પોરબંદરએક કલાક પહેલા
બજારમાં ડુંગળીના ભાવે ખેડૂતને રડાવ્યાં બાદ આ મુદ્દે ભારે ઉહાપોહ મચતા સરકાર દ્વારા ડુંગળીની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં પોરબંદર, મહુવા તથા ગોંડલમાં 10 માર્ચથી નાફેડ દ્વારા ડુંગળી ખરીદીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ એપીએમસી ખાતે 10 માર્ચે નાફેડના કોઈ કર્મચારી જોવા મળ્યા ન હતા. ત્યાર બાદ સરકાર જાણે કે જાગી હોય તેમ આજથી ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. નાફેડ દ્વારા ઈન્ડી એગ્રો કંપની મારફતે ખરીદી કરવામાં આવનાર હોવાથી કંપની દ્વારા પોરબંદર તાલુકાના ખેડૂતો માટે એપીએમસી ખાતે તથા કુતિયાણાના ખેડૂતો માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે તેમ પોરબંદર ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.

ખેતરે જઈ ડુંગળીની ખરીદી કરવામાં આવશે
સરકાર દ્વારા ડુંગળીની જે ખરીદી થવાની છે તે ટેકાના ભાવે નહીં પરંતુ બજારમાં જે વર્તમાન ભાવ હશે તેને ધ્યાને લઇને ખરીદી કરવામાં આવશે. બીજી મહત્ત્વની વાત એ છે કે, ખેડૂતોએ ડુંગળી વેચવા માટે જવાનું નથી પરંતુ ખેડૂત દ્વારા ઓફલાઇન રજીસ્ટ્રેશન કર્યા બાદ કંપનીના ગ્રેડર સહિતના કર્મચારીઓ ખેડૂતના ખેતરે જઈ ગુણવત્તા ચેક કરશે અને જો યોગ્ય ગુણવત્તાયુક્ત ડુંગળી હશે તો સ્થળ પર જઇને જ ખરીદી કરવામાં આવશે તેવું ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.

20થી વધુ ખેડૂતોએ ડુંગળી વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું
પોરબંદર જિલ્લામાં આમ તો ડુંગળીનું વાવેતર બીજા જિલ્લાઓની તુલનાએ નહીવત થતું હોય છે. આમ છતાં પ્રથમ દિવસે જિલ્લામાં 20થી વધુ ખેડૂતોએ ડુંગળી વેચવા માટે ઓફલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હવે જોવું રહ્યું કે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને ડુંગળીના શું ભાવ મળે છે.