ગાંધીનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

- કેબિનેટની બેઠકમાં શકયતાદર્શી અહેવાલ મગાવવાને મંજૂરી
- જમીનની ઉપલબ્ધતા સહિતના પેરામીટર ધ્યાનમાં લેવાશેઃ મંત્રી
રાજયના 13 જિલ્લાઓમાં નવી ઔદ્યોગિક વસાહતો(જી.આઇ.ડી.સી. સ્થાપવા માટે પ્રાથમિક શકયતાદર્શી તપાસ કરવાનો અહેવાલ મગાવવાની કેબિનેટની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. રાજયના 13 જિલ્લાના 21 તાલુકામાં જીઆઇડીસી સ્થાપવા માટે તપાસ થઇ રહીં છે. કયાં તાલુકામાં કયાં સ્થળે કેટલી માળખાકીય સુવિધા પૂરી પાડીએ તો જી.આઇ.ડી.સી. સ્થપાય તેમ છે તેનો અહેવાલ મંગાવવામાં આવ્યો છે તેમ પ્રવકત્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
કેબિનેટની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો
રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તે આશયથી નવી જી.આઇ.ડી.સી.ની સ્થાપના માટે વિધાનસભા સત્રમાં જાહેરાત કરાઈ હતી. આ સંદર્ભે ગુજરાત ઔદ્યોગિક વસાહત નિગમના નિયામક મંડળ દ્વારા રાજ્યના 13 જિલ્લાઓમાં નવી જી.આઇ.ડી.સી. સ્થાપવા માટે જમીનની એક જથ્થો ઉપલબ્ધતા, ડિમાન્ડ સર્વે, સ્થાનિક પરિબળો અને કૃષિ ઉત્પાદન વગેરેના પ્રાથમિક શક્યતાદર્શી તપાસ અહેવાલ એટલે કે પ્રિ-ફિઝીબિલીટી એસેસમેન્ટ રીપોર્ટ મેળવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.