વલસાડ2 કલાક પહેલા
- કૉપી લિંક

રાજ્ય હવામાન વિભગની આગાહીને લઈને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 13થી 15 માર્ચ દરમ્યાન કમોસમી વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. જેને લઈને વલસાડ જિલ્લા કલેક્ટર અને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને અને APMCના વેઓરીઓને તકેદારી રાખવા જાગૃત કરવામાં આવ્યા છે. આંબાવાડી, શાકભાજી અને રવિ પાક લેતા ખેડૂતોએ તકેદારી રાખવા અંગે જાગૃત કરવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લામાં તા. 13થી 15 માર્ચ 2023ના રોજ હળવાથી મધ્યમ કમોસમી વરસાદ ગાજવીજ સાથે પડી શકે તેવી આગાહી રાજ્ય હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે. કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવી અથવા પ્લાસ્ટીક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવુ અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતુ અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો, એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોને કાળજી રાખી આગોતરી સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે.

આ ઉપરાંત એપીએમસીમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, આ દિવસો દરમિયાન વેચાણ અર્થે આવતી પેદાશો ખરીદવાનું ટાળવુ અથવા સુરક્ષિત રાખવી જરૂરી છે. આ અંગે વધુ જાણકારી માટે જિલ્લા ખેતીવાડી વિભાગ, કપરાડા તાલુકાના અંભેટી ગામમાં સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પારડીના પરિયામાં સ્થિત કૃષિ સંશોધન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટરનો ટોલ ફ્રી નં. 18001801551 ઉપર સંપર્ક કરવા વલસાડ જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
