મોરબી30 મિનિટ પહેલા
મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને લઈને જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. સંભવિત કોરોનાની કહેરને પહોંચી વળવા માટે આરોગ્ય તંત્ર દ્વારા ઓક્સીજન, બેડ, ઓક્સીજન પ્લાન્ટ, પીએચસી અને સીએચસી કેન્દ્ર પર વ્યસ્વ્થાને લઈને સમીક્ષા કરવામાં આવી હતી.

કોરોનાની લહેરને પહોંચી વળવા બેઠક
મોરબી કલેકટર કચેરી ખાતે સંભવિત કોરોનાની લહેરને પહોચી વળવા માટે જીલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી, એસપી, ડીડીઓ, મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં કેટલા બેડ, ઓક્સિજન પ્લાન્ટ, પીએચસી અને સીએચસીમાં કેવી વ્યવસ્થા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
એક પણ કોરોનોનો કેસ સામે આવ્યો નથી: કલેકટર
આ બાબતે મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી એક પણ કોરોનોનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. નિયમિત રીતે ટેસ્ટીગ અને વેકસીનેશન થઈ રહ્યું છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં પરિસ્થિતિ નિયત્રણ હેઠળ છે અને કોરોનાની સંભવિત લહેરને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં બેડ, ઓકિસજન સહિતની તમામ વ્યવસ્થા છે અને આગોતરી તમામ તૈયારીઓ કરી લેવાય છે.
બે ઓક્સિજન પ્લાન્ટ ટૂંક સમયમાં શરુ થઇ જશે
આરોગ્ય અધિકારી ડો.બાવરવાએ જણાવ્યું હતું કે, હવે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને વેકસીનેશન પણ થઈ રહ્યું છે. સેકન્ડ અને થર્ડ વેવમાં સિવિલ અને ખાનગી સહિત જિલ્લામાં કુલ 1750 બેડ ઉપલબ્ધ હતા, તેમાંથી 1300 ઓક્સિજનવાળા બેડ હતા. આ તમામ બેડ હવે નવી લહેર આવે તો તેમાં ઉપયોગમાં લઇ શકાય તેમ છે. સિવિલમાં બે ઓક્સિજન પ્લાન્ટમાંથી એક બંધ હોય તેની ઉપર રજૂઆત કરાઈ જેથી ટૂંક સમયમાં તે પણ શરુ થઇ જશે.