રાજકોટ12 મિનિટ પહેલા
- કૉપી લિંક

લોકોએ આરોપીને ઝડપી પોલીસને સોંપ્યો.
ગોંડલના મોટાદડવા ગામે સોનાના દાગીના ધોવાના બહાને બે શખસ દાગીના પડાવી લેતા હતા. આથી પોલીસે એક શખસને ઝડપી પાડ્યો છે જ્યારે બીજો શખસ ફરાર થઈ ગયો છે. મોટાદડવાના શક્તિનગરમાં રહેતા પટેલ મિતુલ લિંબાસિયાને ત્યાં બે ગઠિયા સોનુ ચમકાવી દેવાની મીઠી વાત કરતા તેમના ઘરના બહેનો અંદાજિત પાંચ તોલાની બંગડી અને હાર ચમકાવવા આપ્યો હતો. પરંતુ સોનુ ચમકે એ પહેલાં ખ્યાલ આવી જતાં તુરંત ત્યાંના અન્ય સભ્યોને જાણ કરવામાં આવતા ગઠિયાને પણ ખ્યાલ આવતા જલ્દી ચમક હટાવી દઈ ધોળું સોનુ કરી નાખ્યું ફરાર થઈ ગયો હતો.
આટકોટ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી
જોકે અન્ય એક સાગરીત ગઠીયાને બહેનોએ પકડીને ઝડપી લીધો હતો ત્યારબાદ મોટાદડવા સરપંચ ભૂપતભાઈ વાળા તેમજ ઉપસરપંચ મનુભાઈ લાવડીયાને જાણ કરી ગઠિયાને અન્ય કઈ કઈ જગ્યા પર આવી ગેરરીતિ કરી તેની તપાસ કરી હતી. તેમજ ક્યાંથી આવ્યાની ખબર પૂછતાં બિહારના હોવાનું બહાર આવ્યું હતું. અન્ય માહિતી માટે મોટાદડવાના સરપંચ ભૂપતભાઈ વાળાએ આટકોટ પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે દોડી આવી આ શખસની ધરપકડ કરી ક્યાં ક્યાં આવા સોના ઉજળા કર્યાની તપાસ હાથ ધરી છે.
પાટણમાં હત્યાના કેસમાં ફરાર આરોપી રાજકોટથી ઝડપાયો
પાટણ શહેરમાં આવેલા નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહેલા યુવકની નશામુક્તિ કેન્દ્રના સંચાલક અને તેના મળતીયાઓએ જ હત્યા કરીને બાદમાં તેને કુદરતી મોતમાં ખપાવી અગ્નિસંસ્કાર કરી દીધા હતા. જોકે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતાં પોલીસે 7 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ફરાર એક આરોપી રાજકોટ હોવાની ચોક્કસ બાતમીના આધારે આજરોજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપી જયદિપ રૂપાપરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીને પણ દારૂ પીવાની ટેવ હોવાથી આશરે પાચેક મહિના પહેલા પાટણ શહેર ખાતે જ્યોના નશા મુક્તિ કેન્દ્રમાં દારૂ છોડાવવાની સારવાર માટે ગયેલ હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે.

શું છે સમગ્ર ઘટના?
પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે મહેસાણાના રહેવાસી ચંદ્રકાંત અંબાલાલ મિસ્ત્રીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓની બહેનનો પુત્ર હાર્દિક સુથાર નશાના રવાડે ચડ્યો હતો. જેને છેલ્લા 6 માસથી પાટણના જયોના નશામુક્તિ કેન્દ્રમાં મૂક્યો હતો. પરંતું ગત 17 ફેબ્રુઆરીના રોજ ચંદ્રકાંતભાઈ ઉપર નશામુક્તિ કેન્દ્રના સંચાલકનો ફોન આવ્યો હતો કે હાર્દિકે પોતાના હાથે ચપ્પાનો ઘા માર્યો છે અને તેનું બીપી ઘટી ગયું છે, આથી અમે દવાખાને લઈ જઈએ છીએ. આ બાદ બીજે દિવસે સંચાલકે ફોન ઉપર હાર્દિકનું મોત નીપજ્યું હોવાનું કહી તેના પરિવારજનોને પાટણ બોલાવતાં પરિવારજનો પાટણ આવતાં એક ખેતરમાં ઈકો ગાડીમાં હાર્દિકનો મૃતદેહ દેખાડ્યો હતો. તેનું બીપી ઘટી જવાથી તેનું મોત નીપજ્યું હોવાનું કહી પરિવારજનોને સાથે રાખી અંતિમસંસ્કાર પણ કરાવી લીધા હતા.
