Saturday, December 24, 2022

Pramukh Swami Maharaj came to Zanjarka and consecrated our ashram AGP – News18 Gujarati

Parth Patel, Ahmedabad: સંત શ્રી સવૈયાનાથ સમાધિ સ્થાનના મહંત શંભુપ્રસાદજી મહારાજ ટુંડીયાજી એ જણાવ્યું કે મને ખૂબ જ આનંદ એટલા માટે થાય છે કે આજે સમરસતાનો કાર્યક્રમ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં યોજાઈ રહ્યો છે. પ્રમુખસ્વામી મહારાજે ઝાંઝરકા આવીને અમારો આશ્રમ પાવન કર્યો હતો. તેના માટે હું પ્રમુખસ્વામી મહારાજનો આભારી છું.

પ્રમુખસ્વામી મહારાજ એટલે શાંત, સરળ અને દિવ્ય આધ્યાત્મિક વ્યક્તિત્વ

ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર બળવંતસિંહજી રાજપૂતે જણાવ્યું કે આજે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને આ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવાની તક મળી. પ્રમુખસ્વામી મહારાજ એટલે શાંત, સરળ અને દિવ્ય આધ્યાત્મિક વ્યક્તિત્વ. માનવજીવન માટે પોતાનું સમગ્ર જીવન ખપાવી દેનાર પ્રમુખસ્વામી મહારાજનું ઋણ ચૂકવવાનો આ ઉત્તમ અવસર છે.

તેમનું દિવ્ય સાનિધ્ય મને ત્રણવાર પ્રાપ્ત થયું છે. સિદ્ધપુરમાં બિંદુ સરોવર આગળ પ્રમુખસ્વામી મહારાજે મને ધબ્બો આપીને આશીર્વાદ આપેલા એ મને આજે પણ યાદ આવે છે. તેમની દિવ્યતા મને આજે પણ અનુભવાય છે.

નાતજાતના ભેદભાવ વગર દરેક મનુષ્યને બોલ્યા વગર પ્રેમ આપ્યો છે

આરએસએસના સર સંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે સમરસતા દિવસ પર મને અહીં હાજર રહેવા મળ્યું એ મારું પરમ સૌભાગ્ય છે. અદ્ભુત, અલૌકિક અને અવિસ્મરણીય આ ત્રણ શબ્દો આ નગરને વર્ણવે છે. પ્રમુખસ્વામી મહારાજનાં કાર્યો અને સંદેશો સરળતાથી સમજાવામાં આવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે ખુદ ઉચ્ચ જીવન જીવીને બતાવ્યું છે.

આપણને પણ આવું જીવન જીવવાની પ્રેરણા આપી છે. પ્રમુખસ્વામી મહારાજના દર્શાવેલા પથ પર આપણે ચાલીશું તો સમાજમાં સમરસતાનું દિવ્ય વાતાવરણ સર્જાશે. કારણકે તેમણે નાતજાતના ભેદભાવ વગર દરેક મનુષ્યને બોલ્યા વગર પ્રેમ આપ્યો છે.

પ્રમુખસ્વામી મહારાજની આંખોમાંથી પોતાનાપણું જોવા મળતું હતું. મને એમણે 4-5 વખત મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમની મૂર્તિમાંથી આજે પણ પોતાના પણું જોવા મળે છે. એક નજરથી માણસના તમામ દોષો દૂર કરી નાખે એવી તેમની ર્દષ્ટિ હતી. પ્રમુખસ્વામી મહારાજ મારા છે એવું દરેક માણસને લાગતું હતું. કારણકે તેઓ દરેક માણસમાં ભગવાન જોઈને તેમને પ્રેમ આપતા હતા.

પ્રમુખસ્વામી મહારાજ દરેક પરિસ્થિતિમાં અચળ અને શાંત રહેતા હતા. આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન કરનાર તમામને હું અભિનંદન આપું છું. કારણકે પ્રમુખસ્વામી મહારાજની જીવનભાવના, જીવનકાર્ય અને સંદેશો એકદમ સરળ ભાષામાં અહી દર્શાવવામાં આવ્યો છે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો સાચો અર્થ આપણે પ્રમુખસ્વામી મહારાજે શીખવેલા આદર્શ મૂલ્યો જીવનમાં ઉતારીએ અને તેમને દર્શાવેલા પથ પર જીવન જીવવાની શરૂઆત કરીએ તે છે. પ્રમુખસ્વામી મહારાજ નિષ્કામ કર્મયોગી હતા. એટલે જ તેમની બધી કામના પૂરી થતી હતી. પ્રમુખસ્વામી મહારાજે અનેક યુવાનોને નવજીવન આપ્યું છે. ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપી છે અને આદર્શ સમાજનું નિર્માણ કર્યું છે.

પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ભગવાન અને સંતને મન કોઈ ભેદ હોતા નથી

મહંતસ્વામી મહારાજે કહ્યું કે સમરસતા દિવસ પર સમાનતાની વાતો સાંભળીને ખૂબ આનંદ થયો. મહાનુભાવોએ કરેલી વાતો આપણે જીવનમાં ઉતારીશું તો સમાજમાં એકતાનું વાતાવરણ સ્થપાશે. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ભગવાન અને સંતને મન કોઈ ભેદ હોતા નથી. કારણકે સૌમાં એક જ ભગવાન બિરાજમાન છે. આપણે સૌ ભગવાનના બાળકો છીએ તો સમાજમાં કોઈ અસમાન નથી.

આપણાં કર્મો જો સારા હોય તો આપણે સારા જ છીએ. માનવીમાં સંસ્કાર હશે તો ભલે ઝૂંપડામાં રહેતો માનવી પણ વંદનીય છે. ભગવાનમાં પ્રેમ કરીશું તો આપણાં બધામાં પ્રેમ રહેશે. જો ભગવાનમાં પ્રેમ નહિ હોય તો કોઈને પણ સાચો પ્રેમ કરી શકાશે નહિ. ભગવાનમાં જોડાવવાથી જ સમાજમાં સાચી સમાનતા આવશે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Ahmedabad news, Local 18, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav