બોટાદએક કલાક પહેલા
- કૉપી લિંક

કિનારા ગામમાં ધોરણ 1થી 8 સુધીની સરકારી શાળા તથા ધોરણ 1થી 12 સુધીની પ્રાઈવેટ શાળા આવેલી છે.
- જિલ્લાના 100 % રસીકરણમાં પ્રથમ નંબર
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં કિનારા ગામ છે. જે રાણપુરથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલું છે. કિનારા ગામનું ભૌગોલિક સ્થાન જોઈએ તો ભાદર નદીના કિનારા પર વસેલું છે. તેથી જ તેનું નામ “કિનારા” પડ્યું છે. કિનારા ગામનો ઉલ્લેખ રાણપુરના ઇતિહાસમાં પણ જોવા મળે છે. વર્ષો પહેલાની વાત છે જ્યારે રાણપુરમાં ગોહિલ વંશનું રાજ હતું.
ત્યાંના રાજા રાણોજી ગોહિલ હતા. તે જ સમયે અમદાવાદમાં અહમદશાહનું રાજ હતું. અહમદશાહે રાણપુર પર ચડાઇ કરી, રાણપુરને પોતાના કબજામાં લેવા માટે સૈન્ય મોકલ્યું. અહમદશાહનું સૈન્ય જ્યારે ધીમે ધીમે રાણપુર તરફ આવી રહ્યું હતું અને છેક ભાદર નદીના કિનારા સુધી પહોંચી ગયું ત્યારે રાણા ગોહિલને રાણપુરના ચારણ લોકો દ્વારા એક દુહો ગાવામાં આવ્યો હતો. રાણા રમત્યું મેલ્ય, કનારે ચડ્યા કટક, ખત્રિ ચોપડ ખેલ, ગોહિલ કાંલાગો ગાળો? આ દુહામાં કિનારા ગામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કિનારા ગામમાં મુખ્યત્વે વસ્તી કોળી પટેલ લોકોની છે. તેમની સાથે-સાથે ગામમાં ભરવાડ, મોલેસલામ દરબાર તથા મુસ્લિમ ફકીર લોકો રહે છે. ગામમાં ખૂબ જ ધાર્મિક એકતા જોવા મળે છે. ગામના લોકો ઉત્સવ પ્રેમી લોકો છે. દરેક ધર્મમાં માનનારા લોકો છે. દરેક ધર્મના તહેવારો હળી-મળીને એકસાથે ઉજવે છે. ગામમાં નવરાત્રિનો તહેવાર સમસ્ત ગામલોકો દ્વારા ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. ગામમાં એક રામદેવપીરનું મંદિર આવેલું છે. આ મંદિરની બાજુમાં જ અવારનવાર રામાપીરનુ આખ્યાન ગામ લોકો દ્વારા રમાડવામાં આવે છે. હિન્દુ ધર્મનાં અન્ય તહેવારો પણ એકતાથી ઉજવવામાં આવે છે.
આ ગામની શૈક્ષણિક સુવીધાઓ
કિનારા ગામમાં ધોરણ 1 થી 8 સુધીની સરકારી શાળા આવેલી છે. ઉપરાંત ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ મેળવવા માટે પ્રાઈવેટ શાળા આવેલી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે કે.ડી.પરમાર વિદ્યાલય અને એન્જિનિયરિંગ માટે એમ.એમ.ગોપાણી પોલીટેકનીક કોલેજ આવેલી છે. આ ઉપરાંત ગામના લોકો વધારે અભ્યાસ અર્થે રાણપુર જાય છે.
કિનારા ગામમાં ઉત્તમ પ્રકારનું એક્સિસ ફર્નિચર બનાવવામાં આવે છે
શ્રાવણ વદ ચૌદશના રોજ સમગ્ર કિનારા ગામમાં વિશેષ કરીને એક ખાસ વસ્તુ જોવા લાયક છે “એક્સિસ ફર્નિચર”. અહીં ઉત્તમ પ્રકારનું ફર્નિચર બનાવવામાં આવે છે. ગામની આસપાસના વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત ફર્નિચર બને છે.
ગામના લોકો મુખ્યત્વે ખેતી, પશુપાલન તથા ઉધોગ સાથે પણ જોડાયેલા છે
ગામમાં “રાસ બેરિંગ” નામની બેરિંગ બનાવતી કંપની આવેલી છે. જે ગામ લોકોને રોજગારીનો મુખ્ય સ્ત્રોત છે. ગામના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે પરંતુ તે સિવાય ઘણા બધા લોકો બેરિંગની કંપનીમાં વ્યવસાય અર્થે જાય છે.કપાસ જિનિંગ મિલ, કપચી-કોરી વર્ક અને તાજેતરમાં નવી નિર્માણ પામેલી તાલુકા ન્યાયાલય પણ આવેલું છે. ગામની બાજુમાં સ્ટેટ હાઇવે નંબર 1 ધંધુકા–ગોંડલ પસાર થાય છે. ગામમાંથી ‘ભાવનગરથી સુરેન્દ્રનગર’ રેલવે લાઇન પસાર થાય છે.
કિનારા ગામમાં ઘણી ખેતીલાયક જમીન આવેલી છે. અને નદીના કાંઠે હોવાને કારણે જમીન ખૂબ જ ફળદ્રુપ છે.ગામમાં પાણીનું તળ પણ ઊંચું જોવા મળે છે. ખેતીના મુખ્ય પાકો કપાસ, બાજરી, ઘઉં અને જુવાર છે. અન્ય પાકોમાં મગફળી, તુવેર, તલ, ચણા છે. બાગાયતી પાકોમાં જામફળ અને બોરની ખેતી ગામલોકો કરે છે.