આટકોટમાં સગાઈ ન થતા યુવાને આપઘાત કર્યો
રાજકોટ જિલ્લાના આટકોટ ગામે કૈલાસનગરમાં રહેતાં મનસુખભાઈ ગોવિંદભાઈ કલાવીયા (ઉં.વ.25) ગઇકાલે બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. આથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આટકોટ પોલીસને જાણ કરતાં આટકોટ પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકની સગાઈ થતી ન હોવાથી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
છેતરપિંડીનો ભોગ બનેલા 65 વર્ષના વૃદ્ધનો આપઘાતનો પ્રયાસ
જંગલેશ્વરમાં 65 વર્ષીય વૃદ્ધને મોબાઇલમાં દર મહિને 80 હજાર કમાવ તેવો મેસેજ આવ્યો હતો. બાદમાં વૃદ્ધે સામે ફોન કરી ઓનલાઈન અલગ અલગ સમયે રૂપિયા એક લાખ નાણા આપ્યા હતા. ત્યારબાદ સામેથી મોબાઈલ સ્વીચઓફ આવતા છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ ઘઉંમાં નાખવાના ટિકડા ખાઈ લીધા હતા. આ અંગે ભક્તિનગર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. વૃદ્ધના જણાવ્યા મુજબ સામે છેડે ત્રણ મહિલા અને એક પુરુષ અલગ અલગ નામે વાતચીત કરતા હતા અને રૂપિયા મેં આપ્યા હતા. આ પછી ફોન કરતા સંપર્ક થયો ન હતો. પોલીસ ટેપ્સમાં યુસુફભાઇ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે.
પતિએ પ્રેમી સાથે ઝડપી લેતા પત્નીએ ઝેરી દવા પીધી
રાજકોટમાં 35 વર્ષીય મહિલાના લગ્ન 15 વર્ષ પહેલાં થયાં હતા. જોકે અન્ય યુવક સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો. અનૈતિક સબંધમાં બન્ને પ્રેમીઓ એકલતાં માણે તે પેહલા જ મહિલાના પતિએ રંગેહાથ પકડી લીધાં હતાં. જેથી હવે શું થશે અને બન્ને એકબીજા વગર રહી નહીં શકે તે ચિંતામાં મહિલાએ તેના પ્રેમીના ઘરે જઈ સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી. ડિવિઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો અને બંનેના નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
મોટી બહેનના ઘરે પ્રસંગમાં આવેલી બહેને ઝેરી દવા પીધી
શહેરમાં મોટી બહેનના ઘરે પ્રસંગમાં આવેલી નાની બહેને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતાં. બે દિવસ પહેલા પિતાના ઘરે મોટી બહેનનો પ્રસંગ હોય જેથી પ્રસંગમાં આવી હતી. ગઈકાલે આખો દિવસ પરિવાર સાથે આનંદ કિલ્લોલથી પ્રસંગ પતાવ્યો હતો. બાદમાં રાત્રિના તેના માતા-પિતા સહિત પરિવાર સૂઈ ગયો હતો ત્યારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે એ. ડિવિઝન પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી ગયો હતો અને આપઘાતના પ્રયાસ અંગે કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
મોબાઇલ ચોરીના ગુનાના આરોપી વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી
ભક્તિનગર પોલીસ મથકમાં મોબાઇલ ચોરીના ગુનામાં પકડાયેલા મૂળ ગોંડલના વતની અને હાલ રાજકોટમાં ભાવનગર રોડ પર આજીડેમ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા મહેશ અશોકભાઈ સોલંકી વિરુદ્ધ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ. સરવૈયાએ પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલતા પોલીસ કમિશનરે દરખાસ્ત પર મંજૂરીની મહોર લગાવી આરોપી સામે પાસાનું વોરંટ ઇશ્યૂ કર્યું હતું. જેથી ભક્તિનગર પોલીસે વોરંટની બજવણી કરી આરોપી મહેશ સોલંકીને અમદાવાદ મધ્યસ્થ જેલહવાલે કર્યો હતો. આરોપી મહેશ સામે અગાઉ ગોંડલ, ભુજ અને રાજકોટમાં બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મળી દારૂ અને ચોરી સહિતના 14 ગુના નોંધાઇ ચૂક્યા છે.

