જ્યારે જ્યારે 2 ધર્મના ગુરુ મળે છે ત્યારે બંને ધર્મના અનુયાયીઓ વચ્ચેના સંબંધો ગાઢ બને છે
પીએમ મોદી એ કહ્યું હતું કે જે જે માણસ પ્રમુખસ્વામી મહારાજને મળે તે મહામાનવ બની જાય છે. જ્યારે જ્યારે 2 ધર્મના ગુરુ મળે છે ત્યારે બંને ધર્મના અનુયાયીઓ વચ્ચેના સંબંધો ગાઢ બને છે. પ્રમુખસ્વામી મહારાજ જેરુસલેમ ગયા હતા. ત્યાં તેઓએ પ્રાર્થના કરી હતી કે અહીં જે જે લોકો આવે અને પ્રાર્થના કરે તેના તમામ સંકલ્પો પૂરા કરે. કારણકે તેઓ પરદુઃખભંજન હતા.
આજે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ પર અનેક ધર્મો વચ્ચેની સંવાદિતા શક્ય બની છે. કારણકે આજે જુદા જુદા ધર્મગુરુઓ એક સાથે આ મંચ પર બિરાજમાન છે. જે ધર્મના માર્ગે ચાલે છે તે સમાજમાં જરૂરથી શાંતિ સ્થાપી શકે છે.
પીએમ મોદી સ્વયંસેવક નંબર 80,001 અને હું સ્વયંસેવક નંબર 80,002 છું
વર્લ્ડ કાઉન્સિલ ઓફ રિલીજીયસ લીડર્સના સેક્રેટરી જનરલ બાવા જૈન એ જણાવ્યું કે મારા માટે આ ભાગ્યનો દિવસ છે કે અનેક ધર્મગુરુઓની વચ્ચે આવવાની તક મળી. અહીં પ્રમુખસ્વામી મહારાજ નગરમાં 80,000 સ્વયંસેવકો સેવા કરે છે અને તેમને જોઈને પીએમ મોદી એ કહ્યું હતું કે હું પણ સ્વયંસેવક છું. એ રીતે હું પણ સ્વયંસેવક નંબર 80,002 છું.
આ પ્રમુખસ્વામી મહારાજની ભવ્યતા અનોખી છે. કારણકે રવિવારે 2,50,000 માણસો આવ્યા નગર જોવા અને બધાને નાતજાતના ભેદભાવ વગર અહીં નગરમાં જમાડ્યા. એનાથી વધારે સંવાદિતાનું મોટું ઉદાહણ બીજું શું હોઈ શકે? મારા મતે પ્રમુખસ્વામી મહારાજ એ આધુનિક વિશ્વનાં વિશ્વકર્મા છે. યુનાઈટેડ નેશન્સની મિલેનિયમ સમિટમાં પ્રમુખસ્વામી મહારાજે આપેલા સંવાદિતાના સંદેશે દુનિયાભરમાં હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું હતું.
મને આજે પણ પ્રમુખસ્વામી મહારાજે આપેલા આશીર્વાદની અનુભૂતિ થાય છે અને સદાય પ્રમુખસ્વામી મહારાજ મારી સાથે જ છે. તેવી અનુભૂતિ થાય છે. આજે પ્રમુખસ્વામી મહારાજ ભલે આપણી વચ્ચે નથી. પરંતુ એમની આધ્યાત્મિક પરંપરા મહંતસ્વામી મહારાજ દ્વારા ચાલુ જ છે. એ જ આ સંસ્થાની વિશેષતા છે.
ભલે આપણાં સંપ્રદાય અલગ અલગ હોય, પરંતુ આપણો ધર્મ સંવાદિતા છે
નામધારી શીખ સમાજના અધ્યક્ષ પૂ. સદગુરુ ઉદયસિંઘજી મહારાજે જણાવ્યું કે આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાય છે. તેના માટે હું આપ સૌને ધન્યવાદ આપું છું અને એવી પ્રાર્થના કરું છું કે તેમણે શીખવેલા જીવનમૂલ્યો આપણાં સૌના જીવનમાં ચરિતાર્થ થાય અને વિશ્વમાં શાંતિનું વાતાવરણ સ્થપાય.
ભલે આપણાં સંપ્રદાય અલગ અલગ હશે. પરંતુ આપણો ધર્મ એક જ છે. તે છે સંવાદિતા. સાધુ સંતોના સમાગમથી માણસના જીવનની મનની બળતરા શાંત છે અને પ્રમુખસ્વામી મહારાજે પણ આપણને નિત્ય પ્રત્યે સંત સમાગમ કરવાનું કહ્યું છે. જેથી આપણાં જીવનમાં શાંતિ રહે.
આજે મેં પ્રદર્શનમાં જોયું કે પ્રમુખસ્વામી મહારાજે ગામડે ગામડે વિચરણ કરીને ભક્તોના મનોરથ પૂરા કર્યા છે અને આશીર્વાદ આપ્યા છે. તો મારા મતે એ જ સાચો ધર્મ છે. આપણે જો બાળકોને શીખવાડીશું કે આપણો ધર્મ એક છે અને ભગવાન એક છે.
તો તે બાળકો ભવિષ્યમાં આદર્શ નાગરિક બનશે અને પ્રમુખસ્વામી મહારાજે બાળકોને એ જ સંસ્કાર આપ્યા છે. જે વાતનો મને આનંદ છે. પ્રમુખસ્વામી મહારાજનો જીવન સંદેશ આપ દુનિયાભરમાં પહોંચાડી શકો. તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Local 18, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav