Saturday, November 26, 2022

જૈન દેરાસરના અડધી રાતે તાળા તૂટ્યા; 8 લાખથી વધુની ચોરી; પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી | Jain Derasar's locks broke at midnight; Theft of more than 8 lakhs; Police conducted an investigation on the basis of CCTV

સાબરકાંઠા (હિંમતનગર)13 મિનિટ પહેલા

સાબરકાંઠા જીલ્લાના વિજયનગર ગામની મધ્યમાં આવેલા આદિનાથ જૈન દેરાસરમાં તસ્કરોએ ત્રાટકી ચાંદીની મૂર્તિઓ અને છત્ર મળી રૂ.8.12 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે CCTV કેમેરાના ફૂટેઝ આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

જૈન દેરાસરનો દરવાજો તોડી મૂર્તિઓની ચોરી
સાબરકાંઠા જીલ્લાના વિજયનગર ગામની મધ્યમાં આદિનાથ જૈન દેરાસર આવેલ છે. જે દેરાસરમાં ગુરુવારની રાત્રીથી શુક્રવારની વહેલી સવારના ચાર વાગ્યા પહેલાના સમયમાં તસ્કરો જૈન મંદિરના કોટ ઉપરથી અંદર આવી મંદિરની પાછળ પ્રવેશ કરી પાછળના ભાગે આવેલ લોખંડના દરવાજાનું તાળું તોડી જૈન મંદિરના પરિસરમાં તેમજ ગર્હગૃહમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ દેરાસરમાં રહેલી ભગવાનની નાની-મોટી ચાંદીની 6 મૂર્તિઓ રૂ.90 હજારની, ચાંદીના નાણા-મોટા છત્ર 17 નંગ, ચાંદીનો કળશ એક, ચાંદીના યંત્ર બે નંગ મળી કુલ 12 કિ.લો.12 ગ્રામ ચાંદી રૂ.7 લાખ 20 હજાર તેમજ રોકડ રૂપિયા 2 હજાર મળી રૂપિયા 8.12 લાખની પૂજાપાઠની સામગ્રીના માલમત્તાની ચોરી કરી લઇ ગયા હતા.

પોલીસે CCTVની આધારે તપાસ હાથ ધરી
25 નવેમ્બરે સવારે સાડા ચાર વાગે મંદિરના પૂજારીએ પ્રમુખને ફોન કર્યો હતો અને જણાવેલ કે, મંદિરમાં ચોરી થઇ છે. જેને લઈને મંદિરના પ્રમુખ, મંત્રી અને સભ્ય તાત્કાલિક મંદિરમાં દોડી આવ્યા હતા. જ્યાં સફાઈ કર્મી અને પુજારીને મળ્યા હતા અને મંદિરના પાછળના ભાગનો દરવાજો તૂટેલો હતો. તો ભંડારાની પેટી પણ તૂટેલી હતી અને મંદિરના અંદરથી પાશ્વનાથ ભગવાનની ત્રણ પંચધાતુની મૂર્તિ, ચંદ્રપ્રભુ ભગવાનની એક મૂર્તિ, ચોવીસી તીથંકર ભગવાનની પંચધાતુની મૂર્તિ એક, ભગવાનની ઉપર નાના ચાંદીના 17 છત્ર અને મોટા ત્રણ છત્ર ચાંદીનો પાટલો, ચાંદીનો કળશ, ચાંદીના યંત્ર હતા નહીં. જે અંગે મંદિર આસપાસ તપાસ કરતા કઈ મળી આવ્યું ન હતું. આ અંગે વિજયનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને મંદિરના પ્રમુખ હર્ષદકુમાર દિનેશચંદ્ર શાહે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેઝ કબજે લઈને તપાસ હાથ ધરી છે. ચોરીની આ ઘટના બાદ જનતા દ્વારા પોલીસની રાત્રિ દરમિયાન પેટ્રોલિંગની કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા હતા.

ચોરોને પકડી લેવાશે: એલસીબી,પી.આઈ
આ બનાવ અંગે તપાસ કરવા આવેલા એલસીબી.પી.આઈ.એ.જે.રાઠોડે જણાવ્યું હતું કે, ચોરીની આ ઘટનામાં ચોરોને ઝડપથી પકડી લેવામાં આવશે. ચોરોનું પગેરું મેળવવા પોલીસે એફએસએલ.અને ડોગ સ્કવોડ સહિતની મદદ પણ લીધી હતી.

દેરાસરના સીસીટીવી ફૂટેજમાં ત્રણ શખ્સો દેખાયા
ચોરીની ઘટનામાં ચોરો દેરાસર પાછળ આવેલી સા.કા.બેંકની દીવાલ પર લગાવેલ સી.સી.ટી.વી. કેમેરાથી બચવા માટે બેંકના કેમેરા ફેરવી નાખ્યા હોવાનું જાણવા મળ્યું હતું. સાથે જ દેરાસરના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજમાં કુલ ત્રણ શખ્સો નજરે પડ્યા હતા. જેમાં પણ તેમણે એક કેમેરાના વાયરો ખેંચી લીધા હોવાનું નજરે પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: