સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક
સુરતના પીપલોદ વિસ્તારમાં એક જાણીતા બિલ્ડર દ્વારા રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો છે. બ્લેક પેપર હોટલના માલિક અને બિલ્ડરે પેરાલિસિસની બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી. હાલ તેનો મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
ઘરમાં જ લમણે ગોળી મારીને આપઘાત
સુરતના પીપલોદ વિસ્તારમાં 70 વર્ષીય બિલ્ડર અને હોટલના માલિક અરજણભાઈ મણિયા પરિવાર સાથે રહેતા હતા. તેમને ત્રણ પુત્રો છે. અરજણભાઈ બ્લેક પીપર હોટલના માલિક અને સુરતના જાણીતા બિલ્ડર હતા. અરજણભાઈ છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાતા હતા અને આ બીમારીથી કંટાળીને જ આજે ઘરમાં જ લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.

બે વર્ષ પહેલા બ્રેઈન સ્ટોકનો એટેક આવ્યો હતો
બે વર્ષ પહેલા અરજણભાઈને બ્રેઈન સ્ટોકનો એટેક આવેલો હતો. ત્યારબાદથી અરજણભાઈને બોલવા અને ચાલવાની તકલીફ થઈ હતી. બે વર્ષથી અરજણભાઈ પથારીવશ હતા અને તેના કારણે તે ખૂબ જ માનસિક તણાવમાં રહેતા હતા. અરજણભાઈના પુત્ર ભરતભાઈએ જણાવ્યું હતું કે, ‘મારા પિતાએ બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હતું. તેમની રિવોલ્વર લોકરમાં મૂકી હતી પણ આજે સવારે ગમે તેમ મેનેજ કરીને લોકરમાંથી રિવોલ્વર કાઢીને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.’

પરિવારજનોમાં શોકનો માહોલ
પરિવારના મોભી અરજણભાઈ દ્વારા આપઘાત કરવામાં આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. છેલ્લા બે વર્ષથી અરજણભાઈની સેવા કરતા પુત્રોને વધુ આઘાત લાગ્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોના આક્રંદથી શોકનો માહોલ છવાયો હતો.