પોરબંદરએક કલાક પહેલા
- કૉપી લિંક

આઠ દાયકાથી શિક્ષણ, સંસ્કાર અને શિસ્તની જ્યોત જગાવી રહેલી રાજરત્ન શ્રેષ્ઠી નાનજી કાલિદાસ મહેતા આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વાલી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન તથા તૃતીય વર્ષ બીએ-બીકોમની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે સ્વ. પી.એસ.એમ. ઠકરાર હાઇસ્કૂલ પારાવાડાના પ્રિન્સિપાલ નરસિંગ ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ અને આર્ય કન્યા ગુરુકુળના માનદ્ પ્રોવોસ્ટ ડૉ. અનુપમ નાગરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સફળ આયોજન કોલેજના ઉપાચાર્યા, ગીત સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષા, વાલી અને વિદાય સંમેલનના અધ્યક્ષા તેમજ હોમ-સાયન્સ વિભાગના વડા પ્રો. રોહિણીબા જાડેજાએ કરી હતી.

કાર્યક્રમની શરૂઆત ગુરુકુળ પરંપરા પ્રમાણે વેદ મંત્રગાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વાલી સંગઠનના સેક્રેટરી ડો. શર્મિષ્ઠા પટેલે ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વાલી સંગઠનની કામગીરીની માહિતી આપી તથા તેનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓને આવકારી હતી.

ત્યારબાદ દરેક વિભાગમાં વિદ્યાર્થીઓને મળતા ત્રણ એવોર્ડ્સ (1) આઉટ સ્ટેન્ડિંગ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ (એકૅડેમિક્સ), (2) આઉટ સ્ટેન્ડિંગ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ (કો કરિક્યુલર એક્ટિવિટીઝ) અને (3) મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ-વિદ્યાર્થીનીઓને તેઓના જ વાલીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુ.નિષ્ઠા વાજા એન્ડ ગ્રુપ દ્વારા શ્રી રામ સ્તુતિ ભરતનાટ્યમના રૂપે પ્રસ્તુત કરવામાં આવી હતી.

કુ.ધર્મિષ્ઠા સોલંકીએ ‘ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન એટલે પિતા’ વિષય પર ભાવસભર વક્તવ્ય આપી બધાને ભાવવિભોર કરી દીધા તથા કુ.બંસી આશા એન્ડ ગ્રુપ દ્વારા ભક્તિ-ભાવયુક્ત ભજનની પ્રસ્તુતિ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી. કુ.ઓમિકા રાઠોડ એન્ડ ગ્રુપ દ્વારા ‘દીકરી’ પર મેશ-અપ પ્રસ્તુત કરવામાં આવેલ અને કાર્યક્રમના અંતે કુ.ધારા વાજા એન્ડ ગ્રુપ દ્વારા ટિપ્પણી રાસની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

આ સંમેલનના અંતે અતિથિ વિશેષ નરસિંગ ડોડીયાએ મનનીય પ્રવચન આપી વિદ્યાર્થીનીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ હરિવંશરાય બચ્ચનની પંક્તિઓ દ્વારા બતાવ્યું કે ‘લહેરોં સે ડરકર નૌકા પાર નહિ હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી’ પંક્તિ દ્વારા વિદ્યાર્થીનીઓને અનેક સંઘર્ષો વચ્ચે પણ સખત પરિશ્રમ કરી ધ્યેયની પ્રાપ્તિ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ દર વર્ષે પારવાડા હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓ આ કોલેજમાં ભણવા માટે આવે છે તેનો તેઓએ આનંદ અને ગૌરવ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના અંતે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષા પ્રો.શોભના વાળાએ વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવી તથા તેઓની આગવી શૈલીમાં બધાનો ઋણ સ્વીકાર કર્યો હતો. ગુરુકુળ પરંપરા મુજબ શાંતિપાઠથી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન અંગ્રેજી વિભાગના અધ્યક્ષા અને ગીત સંગીત નૃત્ય ધારાના સભ્ય અને વિદાય સમારંભ સમિતિના સભ્ય ડૉ. કેતકી પંડ્યાએ કર્યું તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન પ્રો.અમી પઢિયારે કર્યું હતું.