પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા
ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા કુલ 151 વીજ કનેક્શનના 8.40 કરોડ રૂપિયા બાકી હોવાથી એમજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન ક્ટ કરી દેવામાં આવ્યા હતા. બાકી વીજ બિલ ભરપાઈ માટે ગોધરા નગરપાલિકાને વારંવાર લેખીત અને રૂબરૂ સંપર્ક કરી રજૂઆત કરવા આવી હતી. છતાં પણ પાલિકા દ્વારા કોઈ પ્રકારનો જવાબ ન મળતાં ગોધરાની 15 જેટલી સોસાયટીઓના વીજ કનેક્શન ક્ટ કરી દેવામાં આવ્યા હતા.

લેખિત રજૂઆતો કરવા છતાં પણ વીજ બીલ બાકી
ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોટર વર્ક અને સ્ટ્રીટ લાઇટના અત્યાર સુધીમાં 8 કરોડ 40 લાખ રૂપિયાના વીજ બિલ બાકી છે. આ મામલે એમજીવીસીએલ દ્વારા ગોધરા નગરપાલિકાને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ બાકી વીજ બિલ ભરપાઈ કરવામાં ના આવતા આ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. જેને લઈને ગોધરા શહેરમાં અંધારપટ છવાઈ ગયું હતું. ગોધરા શહેરના મલા કમ્પાઉન્ડ, ઈમરાન મસ્જિદ, કાલાભાઈ પેટ્રોલપંપ, જીઆઇડીસી, મહાવીરનગર, જય યોગેશ્વર સોસાયટી, પાવર હાઉસ, સત્યમ સોસાયટી ,વલ્લભનગર ભુરાવાવ કેબીન, વૃંદાવન નગર, જૈન દેરાસર, લાલબાગ, સૈયદવાડા વગેરે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ કટ કરી દેવામાં આવી હતી.
રકમ ભરપાઈ નહીં કરે તો બીજા પણ કનેક્શન કપાશે
ગોધરા એમજીવીસીએલના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર સી.પી. બારીયાએ જણાવ્યું હતું કે, ગોધરા વિભાગીય કચેરીની તાબા હેઠળ આવતા વેસ્ટ અને ઈસ્ટ સબ ડિવિઝનમાં વોટર વર્ક્સના 43અને સ્ટ્રીટ લાઈટના 106 કનેક્શનમાં કુલ 8.40 કરોડ બાકી રકમ બોલે છે. જેમાં ઉપલી કચેરીના આદેશ મુજબ નાણાં ભરપાઈ ન થાય તો કનેક્શન કાપવા માટે સૂચના આપવામાં આવી હતી. જેને લઇને ગઈકાલે ગોધરા શહેરના 15 જેટલા વિસ્તારોનું સ્ટ્રીટ લાઈટ કનેક્શન કટ કરી દેવામાં આવ્યુ હતું. જો આ બાબતે નગરપાલિકા રકમ ભરપાઈ નહીં કરે તો બીજા પણ કનેક્શન કાપવાની ફરજ પડશે.