દ્વારકા ખંભાળિયા12 મિનિટ પહેલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિચારને સાર્થક કરતા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમ અન્વયે આજરોજ બપોરે દ્વારકા ખાતે આવેલા પ્રવાસીઓનું-સૌરાષ્ટ્ર તમિલ બાંધવોનું જય દ્વારિકાધીશના નાદ સાથે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

દ્વારકા ખાતે પ્રવાસીઓ સાથેની 8 બસનું આગમન થતાં જ દ્વારકાનું સમગ્ર પ્રાંગણ ઢોલ અને નગારા સાથે ગુંજી ઉઠ્યું હતું. ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ પર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મદુરાઈથી આવેલા તમિલ પરિવારોની સૌરાષ્ટ્રના પરંપરાગત પરિધાન, ઢોલ, શરણાઈ, પાવો અને સુરંદો જેવા લોકવાદ્યો તેમજ ભરત અને આભલે મઢેલી છત્રી સાથે તમિલીયનો ગરબાના તાલે જૂમ્યા હતા.

ધારાસભ્ય પબુભા માણેક દ્વારા પ્રવાસીઓ બસમાંથી ઉતરતા જ તેમના પર પુષ્પવર્ષા કરી તેમને આવકારવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રીયન તમિલો પણ ગુજરાતી સંગીત પર કલાકારો સાથે દાંડિયા તેમજ તાલીઓના તાલે ઝૂમ્યા હતા. દ્વારકા મંદિર દ્વારા મહેમાનો માટે દર્શનની અને આનુસંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મહેમાનોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાની લાગણી સાથે ગુજરાત સરકાર-દ્વારકાના લોકોનો પણ આભાર માન્યો હતો.

આ પ્રસંગે મહેમાનોને આવકારવા પ્રવાસન વિભાગ નિગમના એચ.એમ. જાડેજા, જિલ્લા કલેક્ટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રની ટીમના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, દ્વારકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ પદાધિકારીઓ ઓખા બંદરના પ્રમુખ મોહનભાઈ બારાઈ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ બહોળી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

સાંસ્કૃતિક જોડાણની ખુશી વ્યક્ત કરતા નાગરાજજી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ હેઠળ તમિલનાડુથી આવેલા 300 સૌરાષ્ટ્રીયન તમિલો આજે દ્વારકાના પ્રવાસે આવ્યા છે. જેણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી છે. વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાંથી હિજરત કરી તમિલનાડુ સ્થાયી થયેલા નાગરાજજીએ આજના દિવસને અતિ સુંદર દિવસ ગણાવતા જણાવ્યું કે, “વર્ષો બાદ આજે અમને સૌરાષ્ટ્રની ધરતી પર આવવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના ચરિતાર્થ થઈ રહી છે.” તેમણે કહ્યું હતું કે – “આજે અહીં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવું છું. અહીં અમારું અનેરું સ્વાગત કરવામાં આવ્યું છે અને અમને આવકારવા માટે દ્વારકાવાસીઓમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમને ફરી એકવાર સૌરાષ્ટ્ર સાથે જોડવા બદલ સરકારનો આભાર વ્યક્ત કરું છું.”- તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

તમિલ મહેમાન મહાલક્ષ્મી દ્વારકાથી પ્રતિભાવ થયા સૌરાષ્ટ્ર તમિલ સંગમ અન્વયે આજરોજ સોમનાથથી 300 મહેમાનો દેવભૂમિ દ્વારકા ખાતે પધાર્યા હતા. જ્યાં મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા લાગણી અનુભવી હતી. તમિલનાડુથી આવેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ કન્વિનર એ.આર. મહાલક્ષ્મીજીએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

મહાલક્ષ્મીજીએ જણાવ્યું હતું કે, “એક હજાર વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રમાંથી ઘણા લોકો તમિલનાડુ ખાતે વસવાટ કરવા ગયા હતા. આજે એક ભારત શ્રેષ્ઠ ભારતના અભિગમ થકી અમને અમારા વતન સાથે જોડાવવાનો મોકો મળ્યો છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્ર તમિલ સંગમ અન્વયે સરકાર દ્વારા મદુરાઇથી વેરાવળની ખાસ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જેમાં દરરોજના 300 લોકો સૌરાષ્ટ્રના મહેમાન બનશે. દેવભૂમિ દ્વારકા ખાતે આવી ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છીએ. સૌરાષ્ટ્રની અને તમિલનાડુની સંસ્કૃતી અને નાગરિકો વચ્ચે જોડાણ વધારે મજબૂત બને તેવા પ્રયાસો કરવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરું છું.”








