37 મિનિટ પહેલા
મોહનથાળનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજ્યો – કોંગી સભ્યોએ ભાજપના ધારાસભ્યોને ગૃહમાં મોહનથાળ ખવડાવ્યો, મોહનથાળ ખાનારા ભાજપી ધારાસભ્યએ ખાદ્ય પદાર્થની ફોરેન્સિક તપાસની માગ કરી હતી. અંબાજી પ્રસાદ અંગે ચર્ચા ના કરવાના આક્ષેપ સાથે વોક આઉટ કરનારા કોંગી સભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે.
અંબાજી ખાતે મોહનથાળને પ્રસાદ તરીકે શરૂ કરવા માટેની માંગ દિવસે ને દિવસે પ્રચંડ બનતી જાય છે ત્યારે વિધાનસભા ગૃહમાં પણ આજે મોહનથાળને અંબાજી મંદિરમાં પ્રસાદ તરીકે શરૂ કરવા માટેનો મુદ્દો ગુંજ્યો હતો. જો કે આ મુદ્દે ચર્ચા થાય તે પહેલા જ કોંગી સભ્યોએ ગૃહમાં માથાકૂટ કરી અને વોક આઉટ કર્યો હતો. વોક આઉટ કરનારા તમામ કોંગી સભ્યોને અધ્યક્ષે આજના દિવસ પૂરતું ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા છે.
ખાદ્ય પદાર્થ બહાર મૂકવા અધ્યક્ષની ટકોર
વિધાનસભા ગૃહની બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી કાળ બાદ કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં મોહનથાળ લઈને આવ્યા હતા. આ મોહનથાળ ભાજપના તમામ ધારાસભ્યોને વહેંચવામાં અને ખવડાવવામાં આવ્યો હતો. જો કે આ સમયે વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્યને સુચના આપી હતી કે, જે પણ ધારાસભ્ય ખાદ્ય પ્રદાર્થ ગૃહમાં લઇને આવ્યા હોય તે બહાર મુકીને આવે. આમ, ગૃહમાં પ્રશ્નોતરી બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ અંબાજી મંદિરના પ્રસાદ બાબતે વિરોધ કરવાનું શરૂ કર્યું હતુ.

ખાદ્ય પદાર્થની ફોરેન્સિક તપાસ કરવા સાર્જન્ટને સૂચના
ઈડર બેઠકના ભાજપી ધારાસભ્યની રજૂઆતને આધિન વિધાનસભા અધ્યક્ષે તાબડતોબ પગલાં લેવા કાર્યવાહી કરી હતી. તેમણે સાર્જન્ટને સૂચના આપી હતી કે, સમગ્ર ઘટનામાં યોગ્ય તપાસ થવી જોઈએ. આ ઉપરાંત અધ્યક્ષે કહ્યું કે, ગૃહમાં વહેંચવામાં આવેલી મીઠાઈ ખાદ્ય છે કે અખાદ્ય છે ? વગેરે અંગે પણ પૂરતી તપાસ થતો આખી ઘટનાનો રિપોર્ટ આપવા સાર્જન્ટને સૂચના આપી છે.
મોહનથાળને પ્રસાદ તરીકે શરૂ કરવાની માંગ સાથે વોક આઉટ
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે મોહનથાળના બદલે ચીકીને પ્રસાદ તરીકે આપવાના નિર્ણયનો આજે વિધાનસભા ગૃહમાં કોગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં તમામ ધારાસભ્યને મોહનથાળના વહેંચણી કરી હતી. કોગ્રેસના ધારાસભ્યએ ગૃહમાં પ્રસાદ બાબતે સુત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો. આ ઉપરાંત કોગ્રેસના ધારાસભ્યએ અંબાજીના પ્રસાદ બાબતે ગૃહમાંથી વોક આઉટ કર્યું હતુ. અધ્યક્ષે વિરોધમાં જોડાયેલા ધારાસભ્યને નેમ કરીને નોટિસ આપી ગૃહની આજની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા છે.
અધ્યક્ષની ટકોર બાદ કોંગ્રેસના સભ્યોનો ગૃહ ત્યાગ
વિધાનસભા અધ્યક્ષે ખાદ્ય સામગ્રી બહાર મૂકવાની જેવી સુચના આપી કે તરત જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કરવાની શરૂઆત કરી હતી. વિરોધ દરમિયાન કોગ્રેસના ધારાસભ્યો બોલ મારી અંબે જય જય અંબેના નારા લાગાવીને ગૃહની બહાર નીકળી ગયા હતા. તેમની માંગણી હતી કે, અંબાજી મંદિરમાં મોહનથાળને પ્રસાદ તરીકે ફરી શરૂ કરવામાં આવે અને ચીકીનો પ્રસાદ બંધ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વિધાનસભામાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ પ્રસાદ બાબતે સરકારને રજૂઆત કરી હતી.

મોહનથાળમાં ઝેર તો નથી ? તપાસ થવી જોઈએ – રમણલાલ વોરા
ગૃહમાં વહેચવામાં આવેલા મોહનથાળની તપાસ કરવામાં આવે તેવી માંગણી ધારાસભ્ય રમણલાલ વોરા દ્વારા કરવામાં આવી હતી. રમણલાલ વોરાએ અધ્યક્ષને રજૂઆત કરી હતી કે, કોગ્રેસના સભ્યો દ્વારા જે મોહનથાળની વહેંચણી કરવામાં આવી છે. તેમાં ઝેર જેવા પદાર્થ તો નથી ? તેની તપાસ થવી જોઇએ. ગૃહમાં આ પ્રકારે ખાદ્ય પ્રદાર્થની વહેંચણી ન કરી શકાય આ બાબતે યોગ્ય કાર્યવાહી થવી જોઇએ તેવી અધ્યક્ષને રજૂઆત કરી હતી.