven big news

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kejriwal Said, ‘We Brought The Milk Of Bulls From Gujarat’, One day Assembly Session Today, See Seven Big News

12 મિનિટ પહેલા

‘અમે તો બળદમાંથી દૂધ કાઢી આવ્યા’
ગુજરાતમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ લગભગ 13 ટકા મતો સાથે પાંચ બેઠકો જીતી હતી. આ “સિદ્ધિ” માટે પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન આપતા કેજરીવાલે કહ્યું કે, “તાજેતરમાં ગુજરાતના સંબંધમાં, કોઈએ મને કહ્યું કે તમે બળદમાંથી પણ દૂધ કાઢી લાવ્યા છો. ગાયનું દૂધ દરેક લોકો કાઢે છે, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો જીતીને અને 13 ટકા વોટ શેર મેળવીને અમે બળદનું દૂધ કાઢ્યું છે.

આજે વિધાનસભાનું એક દિવસીય સત્ર
15મી વિધાનસભાના એક દિવસીય સત્રમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટે વિધેયક 2022 રજૂ કરવામાં આવશે. આ વિધેયક આજે મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રજૂ કરવામાં આવશે. 30 સપ્ટેમ્બર, 2022 પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામને આ વિધેયક લાગુ પડશે. આ વિધેયક 17 ઓક્ટોબર, 2022ના દિવસથી રાજ્યભરમાં અમલી બનાવાયુ છે. આ વિધેયક અંતર્ગત મહાનગરપાલિકા, નગરપાલિકા અને વિકાસ વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામ નિયમિત કરવામાં આવશે. જે બાંધકામોની બી.યુ. પરમિશન નથી અથવા જે બાંધકામને તોડી પાડવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી છે તેવા બાંધકામ આ વિધેયક હેઠળ નિયમિત થઈ શકશે.

જવાનને અશ્રુભીની આંખે વિદાય
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામના અને જમ્મુમાં લદાખ બોર્ડર પર ફરજ બતાવતા જવાન ભરતસિંહ રાણાનુંઓક્સિજન લેવલ ઘટી જતા તેઓએ દમ તોડ્યો હતો. ગઈકાલે તેઓના પાર્થિવદેહને ચાણસોલ ગામે લાવતા સમગ્ર ગામ શોકમય બન્યું હતું. 5 કિલોમીટર લાંબી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમયાત્રામાં ગામલોકો હિબકે ચડ્યા હતા. દરેક લોકોની આંખ આંસુના દરિયા વહાવી રહી હતી. ગામલોકોએ ભારત માતા કી જયના નારા લગાવી જવાનને અંતિમ વિદાય આપી હતી.

‘બાપાના બગીચા’માં ઘૂસી પિક-અપ
સુરતના સારોલી વિસ્તારમાં આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. સીસીટીવી કેમેરા જોઈને ભલભલાનાં હૃદય હચમચી જાય એ પ્રકારનાં દૃશ્યો સામે આવ્યાં છે. ઢાબામાં બેઠેલા લોકો રીતસરના ઢાબાની બહાર દોડતા દેખાયા હતા. ઘટના છે અકસ્માતની જેમાં એક બોલેરો પિક-અપ બેકાબૂ બનતાં ‘બાપાનો બગીચો’ નામના ઢાબામાં ઘૂસી ગઈ હતી. ઢાબામાં જમવા બેઠેલા એક યુવકને સીધો જ કચડી નાખ્યો હતો, જેને લઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પાલિતાણા તીર્થનગરી ફરી વિવાદોમાં
ભાવનગરમાં પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર આવેલા નીલકંઠ મહાદેવ મંદિર બહાર થયેલી તોડફોડનો વિવાદ વધુ વકર્યો છે. નીલંકઠ મંદિરની બહાર થયેલી તોડફોડને લઈ જૈન સમાજમાં રોષ વ્યાપ્યો છે, જેના વિરોધમાં પાલિતાણામાં 10 હજારથી વધુ જૈન સમાજના લોકોએ રેલી કાઢી વિરોધપ્રદર્શન કર્યું હતું. તળેટી ખાતે જૈન સમાજની ભવ્ય ધર્મસભા પણ યોજાઈ હતી. ધર્મસભા પૂરી થયા બાદ જૈન સમાજની વિશાળ રેલીએ વિરોધ નોંધાવ્યો હતો અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કોમી વૈમનસ્ય ફેલાવનારાં તત્ત્વો સામે પગલાં ભરવા માગ કરી હતી. જોકે સામે પૂજારીએ તોડફોડ હિન્દુ સંગઠને નહીં, પણ અસાજિક તત્ત્વોએ કરી હોવાની વાત કરી હતી અને રવિવારે આવેદનપત્ર સ્વીકારવા બદલ સરકાર પર પણ આક્ષેપ કર્યા હતા. જોકે તોડફોડના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જ્યારે હજુ આ મામલે જૈન સમુદાય અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં રેલી કાઢશે.

G-20ની તૈયારી
અમદાવાદમાં આગામી 9-10 ફેબ્રુઆરીએ U-20 અંતર્ગત સિટી શેરપા મિટીંગ અને જુલાઇ 2023માં U-20 મેયર્સ સમિટ યોજાશે. અમદાવાદમાં યોજાનારી અર્બન-20 લોગો-વેબસાઇટ-વેલકમ સોંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચીંગ કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, G-20 દેશોના શહેરો-મહાનગરોના કલાયમેટ ચેન્જ, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ, એફોર્ડેબલ હાઉસીંગ અને સર્વગ્રાહી સામાજીક વિકાસના વિવિધ મુદ્દાઓ પર વૈચારિક આદાન-પ્રદાન માટે અર્બન-20 સાયકલ ગ્લોબલ પ્લેટફોર્મ પુરૂં પાડશે. વિઝનરી ગ્લોબલ લીડર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતમાં યોજાનારી G-20 સમિટના ઉપલક્ષ્યમાં અમદાવાદને આંગણે યોજાનારા અર્બન-20 સમિટના લોગો તથા વેબસાઇટ અને સોશિયલ મિડીયા હેન્ડલ્સ તથા વેલકમ સોંગ લોન્ચીંગ અવસરે મુખ્યમંત્રીશ્રી સંબોધન કરી રહ્યા હતા.

વાલીઓ ચિંતામાં, હવે શું કરવું?
સરકાર દ્વારા જૂન 2023થી જે બાળક 6 વર્ષ પૂર્ણ હશે તેને જ શાળામાં ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે, તેવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ, શાળા અને સરકાર દ્વારા આ અંગે યોગ્ય પ્રચાર પસાર ન કરાતા કેટલાક વાલીઓને આ અંગે પૂરતી માહિતી ન હોવાથી મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. બાળકોના ભવિષ્યની સાથે સાથે આર્થિક ખર્ચાને લઈને પણ વાલીઓ ચિંતિત હોવાથી વડોદરામાં આજ રોજ મોટી સંખ્યામાં વાલીઓએ DEO કચેરી પહોંચી અધિકારીને રજૂઆતપત્ર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…