રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક

રાજકોટ અમદાવાદ હાઈવે પર માલીયાસણ ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી 3 લોકોની હાલત ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ અકસ્માતને પગલે કુવાડવા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

ટ્રક પાછળ કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત
રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા માલીયાસણ ગામ નજીક ટ્રક (નં- જીજે 03 બીડબ્લ્યુ 0335) અને ઇકો કાર (નં- જીજે 03 કેસી 2269) વચ્ચે અકસ્માત સર્જાયો છે. રાજકોટથી અમદાવાદ જતા રસ્તા તરફ ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની વિગત સામે આવી છે. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ બનાવની જાણ થતાની સાથે જ કુવાડવા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા કાર્યવાહી હાથ ધરી છે.


કારમાં આગળ બેઠેલાં વૃદ્ધનું સ્થળ પર જ મોત
ઉલ્લેખનીય છે કે, ઇકો કારમાં આગળની સીટ પર એક વૃદ્ધ બેઠા હતા. જેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. અકસ્માતના પગલે ટ્રકનો પાછળનો ભાગ બેથી ત્રણ ફૂટ સુધી ઇકો કારને ચીરીને અંદર ઘૂસી ગયો હતો. જેમાં આગળ બેઠેલાં વૃદ્ધનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. હાલ તેમના મૃતદેહને પણ બહાર કાઢવા માટે તજવીજ ચાલી રહી છે. જોકે, ઇજાગ્રસ્તો પૈકી હજુ પણ 3 જેટલા લોકો વધુ ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
