બોટાદ4 કલાક પહેલા
- કૉપી લિંક

ગુજરાતના પ્રજાજનોને સુખાયું અને દીર્ધાયું પ્રાપ્ત થાય અને છેવાડાના માનવી સુધી આયુષની સેવાઓ પહોંચી શકે તે હેતુથી રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા આયુષ પ્રભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આયુષ મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે બોટાદ જિલ્લા આયુષ તંત્ર દ્વારા તા. 16મી માર્ચ, 2023ને ગુરૂવારના રોજ બોટાદની કવિશ્રી બોટાદકર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સવારે 9થી બપોરના 2 કલાક દરમિયાન ત્રીજા આયુષ મેળાનું આયોજન કરાયું છે. જેમાં આયુષની વિવિધ પ્રવૃતિઓનો લાભ લેવા આયુષ વિભાગ, બોટાદ દ્વારા નાગરિકોને જાહેર અપીલ કરવામાં આવી છે.
આ મેળામાં આયુષના મૂળભૂત સિદ્ધાંતો જેમ કે દિનચર્યા, ઋતુચર્યા, ભોજનના નિયમો, રસોડા/આંગણાની ઔષધિઓ, પંચકર્મ સારવાર વગેરેની વિસ્તૃત સમજણ આપતું પ્રદર્શન, નિષ્ણાત આયુષ ચિકિત્સકો દ્વારા તમામ રોગોનું આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિથી નિદાન તથા સારવાર, આયુર્વેદની વિશિષ્ટતા એવી અગ્નિકર્મ ચિકિત્સા દ્વારા પેઈન મેનેજમેન્ટ (કમર,ઘૂંટણ જેવા દરેક પ્રકારના સાંધાના દુખાવાની અગ્નિકર્મથી સારવાર) વૃદ્ધાવસ્થાજન્ય રોગોની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા વિશેષ સારવાર અને માર્ગદર્શન, બાળકના સર્વાંગી વિકાસ માટે આયુર્વેદની વિશેષતા, 12 વર્ષ સુધીના બાળકોને નિ:શુલ્ક સુવર્ણ પ્રાશનનો લાભ આપવામાં આવશે. ઉપરાંત તંદુરસ્ત માતૃબાળ માટે ગર્ભ સંસ્કાર બાબતે માર્ગદર્શન અને સ્વસ્થ અને લાંબા આયુષ માટે યોગ નિદર્શન પણ પુરૂં પડાશે. તેમ બોટાદનાં જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા જણાવાયું છે.