મોબાઈલ ચોરીના આરોપીને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલાયો.
મોબાઈલ ચોરીનો આરોપી ઝડપાયો
રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે ઢેબર કોલોની ઝૂંપડપટ્ટીમાં રહેતા ભરત બોઘાભાઈ ઉર્ફે રાજુભાઈ સલાટને ઢેબર કોલોની પાસે શૌચાલય નજીકથી ચોરાઉ મોબાઇલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી 19,999ની કિંમતનો મોબાઇલ કબ્જે કરી પૂછપરછ કરતાં તેને મોબાઈલ 6 મહિના પહેલાં બાપુનગર મેઈન રોડ પર બાઈકચાલકનો મોબાઈલ પડી ગયો હતો જે ચોરી લીધાની કબુલાત આપી હતી.

મોબાઈલ ચોરનાર આરોપી ઝડપાયો.
ઘરેલું હિંસામાં પતિને 1 વર્ષની કેદની સજા
રાજકોટની એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે વર્ષ 2015ના ઘરેલું હિંસાના કેસમાં નોંધનીય ચુકાદો આપ્યો છે. કોર્ટે પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધ પત્ની માટે માનસિક અત્યાચાર સમાન છે તેમ નોંધી પતિને એક વર્ષની સજા અને રૂ.10000નો દંડ ફટકાર્યો છે. ફરીયાદી ગીતાબેન સુરેશભાઈ રામાણીના લગ્ન સુરેશભાઈ ગોરધનભાઈ રામાણી જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્નજીવનથી તેઓને ત્રણ બાળકો છે. શરૂઆતમાં લગ્નજીવન સારી રીતે ચાલ્યું હતું. પરંતુ બાદમાં પતિ સુરેશભાઈ દ્વારા ગીતાબેનને અવારનવાર માનસિક-શારિરીક ત્રાસ આપવામાં આવતો અને પતિ સુરેશભાઈનો અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોય જેથી તેઓ ગીતાબેનને અવારનવાર ત્રાસ આપી મારફૂટ કરી દહેજની માંગણી કરી ત્રાસ ગુજારતો.
2015માં પત્નીએ પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી
વર્ષ 2015માં ગીતાબેન રાજકોટ મહિલા પોલીસ મથકમાં પતિ સુરેશ અને તેની પ્રેમિકા વિરૂદ્ધ IPC કલમ 498 (એ) 323, 504, 506 (2) 114 તથા દહેજ પ્રતિબંધિત ધારાની કલમ 3 અને 4 મુજબ ફરિયાદ કરી હતી. જે કેસ રાજકોટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શિતલ જોશીની દલિલો અને પુરાવાને ગ્રાહ્ય રાખી જજ એસ.સી. મકવાણાએ જણાવ્યું હતું કે, પરિણીત પુરૂષ જ્યારે કોઈ પણ સ્ત્રી સાથે અનૈતિક સંબંધ રાખે ત્યારે તે પત્ની માટે માનસિક અત્યાચાર છે. પતિ સુરેશભાઈ ગોરધનભાઈ રામાણીને એક વર્ષની સખત કેદ તથા રૂ.10,000 દંડનો હુકમ કર્યો હતો.