પોરબંદર35 મિનિટ પહેલા
રાજ્યમાં ડુંગળીનુ વાવેતર કરતા ખેડૂતોને ડુંગળીના પુરતા ભાવ ન મળવાના કારણે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. જેના કારણે ડુંગળી પકવતા ખેડૂતોને ફાયદો થવાને બદલે હાલમાં ઓછા ભાવ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ખેડૂતોને મદદરૂપ થવા સરકાર દ્વારા આજથી પોરબંદર, ગોંડલ અને મહુવા ખાતે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી હતી.

નાફેડ દ્વારા ટેકાના ભાવે ડુંગળી ખરીદીની આજથી શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા ડુંગળીની ખરીદી કરવામાં આવશે તેવી જાહેરાત તો કરી દેવામાં આવી હતી, પરંતુ આ જાહેરાત માત્ર સરકારી જાહેરાતની જેમ કાગળ પર જ કરવામાં આવી હોય તેમ પોરબંદરમાં જોવા મળ્યુ હતું. કારણ કે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી ખરીદી માટેની કોઈ વ્યવસ્થા જ જોવા મળી ન હતી. માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ડુંગળી ખરીદી માટેના સેન્ટરની તો જાહેરાત કરવામાં આવી, પરંતુ તેમના સ્થાને ન તો કોઈ જગ્યા નક્કી કરવામાં આવી, કે પછી નાફેડના કોઈ અધિકારી કે કર્મચારીઓ પણ અહીં જોવા મળ્યા ન હતા.

પોરબંદર માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલા ખેડૂતોએ પણ માગ કરી હતી કે, પહેલા સરકારે ખેડૂતોને યોગ્ય માહિતી આપવી જોઈએ. જેથી કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી ડુંગળી લઈને આવતા ખેડૂતોને ખબર પડ કે ડુંગળીની કેટલા ભાવે ખરીદી કરવામાં આવશે, કેટલી માત્રામાં ખરીદી કરવામાં આવશે, કઈ જગ્યા પર ખરીદી કરાશે. વગેરે જાણકારી આપવી જોઈએ. પરંતુ અહીં આવ્યા ત્યારે જોયુ તો અહિ તો કોઈ જ વ્યવસ્થા જોવા મળી ન હતી.
