બનાસકાંઠા (પાલનપુર)8 મિનિટ પહેલા
રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના રાણપુર નજીક કારને કાળમુખો અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના મોત નીપજ્યા છે.

સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થરા-રાણકપુર નજીક ટ્રેલર અને કિયા કાર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રેલર અને કાર વચ્ચે થયેલી જબરદસ્ત ટક્કરમાં કારમાં સવાર ચાર લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર ચાર લોકો ઉણ ગામના હોવાનું સામે આવ્યું છે. આ ગોઝારા અકસ્માતને પગલે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. હાલ અકસ્માતનું કારણ સામે આવ્યું નથી. જોકે, પોલીસે અકસ્માત કેવી રીતે થયો, તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

કારની હાલત જોવાય નહીં તેવી થઇ ગઇ
અકસ્માત બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો દોડી થયા હતા. જોકે, અકસ્માત બાદ કારની હાલત જોવાય નહીં તે પ્રકારની થઈ ગઈ હતી. કારનું પડીકુ વળી ગયુ હતું. કારની હાલત જોતા એમ કહી શકાય કે કારમાં સવાર કોઈ પણ વ્યક્તિ બચી ન હોઈ શકે. મહત્વનું છે કે, અકસ્માત સર્જન ટેલરને પોલીસે પકડી પાડ્યું છે.

