નવસારી16 મિનિટ પહેલાલેખક: ભદ્રેશ નાયક
- કૉપી લિંક

નવસારી શહેરનો 43 ચો.કિમી વિસ્તાર દર્શાવતો નકશો.
નવસારી શહેરનો ભૌગોલિક વિસ્તાર અને 3.25 લાખથી વધુની વસતી પાલિકા માટે કાબૂ બહાર થઈ ગઈ છે. હવે મહાનગરપાલિકા વિકલ્પ રહેતા ચૂંટણી પૂર્ણ થતાં ચર્ચા શરૂ પણ થઈ ગઈ છે.અગાઉની નવસારી પાલિકાની હદમાં 22 જૂન 2020 એ વિજલપોર અને નજીકના 8 ગામોને જોડી સરકારે નવી નવસારી વિજલપોર નગરપાલિકાનું નિર્માણ કર્યું હતું. આ નવી પાલિકાની ભૌગોલિક વિસ્તાર 43 ચોરસ કિલોમીટરનો થયો અને વસતી તો 3.25 લાખને પણ આંબી ગઇ છે. ખૂબ મોટો વિસ્તાર અને વસતી સામે પાલિકાનું વહીવટી માળખું, નાણાંકીય સાધનો, સ્ટાફ ખૂબ ઓછો પડી થયો છે.
સ્ટાફ વિના ઝોન કચેરી પણ નામની જ રહી છે ત્યારે વહીવટમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ સ્થિતિમાં એક મોટો વર્ગ હવે નવસારીને મહાનગરપાલિકા બનાવાય એવી પ્રબળ માંગ કરી રહ્યો છે અને આજ વિકલ્પ પણ જણાય છે. ધારાસભ્યોએ અગાઉ તેની રજૂઆત પણ કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે નવી પાલિકા બન્યા બાદ પણ નવસારીના વધુ હદ વિસ્તરણની વિચારણા થઈ હતી અને તે અંતર્ગત જ નજીકના વધુ 4 ગામો એરૂ, હાંસાપોર, દાંતેજ અને ધારાગીરીને જોડવાની દરખાસ્ત પણ સરકારે મંગાવી હતી. જોકે ત્યારબાદ આગળ નિર્ણય લેવાયો નથી. હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે ચર્ચાનો દોર પુનઃ શરૂ થઈ ગયો છે. નવસારી-વિજલપોર નગરપાલિકાની વર્તમાન પાંખની મુદત પૂર્ણ થવાને હજુ સવા 3 વર્ષ જેટલો સમય બાકી છે.
જ્યારે સીઆરે MLAનું દબાણ ઓછુ પડ્યાંનું કહ્યું
દોઢેક વર્ષ અગાઉ નવસારીમાં પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અંતર્ગત પ્રકાશ ટોકીઝ વિસ્તારમાં કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર હતા. પાટીલે તે વખતે બોલતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, પિયુષભાઇ અને આર.સી.નું દબાણ (રજૂઆત) થોડુ ઓછુ પડ્યું બાકી મહાપાલિકા બની જાત.
પાલિકા સક્ષમ રહી નથી ત્યારે હવે મહાપાલિકા જરૂરી
જે રીતે નવસારીનું હદ વિસ્તરણ થયું છે તેનો વિસ્તાર ખૂબ વધ્યો અને વસ્તીમાં પણ ભારે વધારો થયો છે. તેને જોતા તેના પ્રશ્નોને હલ કરવામાં હાલની નવસારી વિજલપોર નગરપાલિકા સક્ષમ રહી નથી ત્યારે શહેરના વિશાળ હિતમાં હવે મહાપાલિકા બનાવવી જોઈએ. – ભરત શાહ ‘મહેક’, જાગૃત નાગરિક, નવસારી
અમે મહાપાલિકાની રજૂઆત કરી હતી, પુન: કરીશ
પિયુષભાઇ સાથે અમે સરકારને મહાનગરપાલિકા બનાવવાની લેખિત રજૂઆત ગત વિધાનસભા અગાઉ કરી હતી. ફરીથી હું આ માટે પ્રયત્ન કરીશ. – આર.સી.પટેલ, ધારાસભ્ય, જલાલપોર
પાર્ટી સાથે આ બાબતે ચર્ચા કરી નિર્ણય લઇશું
નવસારીમાં મહાપાલિકા બનાવવા અંગે હું અમારી પાર્ટી સાથે આ બાબતે ચર્ચા કરીશું અને ત્યારબાદ નિર્ણય લઇશું. – રાકેશ દેસાઇ, ધારાસભ્ય, નવસારી
વધુ 4 ગામને સમાવી મહાપાલિકા બનાવવી જોઈએ
મારા મતે તો હાલની પાલિકાની બહારના અન્ય ચાર ગામો ધારાગીરી , દાંતેજ, એરૂ અને હાંસાપોરને સમાવી શહેરના વિશાળ હિતમાં મહાપાલિકા જ બનાવવી જોઈએ. – વિનોદ દેસાઇ (સીએ), નવસારી
પાલિકાની મર્યાદા, મહાપાલિકાની ખૂબી
- રાજ્યની સૌથી મોટી પાલિકા તો બની પણ તેના કદ સામે સ્ટાફ, સાધનો ન મળ્યાં
- વહીવટી વડા પાલિકાના સીઓ પાસે સત્તા પ્રમાણમાં ઓછી હોય છે, મહાપાલિકાના કમિશ્નર પાસે વધુ હોય નિર્ણય જલદી, કડકાઈથી લઈ શકે.
- પોણા બે વર્ષના શાસનમાં ખાસ કરીને જોડાયેલ ગ્રામ્ય વિસ્તાર, વિજલપોરના રહીશોની આશા પરિપૂર્ણ ન થઈ.
- અગાઉ વર્ગ આધારિત ગ્રાન્ટમાં નવસારી-વિજલપોરને બે ગ્રાન્ટ મળતી હવે માત્ર અ વર્ગની ગ્રાન્ટ મળે છે.
- વિસ્તાર વધતા ઝોન કચેરી તો બનાવી પણ અપૂરતા સ્ટાફથી નામની જ રહી.
- સ્ટાફ ઘટથી અનેક શાખાઓના વડા પણ ચાર્જમાં છે, તજજ્ઞ અધિકારી પણ અપૂરતા.