છોટા ઉદેપુર33 મિનિટ પહેલા
નસવાડી વકીલ મંડળના મંત્રી સાથે એસ.ઓ.જી. પી.એસ.આઇ.ના અભદ્ર વર્તનને લઇને આજે મંગળવારથી નસવાડી વકીલ મંડળ અચોક્કસ મુદતની હડતાળ પર છે. જ્યાં સુધી એસ.ઓ.જી. પી.એસ.આઇ. જે.પી.મેવાડાને ફરજ મોકૂફ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોર્ટ કામગીરીથી અલિપ્ત રહેવાનું નક્કી કર્યું હતું.

વકીલ મંડળના મંત્રીને અપશબ્દો બોલી અપમાનીત કર્યાં
છોટા ઉદેપુરના નસવાડી પોલીસ મથકે ગઈકાલે જીલ્લા એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. જે.પી.મેવાડા આવ્યા ત્યારે નસવાડીના વકીલ અને નસવાડી બાર એસોસિયેશનના મંત્રી સેહજાદ મેમણ એક કેસ બાબતે એસ.ઓ.જી. પી.એસ.આઇ. જે.પી.મેવાડાને રજૂઆત કરવા નસવાડી પોલીસ મથકે ગયા હતા. ત્યારે જે.પી.મેવાડા ખૂબ જ અકળાઈ ગયા હતા. વકીલ મંડળના મંત્રી વકીલ સેહજાદ મેમણને અપશબ્દો બોલી તું વકીલ હોય કે ગમે તે હોય અહિયાંથી બહાર જતો રહે અને ગેટ આઉટ કહીને મનસ્વી વર્તન કરીને અપમાનિત કર્યા હતા. જે બાબતે નસવાડી બાર એસોસિયેશનની તાકીદની મિટિંગ બોલાવીને ગેરકાયદે ખાનગી વાહન લઇને વર્દી વગર આવેલા એસ.ઓ.જી. પી.એસ.આઇ. જે.પી. મેવાડાને જીલ્લા ડી.એસ.પી. દ્વારા ફરજ મોકૂફ કરવામાં ન આવે ત્યાં સુધી કોર્ટ કામગીરીથી અલિપ્ત રહેવાનું નક્કી કરતા ચકચાર મચી ગઇ હતી.



