ભરૂચ5 મિનિટ પહેલા
- કૉપી લિંક

જંબુસર તાલુકાના મહાપુરા ગામની સીમમાં વીજ વાયરના થાંભલા ઉપર શોર્ટ સર્કીટને પગલે આગ લાગી હતી. જેથી ઘઉંનો ઉભો પાક બળીને ખાખ થઇ જતા ખેડૂતને 50 હજારનું નુકસાન થયું છે.
જંબુસર તાલુકાના મહાપુરા ગામના માજી સરપંચ અને ખેડૂત સોમાભાઈ પટેલનું ગામની સીમમાં ખેતર આવેલું છે જેઓએ આ ખેતરમાં ઘઉંનો પાક કર્યો છે. જે ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન ઉપર થાંભલા પાસે શોર્ટ સર્કીટ થતા તણખા નીચે પડતા ઘઉંના ઉભા પાક સળગી ઉઠ્યો હતો. આ અંગેની જાણ ખેડૂતને થતા તેઓએ દોડી આવી આગ બુજાવવાની કોશિશ કરી હતી. આગ વધુ ખેતરમાં પ્રસરે તે પહેલા તેઓએ આગ બુજાવી દીધી હતી અને વીજ કચેરીએ જાણ કરતા અધિકારી સ્થળ પર આવી ગયા હતા. જેઓને વળતર અંગેની માંગ કરતા અધિકારીઓ પોતાના હાથ અધ્ધર કરી દીધા હતા. આગને પગલે ખેડૂતને 50 હજારનું નુકસાન થયું છે. જો કે, આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહી થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.