અમદાવાદ36 મિનિટ પહેલા
- કૉપી લિંક

લાંબા સમય બાદ ફરીથી કોરોનાએ માથું ઊંચક્યું છે, ત્યારે હવે લોકોમાં ફરીથી કોરોનાનો ડર જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં થોડા સમય અગાઉ એક વૃદ્ધાને ન્યૂમોનિયાને કારણે દાખલ કરવામાં આવ્યા હતા અને મહિલાને રજા આપ્યા બાદ શ્વાસ લેવામાં તકલીફ થતા ફરીથી દાખલ કરવામાં આવ્યા છે. જેમનો કોરોના રિપોર્ટ પણ કાઢવામાં આવ્યો છે, પરંતુ રિપોર્ટ આવવાની રાહ જોવાઇ રહી છે. સિવિલ હોસ્પિટલ તરફથી હાલમાં એક પણ દર્દી દાખલ નથી તેવું જણાવવામાં આવ્યું છે.
હોસ્પિટલનો ઈનકાર, પરંતુ એક બાળક સહિત 2 દર્દી
આ અંગે દિવ્યભાસ્કરે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, હાલ કોઈ દર્દી દાખલ નથી. જોકે, ડૉ. જોશીએ બાદમાં જણાવ્યું કે, છેલ્લા 2 કલાકમાં કોઈ દર્દી આવ્યું હોય તો હું તપાસ કરીને જણાવીશ. નાનાં-મોટાં લક્ષણવાળા દર્દી આવતા જતા હોય છે. બીજી તરફ સૂત્રોએ જણાવ્યું છે કે, અમદાવાદ સિવિલમાં એક મહિલા અને બે દિવસ પહેલા એક નાનું બાળક કોરોના પોઝિટિવ હોવાથી તેમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. જેમની સારવાર ચાલી રહી છે. પરંતુ હાલ આ અંગે દરેક બાબત પર સિવિલના અધિકારીઓએ મૌન સેવી લીધું છે.
વૃદ્ધાને રજા અપાઈ પણ શ્વાસ લેવામાં તકલીફ થતા ફરી દાખલ
લાંબા સમય બાદ ફરીથી સિવિલ હોસ્પિટલના 1200 બેડમાં કોરોના દર્દીને દાખલ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં રહેતા એક વૃદ્ધાને થોડા સમય અગાઉ ન્યૂમોનિયા હતો, જેથી તેમની સારવાર ચાલી રહી હતી. દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી, પરંતુ રજા આપ્યા બાદ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતાં ફરીથી દાખલ કરવામાં આવ્યા છે. હાલ દર્દીને સંપૂર્ણ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
દર્દીના પરિવારજનો હોમ આઈસોલેશનમાં
દાખલ દર્દીના પરિવારને પણ ઘરે આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત સિવિલમાં 2 વર્ષનું બાળક પણ કોરોનાથી સંક્રમિત હોવાથી 2 દિવસ અગાઉ દાખલ કર્યું હોવાની વિગત દિવ્યભાસ્કર પાસે છે. જોકે, આ વિગત સિવિલ હોસ્પિટલ દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવી નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોરોના કેસની વિગત ગાંધીનગરથી ના આપવા સૂચના આપવામાં આવી છે જેનું પાલન કરવામાં આવી રહ્યું છે.