આણંદ10 મિનિટ પહેલા
- કૉપી લિંક

ખંભાતના એપીએમસી નજીક તારાપુર રોડ પર વળાંકમાં પુરપાટ ઝડપે બાઇક પર જતાં શિક્ષકે અચાનક કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સીધું ઝાડ સાથે અથડાયું હતું. જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખંભાત શહેરના આનંદનગર સોસાયટીમાં રહેતા દિવ્યરાજસિંહ ગોહિલના પિતા પ્રવિણસિંહ જીલુભા ગોહિલ (ઉ.વ.53) ખંભાત બ્રાંચ નં.11 પ્રાથમિક શાળામાં છેલ્લા 24 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતાં હતાં. દિવ્યરાજસિંહના ઘર નજીક આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં તેના મામા યશવંતસિંહ હઠીસિંહ વનાર (મુળ રહે. ગુંડેલ) પણ રહે છે. તેઓ તેમનું બાઇક દિવ્યરાજસિંહના ઘરે મુકી ગુંડેલ ગયાં હતાં. દિવ્યરાજસિંહ 7મી એપ્રિલના રોજ નોકરી પર ગયા હતા તે સમયે તેમના પિતાને અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું. આથી, તુરંત તેઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, ખંભાત એપીએમસી નજીક તારાપુર રોડ પર વળાંકમાં ઝાડ સાથે અથડાતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં ખંભાત જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત્યું પામેલા જાહેર કર્યાં હતાં. આ અંગે ખંભાત શહેર પોલીસે પ્રવિણસિંહ જીલુભા ગોહિલ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.